Dakshin Gujarat

અંકલેશ્વર સેસન્સ કોર્ટે બે આતંકીને છેલ્લા શ્વાસ સુધી આજીવન કેદની સજા ફટકારી

ભરૂચ, અંકલેશ્વર: અમદાવાદ ATS દ્વારા વર્ષ-૨૦૧૭માં ઇસ્લામિક સ્ટેટ અને ISISના અંકલેશ્વર તેમજ સુરત ખાતેથી ઝડપી પાડેલા 2 આતંકીને અંકલેશ્વર સેશન્સ કોર્ટે અંતિમ શ્વાસ સુધી આજીવન કેદની સજા ફટકારી દીધી છે.

  • સોશિયલ મીડિયા પર આતંક ફેલાવવા સાથે 4 યુવાનને પણ હુમલા માટે તૈયાર કર્યા હતા
  • ભરૂચના સરકારી વકીલ પરેશ પંડ્યાની દલીલો ગ્રાહ્ય રાખી સેસન્સ જજ કલોતરાએ સજા ફરમાવી
  • 75 સાહેદ, પેન ડ્રાઈવ, મોબાઈલ, લેપટોપ, સર્વેલન્સ ડેટા, ડિજિટલ પુરાવા રજૂ કરાયા

મૂળ વડોદરાનો મહંમદ કાસીમ સ્ટીમ્બરવાલા ઉર્ફે અબુ હામઝા અલ મોહજીર સુરત રહેતો હતો, અને લેબ ટેક્નિશિયન તરીકે અંકલેશ્વરની સરદાર પટેલ હોસ્પિટલમાં નોકરીએ જોડાયો હતો. જ્યારે સુરત દાવત રેસ્ટોરન્ટ ચલાવતો વકીલ ઉમેદ અહેમદ ઉર્ફે ઉબેદ મિર્ઝા ૨૦૧૪થી ગુજરાતમાં આતંકી હુમલાને અંજામ આપવાની પેરવી રચી રહ્યો હતો.

બંને આતંકી ઇસ્લામિક સ્ટેટ અને ISIS સાથે જોડાયેલા હતા. લોન વુલ્ફ એટેક માટે હથિયારો પણ એકત્ર કરવાની ફિરાકમાં હતા. અમદાવાદમાં હુમલા માટે ધાર્મિક સ્થળની રેકી પણ કરી ષડયંત્ર રચ્યું હતું. સોશિયલ મીડિયા પર એકાઉન્ટ થકી ટેરર એટેક માટે યુવાનોને ગુમરાહ કરી 4 આતંકી પણ તૈયાર કર્યા હતા. જેઓ ગુજરાત ઉપરાંત હૈદરાબાદ, બેંગ્લુરુ અને કોલકાતામાં પણ આતંકીઓના સંપર્કમાં હતા.

અમદાવાદ ATSએ બંને આતંકીને વર્ષ-2017માં અંકલેશ્વર અને સુરતથી ઝડપી લીધા હતા. જેઓ સામે અંકલેશ્વરની સેશન્સ કોર્ટમાં કેસ ચાલી ગયો હતો. સરકાર તરફે જિલ્લા સરકારી વકીલ પરેશ પંડ્યાએ ઉપસ્થિત રહી ધારદાર દલીલો રજૂ કરી હતી. ટેરર કેસમાં 75 સાહેદો, ATSની તપાસનો નિચોડ, ડિજિટલ, સર્વેલન્સ પુરાવા, ડેટાઓ, લેપટોપ, મોબાઈલ અને પેન ડ્રાઈવ રજૂ કરાયા હતા. જેઓને ગ્રાહ્ય રાખી સેશન્સ જજે બંને આતંકીઓ કાસીમ સ્ટીમ્બરવાલા અને ઉબેદ મિર્ઝાને છેલ્લા શ્વાસ સુધી આજીવન કેદની સજાનો હુકમ શનિવારે કર્યો હતો.

Most Popular

To Top