National

જમ્મુ શહેર બમ બમ ભોલેના નાદથી ગુંજી ઉઠ્યું, કડક સુરક્ષા સાથે અમરનાથ યાત્રાનો પ્રથમ બેચ રવાના

જમ્મુ (Jammu): ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા વચ્ચે બાબા અમરનાથના (Amarnath Yatra) દર્શન માટે આજે બુધવારે વહેલી સવારે જમ્મુ શહેરના બેઝ કેમ્પ ભગવતી નગરથી પ્રથમ ટુકડી રવાના થઈ હતી. જમ્મુ અને કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હાએ સવારે બમ બમ ભોલેના નારાઓ વચ્ચે પ્રથમ બેચને લીલી ઝંડી આપી હતી. તેમણે યાત્રાળુઓની સુખી અને સુરક્ષિત આધ્યાત્મિક યાત્રા માટે પ્રાર્થના કરી હતી. 176 હળવા અને ભારે વાહનોના કાફલામાં 4,890 મુસાફરોની પ્રથમ બેચ સવારે 4 વાગ્યે ભગવતી નગર બેઝ કેમ્પથી નીકળ્યો હતો. પરંપરાગત બાલતાલ અને પહેલગામ રૂટ પર પ્રથમ બેચ તરીકે આ બેચ આવતીકાલે ગુરુવારે સવારે પવિત્ર ગુફા માટે સત્તાવાર રીતે રવાના થશે. દેશભરમાંથી હજારો શિવભક્તોના આગમનથી સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું છે. આકરી ગરમી અને ભેજ વચ્ચે પણ ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

અમરનાથ યાત્રાને ધ્યાનમાં રાખીને જમ્મુ-કાશ્મીરમાં કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. આજે રવાના થયેલા ત્રણ હજારથી વધુ શ્રદ્ધાળુઓ સાથે સુરક્ષા દળોની એક ટીમ પણ રવાના કરવામાં આવી છે, જે તેમને સુરક્ષિત રીતે કાશ્મીર ખીણમાં લઈ જશે.  આ દરમિયાન જમ્મુ શહેરના મેયર ચંદ્રમોહન ગુપ્તા, ડેપ્યુટી મેયર, ભાજપના વરિષ્ઠ નેતા દેવેન્દ્ર રાણા, ડિવિઝનલ કમિશનર રમેશ કુમાર, ડીસી જમ્મુ અવની લવાસા અને અન્ય વરિષ્ઠ અધિકારીઓ અને શ્રી અમરનાથ શ્રાઈન બોર્ડના સભ્યો પણ તેમની સાથે હાજર હતા.

કોવિડ મહામારીના કારણે બે વર્ષ બાદ યોજાનારી શ્રી અમરનાથ યાત્રા 2022 માટે શ્રદ્ધાળુઓમાં ભારે ઉત્સાહ છે. જમ્મુ પહોંચેલા હજારો શ્રદ્ધાળુઓએ શહેરનું વાતાવરણ ભક્તિમય બનાવી દીધું હતું. બમ-બમ ભોલે, જય બાબા બર્ફાનીના નાદ આખા શહેરમાં ગુંજી રહ્યા છે. જમ્મુમાં રેલ્વે સ્ટેશન પાસે વૈષ્ણવ દેવી (Vashinovdevi) ધામ, પંચાયત ભવન અને મહાજન હોલ શાલામાર ખાતે તીર્થયાત્રીઓની તાત્કાલિક નોંધણી કરવામાં આવી રહી છે. તેવી જ રીતે શ્રી રામ મંદિર પુરાણી મંડીમાં પણ સેંકડો સાધુ-સંતોની તાત્કાલિક નોંધણી કરવામાં આવી રહી છે. જમ્મુથી પ્રથમ બેચમાં સાધુ સંતો પણ યાત્રાળુઓ સાથે રવાના થયા હતા.

રેલ્વે સ્ટેશન પાસે આવેલા સરસ્વતી ધામમાંથી યાત્રિકોને ટોકન આપવામાં આવી રહ્યા છે, જેમાં સમય અને તારીખ પ્રમાણે ત્વરિત રજીસ્ટ્રેશનની સુવિધા આપવામાં આવી રહી છે. મુસાફરોની સુવિધા અને સલામતીને ધ્યાનમાં રાખીને બેઝ કેમ્પની આસપાસના વિસ્તારને નો-પાર્કિંગ ઝોન બનાવવામાં આવ્યો છે. 

અમરનાથ યાત્રા દરમિયાન લશ્કર-એ-તૈયબા (Lashkar e toiba) દ્વારા આતંકવાદી હુમલાની (Terrorist Attack) ધમકીને ધ્યાનમાં રાખીને આ વખતે સીઆરપીએફની (CRPF) મોટરસાઇકલ સ્ક્વોડને પણ બેચમાં સામેલ કરવામાં આવી હતી. આ સિવાય જમ્મુથી શ્રીનગર (Shirnagar) સુધીના હાઈવે પર સુરક્ષા દળો તૈનાત કરવામાં આવ્યા છે.

સુરતમાંથી 47 યુવાનોનું ગ્રુપ અમરનાથ યાત્રા માટે રવાના
પવિત્ર અમરનાથ યાત્રા જે ૨ વર્ષ પછી ફરી શરુઆત થઈ છે. આ પવિત્ર યાત્રામાં જવા માટે આજ રોજ સુરત શહેરના કાંઠાવિસ્તારમાં આવેલા ગામડાઓ ભીમપોર, ડુમ્મસ, મગદલ્લા,આભવા,વેસુ ના દરીયા ગણેશ ફીટનેશ ગ્રૂપના ૪૭ શ્રધ્ધાળુ યુવાનો દ્વારા બાબા અમરનાથની યાત્રા માટે ખૂબજ આનંદ અને ઉત્સાહ થી રવાના થયેલ છે.

Most Popular

To Top