Comments

કોરોના પછી હવે વરસાદી પાણી દેશની આર્થિક રાજધાનીને કેમ થંભાવી રહ્યું છે?

ફરી એક વાર મુંબઈમાં પાણીએ જનજીવન અસ્તવ્યસ્ત કરી નાખ્યું છે.આ સ્થિતિને કારણે માત્ર મુંબઈ,મહારાષ્ટ્ર,ગુજરાત માટે નહિ, આખા દેશને ચિંતા છે કે દર વખતે કેમ આવું થાય છે? કેમ કરોડોના ટેક્ષ ઉઘરાવતી સરકાર એવું કોઈ નક્કર આયોજન નથી કરતી કે દેશની આર્થિક રાજધાની ગણાતી મુંબઈ વરસાદમાં થંભી ન જાય? દર વખતે જયારે જયારે વરસાદ થાય એટલે મુંબઈ કોર્પોરેશનના અધિકારીઓ અને શાસક નેતાઓ ઠાલાં વચનો આપીને ઠેકાણે પડી જાય છે અને મુંબઈવાસીઓ ભગવાન ભરોસે રહી જાય છે.વાત માત્ર મુંબઈ પૂરતી મર્યાદિત નથી, મુંબઈ સાથે આખા દેશના વેપારી તાર જોડાયેલા છે એટલે દર વરસાદે માત્ર મુંબઈ નહિ, આખો દેશ હેરાન થાય છે,છતાં કોઈ નિરાકરણ કેમ નથી આવતું એ સમજાતું નથી. 

મુંબઈના પાણી ભરાવા અને વરસાદ પડતાં ઊભી થતી તકલીફો શોધવાનાં કેટલાંક કારણો જાણવાનો પ્રયાસ કર્યો તો જાણવા મળ્યું કે સાત બેટને એકબીજા સાથે જોડીને આ શહેર તૈયાર કરવામાં આવ્યું હતું, જે મુંબઈની ઐતિહાસિક ઓળખ પણ છે.આ સાત બેટ પર કુલ 22 ટેકરીઓ છે, ખાડી અને સમુદ્ર વચ્ચેની 22 નાની-મોટી ટેકરીઓ પર વસેલા મુંબઈ શહેરની ભૌગોલિક સ્થિતિ પૂરની સ્થિતિ ઊભી કરે છે.ઘાટકોપરથી ભાંડુપ વચ્ચે આજે પણ ટેકરીઓની માળા આવેલી છે. આ ટેકરીઓની માળાની પૂર્વ દિશામાં આવેલો પ્રદેશ સપાટ છે.

પૂર્વમાં થાણા નદી વહેતી હતી એવો ઉલ્લેખ બૉમ્બ ગેઝેટમાં છે. એટલે કે એક તરફ ટેકરીઓ, બીજી તરફ ખાડી અને વચ્ચે સમથળ પ્રદેશ હોવાથી અહીં પાણી ભરાય છે.શીવ અને કુર્લા વચ્ચે ખાડી અને દલદલનો ભાગ હતો. પહેલી રેલવે લાઇન નાંખતી વખતે આ ભાગને ભરી દેવામાં આવ્યો ને પછી શહેર વિકસિત થયું.વાત આટલે જ અટકી નહિ, આ ખાડીઓ સાથે અનેક જગ્યાએ જ્યાં દલદલવાળો પ્રદેશ હતો ત્યાં પુરાણકામ કરવામાં આવ્યું.હવે જ્યાં પૂરણકામ થયું છે એ નીચાણવાળો વિસ્તાર છે એટલે ત્યાં પાણી ભરાય છે. સાયન ચુનાભટ્ટી, દાદર પશ્ચિમ અને મુંબઈના અનેક વિસ્તારો પૂરાણકામ કર્યા બાદ જ અસ્તિત્વમાં આવ્યા છે. આ જ કારણોથી આ વિસ્તારોમાં પાણી ભરાય છે.

આ ઉપરાંત મુંબઈ ની ભૌગોલિક સ્થિતિ પણ સમજવી પડશે.મુંબઈની ત્રણ તરફ સમુદ્ર છે. મુંબઈનો દરિયાકિનારો મેન્ગ્રુવ્ઝનાં જંગલો વચ્ચે સુરક્ષિત છે.મેન્ગ્રુવ્ઝનાં જંગલો સમુદ્રના પાણીનો વેગ ઓછો કરે છે અને જમીનમાં પાણીને પ્રસરી જતું અટકાવે છે.જયારે મુંબઈમાં વસાહતો અને ઇમારતો ઊભી કરવાની પ્રક્રિયામાં છેલ્લાં થોડાં વર્ષોમાં મેન્ગ્રુવ્ઝનાં જંગલોનો મોટા પાયે ખાત્મો કરવામાં આવ્યો છે.

મુંબઈમાં પાણીનું ભરાવું એ કોઈ નવી સમસ્યા નથી, પણ આટલા મોટા પ્રમાણમાં પાણી ભરાવાની ઘટના છેલ્લાં 10-15 વર્ષોથી વધી છે.એની પાછળ વરસાદની પેટર્ન પણ જવાબદાર દેખાય છે. છેલ્લા કેટલાક સમયથી મુંબઈમાં ટૂંકા ગાળામાં મુશળધાર વરસાદ વરસે છે, જેનાથી વિસ્તારોમાં પાણી ભરાઈ જાય છે. ભરતી અને ઓટની સ્થિતિની પણ તેની પર અસર થાય છે. મુશળધાર વરસાદ વખતે જો દરિયામાં ચાર મીટરથી વધારે ભરતી આવે તો પાણી ભરાઈ જાય. આ ઉપરાંત મુંબઈમાં વરસાદી પાણી નિકાલની પણ વ્યવસ્થા કદાચ પાણી ભરાવા માટે જવાબદાર છે.મુંબઈમાં વરસાદી પાણીના નિકાલ માટે પાઇપની મદદથી પાણીને સમુદ્રમાં છોડવામાં આવે છે. જો કે ભરતી વખતે ભરતીનું પાણી અંદર ન આવી જાય એ માટે દરવાજા બંધ કરી દેવામાં આવે છે, જેથી વરસાદી પાણીનો નિકાલ થઈ શકતો નથી.

આટલું ઓછું હોય તેમ મુંબઈ શહેરનો વધતો વ્યાપ અને આયોજનનો અભાવ પણ પાણી ભરાવા માટે જવાબદાર છે. થોડાં વર્ષો પૂર્વે મુંબઈનો વિસ્તાર અંદાજે 400 સ્ક્વેર કિલોમીટર હતો, જે હવે 603 સ્ક્વેર કિલોમીટર છે.આ વિસ્તાર વધ્યો છે એની પાછળ પણ પુરાણ જવાબદાર છે.પુરાણ કરીને જ આ વિસ્તાર વધારવામાં આવ્યો છે. હવે જયારે આ પુરાણ કરીને વ્યાપ વધારે રહ્યો હતો ત્યારે આયોજન કરનારાઓએ ડ્રેનેજ, રસ્તા તથા પાણીના નિકાલ અંગે કોઈ આયોજન વિચાર્યું જ નહિ હોય. આ લોકો ભૂલી ગયા કે શહેરના આયોજન વખતે ચાર ભૌગોલિક મુદ્દાઓનું ધ્યાન રાખવાનું હોય છે. ટેકરીઓ, ટેકરીઓના ઢાળ, નદીઓ અને નાળાં. નકશા પર આની નોંધ લીધા પછી મુખ્ય વાત એ હોય છે કે કામગીરીમાં આ આ પૈકી એકને પણ અસર ન થવી જોઈએ. જો કે મુંબઈના નિર્માણમાં આ બાબતોની ઘોર અવગણના થઈ છે.

મુંબઈનો ઇતિહાસ કહે છે કે બ્રિટિશરોએ મુંબઈમાં પાણીના નિકાલ માટે શ્રેષ્ઠ રસ્તાઓ આપ્યા હતા. વર્લીમાં મોટી ડ્રેનેજ લાઇન હતી. પણ એ વખતે અર્ધશહેરી વિસ્તારો મ્યુનિસિપલ કૉર્પોરેશનમાં નહોતા આવ્યા. આ વિસ્તારો 1951 માં મ્યુનિસિપાલિટીની કામગીરી હેઠળ આવ્યા.આ વિસ્તારોના વિકાસ દરમિયાન અગાઉ નોંધે લેવાયેલા મુદ્દાઓને ધ્યાને રાખવામાં ન આવ્યા. જેથી આ વિસ્તારોમાંથી પાણીના નિકાલ માટે કોઈ ડ્રેનેજ વ્યવસ્થા ન રહી. રસ્તાઓ બનાવતી વખતે બન્ને તરફ ઢાળ હોવો જોઈએ અને આ સાથે બન્ને તરફ ગટર હોવી જોઈએ, જેથી પાણી એમાં વહી જઈ શકે. રસ્તા બનાવતી વખતે આ કામગીરી ન થઈ.

પહેલાંના સમયમાં મુંબઈમાં એકસાથે કામ કરતાં જૂજ સરકારી એકમો હતાં. જેમાં બીએમસી (બૃહદ મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન), પોર્ટ ટ્રસ્ટ અને રેલવે મહત્ત્વનાં હતાં. હવે આ એકમો વધ્યાં છે.હાલમાં મુંબઈમાં એમએમઆરડીએ, એમએસઆરડીસી, એમએચએડીએ, એમએમઆરસી, રિલાયન્સ ઍનર્જી, રેલવે, મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન, વન વિભાગ, પબ્લિક વર્ક્સ ડિપાર્ટમેન્ટ, પોર્ટ ટ્રસ્ટ, પોસ્ટ, આર્મી, ઍરપૉર્ટ ઑથૉરિટી કાર્યરત છે.ઘણી વખત એવું બને છે કે આ એકમો વચ્ચે સમન્વય ન હોય.

બીએમસીનું નાણાંકીય વર્ષ 2021-22 નું બજેટ અંદાજે 39 હજાર કરોડ રૂપિયા જેટલું છે. જે કોઈ નાના યુરોપિયન દેશના બજેટ જેટલી રકમ છે.હવે તમે જો આટલા બજેટમાં મુંબઈના પાણીનિકાલની યોગ્ય વ્યવસ્થા ન કરી શકતા હોય તો પછી આ સરકાર કે સરકારી આયોજનનું કરવાનું શું? દર વખતે મુંબઈમાં વરસાદ પૂરો થાય એટલે કેટલાક લોકો મુંબઈવાસીઓનો જોશ ફરીથી કામે લાગ્યો,મુંબઈનું જીવન ફરીથી રાબેતા મુજબ ધબકતું થયું,મુંબઈવાસીઓના ઝસબાને સલામ વગેરે વગેરે સમાચારો ચલાવી સરકાર કે સરકારી અધિકારીઓ યુક્તિપૂર્વક એમની પાણીમાં ગયેલી શાખ અને નિષ્ફ્ળતાને ઢાંકી દે છે.

દર વખતે સમાચારોમાં મુંબઈનું પાણી છવાઈને ગાયબ થઇ જાય છે,પણ કયારેય કોઈ સરકાર કે સરકારી તંત્ર એના કાયમી નિકાલનું આયોજન કરતું નથી, કયારેય કોઈ અધિકારી કે નેતા એવું નથી વિચારતો કે હવે મુંબઈમાં પાણીના કારણે આયોજન નહિ ખોરવાય,કદાચ એટલા માટે કે દેશના ખૂણે ખૂણેથી મુંબઈમાં રોજગારી શોધવા આવેલા,મુંબઈમાં કંઈક કરી બતાવવા માટે આવેલા લોકોનો ધંધો રોજગાર પાણીમાં છીનવાઈ જાય છે એમ નેતાઓ અને અધિકારીઓનો ધંધો રોજગારી પાણીમાં નથી છીનવાતી. એક બાજુ કોરોના ને બીજી બાજુ પાણી દેશની આર્થિક રાજધાનીને થંભાવી રહ્યાં છે.           – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top