Dakshin Gujarat

બારડોલીના મીંઢોળા નદી પરના પુલ પર પાંચ જ વર્ષમાં તિરાડો પડવા લાગી

બારડોલી: (Bardoli) બારડોલીથી ધુલિયા ચોકડી પર જતાં મીંઢોળા નદી (River) પર પાંચ વર્ષ પૂર્વે બનેલા બે પુલ પૈકી એક પુલની એપ્રોચની દીવાલમાં મોટી તિરાડ પડતાં પુલની મજબૂતાઈ સામે સવાલો ઊભા થયા છે. જો કે, બે નવા પુલની (Bridge) વચ્ચે આવેલો વર્ષો જૂનો પુલ આજે પણ અડીખમ હોવાથી લોકોમાં નવા પુલની કામગીરીમાં કથિત ભ્રષ્ટાચાર થયો હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે.

  • બારડોલીમાં નવા પુલની દીવાલમાં તિરાડ
  • મીંઢોળા નદી પર પાંચ વર્ષ પૂર્વે જ બે પુલ બનાવાયા હતા, જે પૈકી એક પુલની એપ્રોચની દીવાલમાં ફાટ પડી
  • ધ્યાન ન આપવામાં આવે તો મોટી દુર્ઘટનાની આશંકા

બારડોલી નજીકથી મીંઢોળા નદી પર વર્ષો જૂનો સાંકડો પુલ હોય આજથી પાંચ સાત વર્ષ પહેલા ટ્રાફિક જામની સ્થિતિ રહેતી હતી. આ ટ્રાફિકના નિવારણ માટે વર્ષ-2016માં તત્કાલિન જિલ્લા પંચાયત પ્રમુખ સ્વ.સુરેશ પટેલના હસ્તે મીંઢોળા નદીના જૂના પુલની બંને બાજુ બે નવા પુલ બનાવવા માટે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. અંદાજિત 15 કરોડના ખર્ચે તૈયાર થયેલા આ પુલની 2017ની વિધાનસભા ચૂંટણી પૂર્વે લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

આ પુલના લોકાર્પણને હજી તો માંડ પાંચ વર્ષ થયાં છે ત્યાં તો તેની દીવાલો પર તિરાડ પડવા લાગી ગઈ છે. માર્ગ-મકાનની કચેરીની બાજુમાં જ આવેલા આ પુલની બારડોલી તરફના એપ્રોચ પર મસમોટી તિરાડ પડી ગઈ છે. જે આગામી સમયમાં વાહન ચાલકો માટે જોખમી સાબિત થાય તેમ છે. તિરાડ એટલી મોટી છે કે દીવાલનો એક આખો ભાગ જ અલગ થઈ ગયો છે. જો ધ્યાન ન આપવામાં આવે તો મોટી દુર્ઘટનાની આશંકા સેવાઇ રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં અલગ અલગ જગ્યા નવા અને નિર્માણાધીન પુલ તૂટી પડવાની અનેક ઘટનાઓ સામે આવી છે ત્યારે બારડોલીના આ પુલમાં પણ ભ્રષ્ટાચાર થયો હોવાની શક્યતા નકારી શકાય તેમ નથી.

મીંઢોળા નદી પર વર્ષો જૂનો પુલ આજે પણ અડીખમ
મીંઢોળા નદી પર વર્ષો જૂનો પુલ આજે પણ અડીખમ છે. જ્યારે એની આજુબાજુ નવા બનાવવામાં આવેલા બંને પુલ પૈકી બારડોલીથી ધુલિયા ચોકડી તરફ જતા પુલ પર તિરાડ પડી છે. તો ધુલિયા ચોકડીથી બારડોલી તરફ આવતો પુલ બન્યો ત્યારથી ચોમાસાની સિઝનમાં બંધ કરી દેવો પડે છે. આ પુલ પર ચોમાસામાં મસમોટા ખાડા પડી જતાં હોવાથી ચોમાસામાં વારંવાર બંધ કરી દેવામાં આવે છે. હાલમાં પણ ટ્રીટમેન્ટના નામે આ પુલ બંધ હોય જૂના પુલ પરથી જ વાહનોની અવરજવર થઈ રહી છે.

Most Popular

To Top