National

અદાણી મુદ્દે પહેલીવાર અમિત શાહ બોલ્યા, કહ્યું, ‘આમાં છુપાવવા જેવું કંઈ નથી, ભાજપે ડરવાની જરૂર નથી

નવી દિલ્હી: અમેરિકન ફર્મ હિંડનબર્ગના અહેવાલ બાદ અદાણી ગ્રૂપને લઈને રાજકીય ખળભળાટ મચી ગયો છે. કોંગ્રેસ સતત ભાજપ પર આરોપ લગાવી રહી છે. આ મામલે ગૃહમંત્રી અમિત શાહે પહેલીવાર નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે અદાણી ગ્રુપને લઈને ભાજપ પાસે છુપાવવા જેવું કંઈ નથી. તેમણે કહ્યું કે સુપ્રીમ કોર્ટે આ અંગે સંજ્ઞાન લીધું છે. તેથી આ બાબતે ટિપ્પણી કરવી મારા માટે યોગ્ય નથી.

‘ભાજપે ડરવાની જરૂર નથી’
અદાણી મામલે અમિત શાહને પૂછવામાં આવ્યું કે કોંગ્રેસ આરોપ લગાવી રહી છે તમારી સરકાર અદણીને મદદ કરી રહે છે, કોંગ્રેસે અદાણી અને ભાજપની મિત્રતા પર સવાલો કર્યા હતા. તો એમાં કેટલું સત્ય છે ત્યારે આ મામલે અમિત શાહે કહ્યું કે આ મામલો હવે સુપ્રીમ કોર્ટમાં છે, તેથી આ મામલે કોમેન્ટ કરવી યોગ્ય નહીં કહેવાશે. પરંતુ ભાજપ પાસે છુપાવવા જેવું કંઈ નથી. આપણે ડરવાની પણ જરૂર નથી.

રાહુલ ગાંધીએ આક્ષેપો કર્યા હતા
રાહુલ ગાંધીએ આરોપ લગાવ્યો હતો કે અદાણી 2014માં 609મા નંબરથી આટલા ઓછા સમયમાં બીજા નંબર પર પહોંચી ગયો છે, આ અસલી જાદુ ત્યારે શરૂ થયો જ્યારે મોદીજી દિલ્હી આવ્યા. દેશ જાણવા માંગે છે કે અદાણીનો વડાપ્રધાન સાથે શું સંબંધ છે? સંસદમાં રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સીધો સવાલ પૂછ્યો કે તેઓ ગૌતમ અદાણી સાથે કેટલી વખત વિદેશ પ્રવાસે ગયા, કોન્ટ્રાક્ટ મળ્યા બાદ અદાણીએ કેટલા દેશોની મુલાકાત લીધી અને છેલ્લા 20 વર્ષમાં અદાણીએ ભાજપને કેટલું દાન આપ્યું છે? તેમણે એમ પણ કહ્યું કે એક સમયે પીએમ મોદી અદાણીના વિમાનમાં ઉડાન ભરતા હતા અને હવે અદાણી મોદીના વિમાનમાં ઉડે છે.

આ મામલે નાણામંત્રીએ આ વાત કહી હતી
નાણામંત્રી નિર્મલા સીતારમણે થોડા દિવસો પહેલા કહ્યું હતું કે ભારતની સ્થિતિને કોઈ પણ રીતે અસર થઈ નથી. તેમણે કહ્યું હતું કે નિયમનકારો તેમનું કામ કરશે. રિઝર્વ બેંકે તેનું નિવેદન જાહેર કર્યું છે. તેમણે કહ્યું કે અગાઉ પણ FPO પાછા ખેંચી લેવામાં આવ્યા છે.

સેબી નાણામંત્રીને તપાસ અંગે અપડેટ આપશે
માર્કેટ્સ રેગ્યુલેટર સિક્યોરિટી એન્ડ એક્સચેન્જ બોર્ડ (સેબી) અદાણી ગ્રૂપની રૂ. 20,000 કરોડની ફોલો-ઓન પબ્લિક ઓફર (FPO)ની તપાસ અંગે અપડેટ આપવા માટે 15 ફેબ્રુઆરીએ નાણા પ્રધાન નિર્મલા સીતારમણને મળશે. અદાણી ગ્રૂપના શેરમાં તાજેતરના ઘટાડા દરમિયાન રેગ્યુલેટર દ્વારા હાથ ધરવામાં આવેલા સર્વેલન્સ અંગે સેબી બોર્ડ નાણાં પ્રધાનને માહિતી આપશે. સેબી ઓફશોર ફંડ ફ્લોની તપાસ અંગે નાણા મંત્રાલયને અપડેટ પણ આપશે. સેબી અદાણી ગ્રુપના શેરબજારના રૂટની સઘન તપાસ કરી રહી છે. તે અદાણી ગ્રૂપની બિઝનેસ પેટર્ન, રદ કરાયેલા એફપીઓમાં અનિયમિતતા અને ગ્રૂપના ઓફશોર ફંડની તપાસ કરી રહી છે.

હિન્ડેનબર્ગ દાવો
અમેરિકન રિસર્ચ ફર્મ હિંડનબર્ગે 24 જાન્યુઆરીના રોજ પ્રકાશિત તેના અહેવાલમાં દાવો કર્યો છે કે અબજોપતિ ગૌતમ અદાણીએ તેની લિસ્ટેડ કંપનીઓના શેરના ભાવમાં ચેડાં કરવા માટે મોરેશિયસ સ્થિત શેલ કંપનીઓનો ઉપયોગ કર્યો છે. હિંડનબર્ગે તેના અહેવાલમાં દાવો કર્યો છે કે અદાણી ગ્રુપની લિસ્ટેડ સાત કંપનીઓ 85 ટકા ઓવરવેલ્યુડ છે. અહેવાલમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે અદાણી જૂથ દાયકાઓથી સ્ટોકની હેરાફેરી અને મની લોન્ડરિંગમાં વ્યસ્ત છે.

Most Popular

To Top