Gujarat

અમદાવાદ જુહાપુરાના કુખ્યાત અઝહર કિટલીને ભરૂચથી ગુજરાત ATS એ પકડી પાડ્યો

ભરુચ: અમદાવાદ (Ahmedabad) જુહાપુરાના કુખ્યાત અઝહરને ગુજરાત એટીએસ (ATS) એ ભરૂચના દહેગામ રોડ પર આવેલા અલમુકામ ખાતેથી ઝડપી પાડ્યો છે. 1.25 કરોડની ખંડણી સહિત 25 ગંભીર ગુનામાં સંડોવાયેલ અઝહર ઉર્ફે કિટલી (Azhar Kitli) ભરૂચમાં (Bharuch) કોઈ મોટા ગુનાને અંજામ આપવા આવ્યો હોવાની શંકા સેવાઇ રહી છે.

ગુજરાત ATSના નાયબ પોલીસ અધિક્ષક બી.પી.રોજીયાને બાતમી મળી હતી કે, ધાક ધમકી, પૈસા પડાવવા તથા મારામારીના અનેક ગુન્હાઓમાં વોન્ટેડ અઝહર ઉર્ફે કીટલી ભરૂચમાં દહેગામ રોડ ઉપર અલમુકામ સોસાયટી ખાતે હાજર છે. ATSની ટીમે વોન્ટેડ આરોપી અઝહર ઇસ્માઇલ શેખ રહે. લતીફ મજીદ, જુહાપુરા, અમદાવાદને રવિવારે દહેગામ રોડ, ભરૂચની સોસાયટીમાં રેડ દરમ્યાન પકડી પાડી અમદાવાદ લઈ ગઈ હતી.

અઝહર ઉર્ફે કીટલીની એ.ટી.એસ. અમદાવાદ ખાતે વધુ પૂછપરછ કરતા તેના ઘરેથી તેની એક્ટીવાની ડીકીમાંથી વગર લાયસન્સની 1 પિસ્ટલ, 1 દેશી તમંચો, 6 જીવતા રાઉન્ડ, 1 છરો તથા 1 રામપુરી ચપ્પૂ મળી આવ્યા હતા. વધુ પૂછપરછમાં હકીકત બહાર આવી હતી કે, તેણે અને તેની ગેંગે અમદાવાદના સાંતેજ ખાતે 8 મહિના પહેલા એક જગ્યાએ આશરે 1.5 કરોડની લૂંટને અંજામ આપ્યો હતો.

અઝહર શેખે તેના સાગરીતો સાથે મળી અમદાવાદ શહેર તથા જિલ્લાના વિવિધ વિસ્તારમાં ધાક ધમકી, બળજબરીથી પૈસા પડાવવા, ખંડણી, ફાયરિંગ, મારામારી તથા જાનથી મારી નાખવાની ધમકી સહિતના 25 જેટલા ગંભીર પ્રકારના ગુના આચરેલા છે. જેમાં કેટલાક ગુન્હાઓમાં તે વોન્ટેડ છે. હાલ પણ આવા ગુન્હા આચરવાની પ્રવૃતિ ચાલુ હોવાનું જાણવા મળ્યું છે. જુહાપુરામાં વર્ષ 2018 અને 2019ના ફાયરિંગના ગુનામાં પણ વોન્ટેડ એવો અઝહર ભરૂચમાં કયા આશયથી આવ્યો હતો જેને લઈ પોલીસ વધુ પૂછપરછ કરી રહી છે.

Most Popular

To Top