Entertainment

મિસ્ટર પરફેક્શનિસ્ટ’ ફરી બનશે દુલ્હા, 5 જુલાઈએ કરશે ગૌરી સ્પ્રેટ સાથે ત્રીજા લગ્ન

View Post

બોલિવુડના ‘મિસ્ટર પરફેક્શનિસ્ટ’ તરીકે જાણીતા આમિર ખાન ફરી એકવાર પોતાના અંગત જીવનને કારણે ચર્ચામાં આવ્યા છે. 61 વર્ષની ઉંમરે આમિર ખાન પોતાની ગર્લફ્રેન્ડ ગૌરી સ્પ્રેટ સાથે ત્રીજા લગ્ન કરવા જઈ રહ્યા છે. બંનેના લગ્ન આગામી 5 જુલાઈએ યોજાનાર હોવાનું સામે આવ્યું છે. ખાસ વાત એ છે કે આ લગ્ન ખૂબ જ સાદગીભર્યા અને ખાનગી રીતે કરવામાં આવશે. માહિતી અનુસાર, લગ્ન માટે કોઈ ભવ્ય સમારંભ અથવા મોટી પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું નથી. આમિર અને ગૌરી બંને આ પ્રસંગને પરિવાર અને નજીકના મિત્રો પૂરતો જ મર્યાદિત રાખવા માંગે છે. લગ્ન તેમના ઘરે જ રજિસ્ટર્ડ મેરેજ સ્વરૂપે યોજાશે, જેમાં માત્ર બંને પરિવારના સભ્યો અને કેટલાક ખાસ મિત્રો હાજર રહેશે.

આમિર ખાને એક ઇન્ટરવ્યુ દરમિયાન લગ્ન અંગે વાત કરતાં જણાવ્યું હતું કે તેઓ અને ગૌરી આ પ્રસંગને ખૂબ જ સાદાઈથી ઉજવવા માંગે છે. તેમના જણાવ્યા પ્રમાણે, આ કોઈ ફિલ્મી સ્ટાઈલનો ભવ્ય સમારંભ નહીં પરંતુ એક વ્યક્તિગત અને પારિવારિક પ્રસંગ હશે. ગૌરી સ્પ્રેટનું નામ સૌપ્રથમ વખત ત્યારે ચર્ચામાં આવ્યું હતું જ્યારે આમિર ખાને પોતાના 60મા જન્મદિવસે મીડિયાની સામે તેમનો પરિચય કરાવ્યો હતો. ત્યારબાદ બંને અનેક પ્રસંગોએ સાથે જોવા મળ્યા હતા. છેલ્લા કેટલાક મહિનાઓથી તેમના લગ્ન અંગે ચર્ચાઓ ચાલી રહી હતી, પરંતુ હવે આમિરે ખુદ આ સમાચારની પુષ્ટિ કરી દીધી છે. આમિરે જણાવ્યું હતું કે તેઓ અને ગૌરી એક ગંભીર અને મજબૂત સંબંધમાં છે. તેમણે કહ્યું હતું કે મનથી તો તેઓ પહેલેથી જ પોતાને ગૌરીના પતિ તરીકે માને છે અને હવે આ સંબંધને સત્તાવાર રીતે લગ્નનું નામ આપવાનો સમય આવી ગયો છે. જોકે રસપ્રદ વાત એ છે કે થોડા સમય પહેલા જ આમિરે એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે લગ્ન કરવું તેમની પ્રાથમિકતા નથી અને તેઓ ગૌરી સાથે લગ્ન વગર પણ ખુશ છે. પરંતુ હવે બંનેએ પોતાના સંબંધને આગળ વધારવાનો નિર્ણય લીધો છે.

ગૌરી વિશે વાત કરતાં આમિરે કહ્યું હતું કે તેઓ પોતાને ખૂબ નસીબદાર માને છે કે ગૌરી તેમના જીવનમાં આવી. તેમના જણાવ્યા પ્રમાણે ગૌરી સાથે તેમને માનસિક શાંતિ અને સ્થિરતા મળે છે. આમિરે સ્વીકાર્યું હતું કે તેમના અગાઉના બંને સંબંધો પણ ખૂબ મહત્વના હતા, પરંતુ તે લાંબા સમય સુધી ટકી શક્યા નહોતા. આમિર ખાનના પ્રથમ લગ્ન વર્ષ 1986માં રીના દત્ત સાથે થયા હતા. બંનેએ પ્રેમલગ્ન કર્યા હતા. લગ્ન પછી તેમને બે સંતાનો જુનૈદ અને આયરા થયા હતા. જોકે લગ્નના 16 વર્ષ બાદ બંનેએ અલગ થવાનો નિર્ણય લીધો હતો. છૂટાછેડા પછી પણ બંને વચ્ચે સારો સંબંધ જળવાઈ રહ્યો છે.

રીનાથી અલગ થયા બાદ આમિરના જીવનમાં કિરણ રાવ આવ્યા હતા. બંનેની મુલાકાત ફિલ્મ ‘લગાન’ના શૂટિંગ દરમિયાન થઈ હતી. શરૂઆતમાં મિત્રતા અને પછી પ્રેમમાં બદલાયેલા આ સંબંધે વર્ષ 2005માં લગ્નનું સ્વરૂપ ધારણ કર્યું હતું. લગ્ન બાદ તેમને દીકરો આઝાદ થયો હતો. જોકે લગભગ 15 વર્ષ બાદ બંનેએ પરસ્પર સહમતીથી અલગ થવાનો નિર્ણય લીધો હતો. છૂટાછેડા બાદ પણ આમિર અને કિરણ વચ્ચે મિત્રતાભર્યો સંબંધ યથાવત રહ્યો છે અને બંને અનેક પ્રોજેક્ટમાં સાથે કામ કરતા જોવા મળ્યા છે. હવે ગૌરી સ્પ્રેટ સાથેના સંબંધને લઈને આમિર ખૂબ જ ખુશ અને ઉત્સાહિત જોવા મળી રહ્યા છે. બોલિવૂડમાં પણ તેમના આ નિર્ણયને લઈને ચર્ચા શરૂ થઈ ગઈ છે. ચાહકો હવે 5 જુલાઈની રાહ જોઈ રહ્યા છે, જ્યારે આમિર ખાન પોતાના જીવનના નવા અધ્યાયની શરૂઆત કરશે. 61 વર્ષની ઉંમરે ત્રીજી વખત લગ્ન કરવા જઈ રહેલા આમિર ખાન માટે આ માત્ર એક નવો સંબંધ નહીં, પરંતુ જીવનમાં ફરી એકવાર પ્રેમ અને સાથનો વિશ્વાસ વ્યક્ત કરવાની તક પણ બની રહી છે.

Most Popular

To Top