Gujarat

મોરબી દુર્ઘટનાના કસૂરવારો સામે સરકારે શું પગલાં લીધા? હાઈકોર્ટે માંગ્યો જવાબ

અમદાવાદ: ગુજરાતના (Gujarat) મોરબીમાં (Morbi) ઝુલતો પુલ (Julto Pul) દુર્ઘટના મામલે ગુજરાત હાઈકોર્ટે (Gujarat High Court) સુઓ મોટો (Suo Moto) દાખલ કરી છે. તેમજ ગૃહ વિભાગ, શહેરી આવાસ, મોરબી નગરપાલિકા, રાજ્ય માનવ અધિકાર આયોગ સહિત રાજ્ય સરકારના અધિકારીઓને નોટિસ (Notice) પણ પાઠવી છે. કોર્ટે કડક શબ્દોમાં રાજ્ય સરકારને એક સપ્તાહમાં સમગ્ર ઘટનાનો રિપોર્ટ કોર્ટમાં રજૂ કરવા આદેશ કર્યા છે. આગામી સુનાવણી 14 નવેમ્બરે થશે.

એક રિપોર્ટ અનુસાર ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસનું માનવું છે કે આ એક કાળજું કંપાવનારી ઘટના હતી જેમાં અનેક લોકો કમોત મર્યા હતા. ઉલ્લેખનીય છે કે મોરબીમાં ઝુલતા પુલ પર સક્ષમતા કરતા વધુ સહેલાણીઓ ભેગા થઈ જતા 30 ઓક્ટોબરે 135થી વધુ લોકોએ જીવ ગૂમાવ્યો હતો. આ દુર્ઘટનાથી ગુજરાત જ નહીં પણ દેશ હચમચી ગયો હતો. રાજ્ય સરકાર દોડતી થઈ ગઈ હતી.

રાહત બચાવ કાર્ય બાદ કસૂરવારો સામે પગલાં લેવાની તંત્ર દ્વારા કાર્યવાહી કરાઈ હતી. જોકે, હવે આ મામલે ગુજરાત હાઈકોર્ટે સરકાર પાસે જવાબ માંગ્યો છે. મોરબી દુર્ઘટના મામલે ગુજરાત સરકારે કસૂરવારો સામે શું કાર્યવાહી કરી તેનો રિપોર્ટ 10 દિવસમાં સબમીટ કરવા હાઈકોર્ટે આદેશ કર્યો છે. આ મામલે આગામી સુનાવણી 14મી નવેમ્બરે થશે. ઉલ્લેખનીય છે કે આ પુલ તૂટી પડવાની ઘટના સંબંધે હાલમાં જ પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ હાઈકોર્ટને પત્ર લખીને આ મામલે સુઓમોટો દાખલ કરવાની વિનંતી કરી હતી.

30મી ઓક્ટોબરે મોરબીનો ઝૂલતો પુલ તૂટી પડ્યો હતો
30 ઓક્ટોબર રવિવારે રાત્રે મોરબીનો ઝુલતો પુલ તૂટી પડ્યો હતો. રવિવારની રજા અને દિવાળી વેકેશન હોવાથી 500 લોકો આ ઝુલતા પુલની મુલાકાત લેવા માટે પહોંચ્યા હતા. એવો દાવો કરવામાં આવી રહ્યો છે ઝુલતા પુલ પર 400થી વધુ લોકો પુલ પર હાજર હતા. ઘણા સહેલાણીઓ પોતાના પરિવાર સાથે પુલ જોવા માટે પહોંચ્યા હતા. તેમાંથી ઘણાં લોકો સેલ્ફી અને ફોટો કિલ્ક કરી રહ્યા હતા ત્યારે અચાનક જ ઝુલતો પુલ વચ્ચેથી તૂટી પડ્યો હતો અને 400 લોકો મચ્છુ નદીમાં પડી ગયા હતા.

આ દુર્ઘટનામાં 135 લોકોના મોત થયા
આ ઘટનાની જાણ થતાં જ બચાવ કર્મીઓ તેમજ NDRF, SDRFની ટીમો ઘટના સ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનામાં ત્રણ દિવસ સુધી NDRF, SDRFના જવાનો સહિત આર્મી, નેવી અને એરફોર્સ સહિતની સેનાની ત્રણેય પાંખ સર્ચ-ઓપરેશન કર્યું હતું. 15થી વધુ લાઈફ બોટ સાથે જવાનો સતત શોધખોળ કરી રહ્યા હતા. મોરબી દુર્ઘટનામાં અત્યાર સુધી 135 લોકોનાં મોત થયા હતા. મુખ્યમંત્રી, ગૃહમંત્રી સહિતના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી આવ્યા હતા. આ દરમિયાન વડાપ્રધાન મોદી ગુજરાતની મુલાકાતે હતા તેથી પીએમ મોદી બીજા દિવસે મોરબી દુર્ઘટનાના પીડિતોને મળ્યા હતાં.

Most Popular

To Top