સાંપ્રત સમયમાં શિક્ષણ એક વેપાર બની ગયું છે. નર્સરી, કે.જી. જેવા કલાસોની વાર્ષિક ફી લાખોમાં હોય છે. તો પ્રાથમિક, માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક ધોરણોની તોતિંગ ફી વસૂલતી ખાનગી શાળાઓની તો વાત જ શી કરવી? વળી ચોપડા, સ્વેટર, સ્કૂલ બસ, કયારેક સ્કૂલ બેગ વગેરે પણ વાલીઓ પાસે શાળા પાસે જ લેવડાવવાનો આગ્રહ રાખે છે, કહો કે ફરજ પાડે છે. જે માટે વાલીઓ પાસે હજારો રૂપિયા પડાવાય છે. ડોનેશન કે નવા એડમિશનના નામે પણ મસમોટી રકમ પડાવાય છે. વળી, આજના સ્પર્ધાત્મક યુગમાં પોતાનું બાળક અન્યોથી પાછળ ન રહી જાય, માટે વાલીઓ, દેવા, શૈક્ષણિક લોન લઇને પણ ગજા ઉપરાંતનો ખર્ચ કરે છે. સરકારી શાળામાં સારું શિક્ષણ ન મળે એવા પૂર્વગ્રહને કારણે મફત શિક્ષણ પૂરું પાડતી સારી, સુવિધાયુકત સરકારી શાળાઓ પ્રત્યે ઓરમાયું કે ઉપેક્ષિત વલણ જોવા મળે છે. આજથી ચાળીસ પચાસ વર્ષ પહેલા સરકારી શાળાઓ વિદ્યાર્થીઓથી ભરેલી રહેતી.
જેમાં ગરીબ તવંગર સાથે બેસીને શિક્ષણ લેતા. આજે એ જ વેરાન પડેલી સરકારી શાળાઓ શોપિંગ કોમ્પ્લેકસ કે અન્ય ધંધાકીય બાંધકામોથી દૃશ્યમાન થાય છે. નેપાળા નવા ચૂંટાયેલા વડાપ્રધાન બલેન શાહે એવો આદેશ જારી કર્યો છે કે જેમાં અધિકારીઓને પોતાના બાળકોને ભણાવવા સરકારી શાળાઓનો ઉપયોગ કરવાની ફરજ પાડવામાં આવી છે.
સુરત – કલ્પના વિનોદ બામણીયા– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે