Dakshin Gujarat

આહવાના શીવઘાટમાં મુસાફરોથી ભરેલી બસ પંદરસો ફૂટ ઊંડી ખીણમાં ખાબકતા બચી જવા પામી

સાપુતારા : ડાંગ જિલ્લાનાં મુખ્ય મથક આહવાથી (Ahawa) સવારે નવ વાગ્યે ઉપડતી આહવા-અમદાવાદ એસ.ટી.બસને(ST Bus) આહવા નજીક શિવઘાટમાં (Shiv Ghat) અકસ્માત (Accident) નડ્યો હતો. જિલ્લા ડિઝાસ્ટર કંટ્રોલ રૂમમાથી મળેલી વિગતો અનુસાર આહવા ડેપોની આહવા-અમદાવાદ એસ.ટી.બસ આજે સવારે આહવા બસ સ્ટેન્ડથી ૯:૩૦ કલાકે ઉપડી હતી. જેને આહવાથી માત્ર ત્રણ જ કિલોમીટરે શિવઘાટમાં અકસ્માત નડ્યો હતો. આ એસટી બસ શિવઘાટના વંળાકમાં પલટી મારી જતા આ રાજ્ય ધોરીમાર્ગ વાહન વ્યવહાર માટે બંધ થવા પામ્યો હતો. સદનસીબે આ બસ પંદરસો ફૂટ ઊંડી ખીણમાં ખાબકતા બચી જવા પામી હતી.

ઇજાગ્રસ્ત મુસાફરોને આહવાની સિવિલ હોસ્પિટલમાં સારવાર અપાઈ
એસટી બસનાં સાત જેટલા મુસાફરોને નાની મોટી ઇજાઓ પહોંચવા સિવાય કોઈ મોટી દુર્ઘટના સર્જાઈ નથી. ડાંગ કલેકટર ધર્મેન્દ્રસિંહજી જાડેજાને ઘટનાની જાણ થતા તાબડતોબ ડિઝાસ્ટર મામલતદાર અર્જુનસિહજી ચાવડા તથા તેમની ટીમને ઘટના સ્થળે રવાના કર્યા હતા. જ્યાંથી સ્થાનિક પોલીસ, પ્રશાસન અને પ્રજાજનોની મદદથી ઇજાગ્રસ્ત મુસાફરોને આહવાની સિવિલ હોસ્પિટલમાં પહોંચાડી તેમને ત્વરિત સારવાર માટેના નિર્દેશ આપ્યા હતા.

મુસાફરોનો ચમત્કારિક બચાવ થતા મોટી દુર્ઘટના ટળી
ડાંગ કલેક્ટરે પણ સિવિલ હોસ્પિટલમાં પહોંચી ઇજાગ્રસ્તોની જાત મુલાકાત લીધી હતી. પોલીસ અધિક્ષક રવિરાજસિંહજી જાડેજાએ આહવા ઘાટ માર્ગ અવરોધતા, વઘઇથી આહવા વચ્ચેનો વાહન વ્યવહાર ચિકટિયાથી જામલાપાડા માર્ગ પર ડાયવર્ટ કરી, અસરગ્રસ્ત માર્ગ બહાલ કરવાની કાર્યવાહી હાથ ધરી હતી. આ અકસ્માતગ્રસ્ત બસનાં ડ્રાયવર શક્તિસિંહ જાડેજા તથા કન્ડક્ટર ગણપતભાઈ ફરજ પર હોવાનું જાણવા મળ્યુ છે. આહવા અમદાવાદ એસટી બસ અકસ્માતમાં તમામ મુસાફરોનો ચમત્કારિક બચાવ થતા મોટી દુર્ઘટના ટળી હતી.

અકસ્માત ઝોન ગણાતા કુંભઘાટ નજીક ટેમ્પોમાં આગ ફાટી નીકળી
નાનાપોંઢા-કપરાડા માર્ગ ઉપર અકસ્માત ઝોન ગણાતા કુંભઘાટ નજીક શુક્રવારે પસાર થતા એક ટેમ્પોમાં કોઈ કારણવસ આગ ફાટી નીકળી હતી. જોકે ચાલકનો આબાદ બચાવ થયો હતો, પરંતુ આગને લઈ ટેમ્પોને ભારે નુકશાન થયું હતું. આ ઘટના અંગે કપરાડા પોલીસનો સંપર્ક કરતા લેન્ડલાઇન ફોન બંધ હોઈ વધુ માહિતી મળી શકી ન હતી. નોંધનીય છે કે, કપરાડા પોલીસ મથકનો ફોન સમયાંતરે બંધ રહે છે.

Most Popular

To Top