Comments

ભાગવતની મુસ્લિમોને સલાહ

‘તમામ ભારતીયોનું ડી.એન.એ. એક જ છે અને તેમને ધર્મના આધારે અલગ નહીં પાડી શકાય તેવું તારણ કાઢવાનો રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સહસંઘ સંચાલક ડો. મોહન ભાગવત માટે આ તખ્તો બરાબર ગોઠવાયો હતો. તેમણે વધુમાં કહ્યું કે હિંદુઓ કે મુસલમાનોનું કોઇ પણ વર્ચસ્વ ન હોઇ શકે, ભારતીયોનું જ વર્ચસ્વ હોઇ શકે. મુસ્લિમ રાષ્ટ્રીય મંચ યોજીત પુસ્તક વિમોચનનો પ્રસંગ હતો અને સ્થળ હતું – ચૂંટણી યોજાવાની છે તે ઉત્તર પ્રદેશ રાજયનું ગાઝિયાબાદ શહેર. અહીં મુસલમાનોની ગણનાપાત્ર વસ્તી છે. પ્રેરકબળરૂપ પશ્ચાદ્‌ભૂ હતી ભારત થઇ એકમાત્ર સૌથી વધુ મુસ્લિમ બહુમતી ધરાવનાર એક વખતના રાજય જમ્મુ – કાશ્મીરમાં ચૂંટણી કરવાની કવાયતમાં વેગ લાવવાની કેન્દ્રની દેખીતી પ્રક્રિયા.

ડો. ભાગવતે એમ પણ કહ્યું હતું ‘ઇસ્લામ ભયમાં છે એવા ભીતિચક્રમાં ભારતના મુસલમાનોએ ફસાવું જોઇએ નહીં. જે લોકો ટોળે મળીને હત્યા કરે છે તેઓ હિંદુત્વની વિરુધ્ધમાં છે. આ એક ખાતરી આપતું અને આવકારદાયક પગલું હતું. થોડી આગલી પાછલી જોઇએ તો મુસ્લિમ રાષ્ટ્રીય મંચ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનું ઘટક છે અને તેના વરિષ્ઠ નેતા અને એક વખત જમ્મુ-કાશ્મીરનો હવાલો સંભાળનાર ઇંદિરેશકુમારે તેની સ્થાપના કરી હતી. ધારણા મુજબ જ ડો. ભાગવતના ઇરાદા સામે પ્રશ્ન ઉઠાવતા રાજકીય પ્રત્યાઘાતો કોંગ્રેસ, બહુજન સમાજ પક્ષ, સમાજવાદી પક્ષ અને ડાબેરી પક્ષો તરફથી આવ્યા.

છેલ્લા એકાદ દાયકાથી મુસ્લિમો પર ધ્યાન કેન્દ્રિત કરાયું હતું પણ ખોટાં કારણસર ગૌવંશનાં કારણોસર ટોળાંશાહી હત્યા અને લવજેહાદ સંબંધી મુદ્દાઓથી અસલામતીની ભાવના વધતા ભય વધી ગયો હતો અને તેથી જયારે ઉત્તર પ્રદેશમાં વિધાનસભાની ચૂંટણી થઇ રહી છે ત્યારે આવા પ્રત્યાઘાતો સહજ છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડાએ ભૂતકાળમાં પણ અનેક પ્રસંગોએ આવાં જ મંતવ્યો વ્યકત કર્યાં છે. સંઘના હાર્દમાં ‘હિંદુ રાષ્ટ્ર’ છે અને ‘હિંદુત્વ’ છે તેથી તેમનાં છેલ્લામાં છેલ્લાં નિરીક્ષણોમાં તેમણે મુસ્લિમોને નિર્ભય બનવાની અને સમાન ડી.એન.એ. હોવાની જે વાત કરી તેને અલગ રીતે જોવાની જરૂર છે.

તેમણે હિંદુ કે મુસ્લિમોની વર્ચસ્વની નહીં પણ ભારતીયના વર્ચસ્વની જે વાત કરી તેને ભાવનાત્મક રીતે સમજવાની જરૂર છે. આ સંદેશો સંઘની ભારતીય જનતા પક્ષ સહિતની તમામ પાંખો માટે પાઠવાયો છે. બધાને ‘હિંદુત્વ’ને આગળ ધરવાની અને લઘુમતીઓને હડસેલવાની રીતે વિચારવાની તાલીમ અપાઇ છે. ડો. ભાગવત મુસ્લિમોને ફરીથી ખાતરી આપી સંઘનું હાર્દ નહીં તો વિચારધારા બદલવા માંગે છે? સંઘ એક શિસ્તબધ્ધ સંગઠન છે તેમાં ના નહીં, પણ ડો. ભાગવતની ભાવના માટે કાર્યકરો સુધી જ નહીં, નેતાઓ સુધી પહોંચે છે કે નહીં તે જોવાનું રહ્યું. અન્યથા ડો. ભાગવતની ભાવના કેવળ ચૂંટણી પ્રચાર જેવી રહી જશે. અત્યારે તો પરિવર્તનનાં કોઇ ચિહ્નો દેખાતાં નથી. ડો. ભાગવત અને સંઘના ભૂતપૂર્વ વડા અને વિચારક એમ. એસ. ગોલવલકરના રાષ્ટ્રવાદ અને ખાસ કરીને ‘ધર્મશાહી વિ. લોકશાહી’ વિશેના વિચારો મેળવાય છે કે નહીં તે કઇ રીતે ખબર પડશે? ડો. ભાગવતનાં છેલ્લામાં છેલ્લાં નિરીક્ષણોને તેમના અગાઉનાં નિરીક્ષણોના સંદર્ભમાં તપાસવાં પડશે.

તા. ૨૬ મી ડિસેમ્બર, ૨૦૧૯ ના દિને કેટલેક સ્થાને પ્રસિધ્ધ થયેલા પોતાના નિવેદનમાં ડો. ભાગવતે કહ્યું હતું કે ભારતની મુકિત રાજકારણ કે રાજકીય નેતાઓ દ્વારા નહીં, પણ સારા સમાજ અને હિંદુત્વથી થશે. હૈદરાબાદમાં એક સમારંભમાં તેમણે કહ્યું હતું કે સંઘ ભારતની ૧૩૦ કરોડની વસ્તીને તેનાં ધર્મ અને સંસ્કૃતિને ગણ્યા વગર હિંદુ ગણે છે. તા. બીજી ઓકટોબર, ૨૦૧૯ ના દિને તેમણે કહ્યું હતું કે ભારત એક હિંદુ રાષ્ટ્ર છે અને તેને બદલી શકાય નહીં. જો કે તેમણે એ જ પ્રસંગે કહ્યું હતું કે સંઘ એક ઉદારમતવાદી સંગઠન છે અને દેશ, કાળ અને પરિસ્થિતિ પ્રમાણે તેણે બદલાવું જોઇએ અને ચોકકસ વિચારધારાથી વેગળા રહેવું જોઇએ.

વાસ્તવમાં આ જ સંઘનું વિચાર કેન્દ્ર છે અને ગાઝીયાબાદમાં તેમણે જે કંઇ કહ્યું તે આશ્ચર્યજનક છે. મુસ્લિમોને ફરીથી ખાતરી આપવા માટે શબ્દો પૂરતા નથી. તેમણે સંઘને વિશ્વાસમાં લઇ લઘુમતીઓ પ્રત્યેની પોતાની વિચારધારા સાથે આત્મસાત કરવો પડશે અને તેને સંઘની કેન્દ્રીય વિચારધારાના પરિપ્રેક્ષ્યમાં મૂલવવું પડશે. ‘હિંદુઓ અને મુસ્લિમો’ના ડી.એન.એ. સમાન છે’ એવું કહીને તેમણે કંઇ નવી વાત નથી કરી. તેમના પુરોગામીઓએ પણ આ જ વાત કરી હતી કે હિંદુઓ અને મુસ્લિમોના પૂર્વજો એક હતા.

ઐતિહાસિક દૃષ્ટિએ આ વાત બરાબર હશે, પણ રાજકીય દૃષ્ટિએ સમાજમાં ખાઇ અને અસલામતી વધારનાર નીવડશે. તેથી ડો. ભાગવતનાં મંતવ્યોને એક ઝાટકે ફગાવી દેવા કરતાં સંઘ પરિવાર સહિતને જોડી વ્યાપક ચર્ચા થવી જોઇએ. અયોધ્યામાં રામ મંદિરના નિર્માણ સાથે ઉત્તર પ્રદેશમાં ભારતીય જનતા પક્ષ વિધાનસભાની ચૂંટણી લડવાની તૈયારી કરી રહ્યો છે અને એ રાજયમાં ડો. ભાગવતે આ વિધાન કર્યાં છે. તેથી હવે ડો. ભાગવતે માત્ર મુસલમાનો જ નહીં, પણ બહુમતી બિનસાંપ્રદાયિક વસ્તીના નમનમાંથી શંકા દૂર કરવી પડશે. ડો. ભાગવતના વિધાનથી વિવાદ શમી નથી જવાનો કે સંઘના હાર્દ સમી વિચારધારા મોળી નથી પડવાની, પણ વિવિધતાભર્યા ભારતીય સમાજને અનુરૂપ તેને ઢાળી શકાશે.     – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top