ગુરુવારે બપોરે 2:00 વાગ્યે દિલ્હી એરપોર્ટ પર સ્પાઇસજેટની એક ફ્લાઇટ પાર્કિંગ વિસ્તારમાં પાર્ક કરેલા અકાસા એર વિમાન સાથે અથડાઈ ગઈ. આ ઘટનામાં સામેલ તમામ મુસાફરો અને ક્રૂ સભ્યો સુરક્ષિત છે. સ્પાઇસજેટ વિમાનની જમણી પાંખને નુકસાન થયું હતું જ્યારે અકાસા એર વિમાનની ડાબી પાંખ તૂટી ગઈ હતી.
આ ઘટના બાદ સ્પાઇસજેટ વિમાનને દિલ્હી એરપોર્ટ પર ગ્રાઉન્ડ કરવામાં આવ્યું છે અને તેનો ઉપયોગ ફ્લાઇટ કામગીરી માટે કરવામાં આવશે નહીં. FlightRadar24 અનુસાર લેહથી આવી રહેલ સ્પાઇસજેટ વિમાન તેના નિયુક્ત ગેટ તરફ ટેક્સી કરી રહ્યું હતું જ્યારે અકાસા એર વિમાન તેના પ્રસ્થાન માટે પુશબેક પ્રક્રિયાઓમાંથી પસાર થઈ રહ્યું હતું ત્યારે આ ટક્કર થઈ હતી.
એરલાઇનના ક્ષતિગ્રસ્ત વિમાનને પણ સેવામાંથી બહાર કાઢવામાં આવ્યું છે. અકાસા એરના પ્રવક્તાએ જણાવ્યું હતું કે “આકાસા એર વિમાન જે દિલ્હીથી હૈદરાબાદ ફ્લાઇટ QP 1406 ચલાવવાનું હતું તેને 16 એપ્રિલ 2026 ના રોજ તેના પાર્કિંગ બેમાં પાછા ફરવું પડ્યું હતું. પ્રારંભિક અહેવાલો દર્શાવે છે કે જ્યારે અન્ય એરલાઇનના વિમાન સાથે અથડાયું ત્યારે અકાસા વિમાન સ્થિર હતું. બધા મુસાફરો અને ક્રૂ સભ્યોને વિમાનમાંથી સુરક્ષિત રીતે નીચે ઉતારવામાં આવ્યા છે. અમારી ગ્રાઉન્ડ ટીમો હાલમાં મુસાફરોને શક્ય તેટલી વહેલી તકે હૈદરાબાદ પહોંચે તે માટે વૈકલ્પિક વ્યવસ્થા કરી રહી છે.”
સ્પાઇસજેટના પ્રવક્તાએ જણાવ્યું હતું કે ૧૬ એપ્રિલના રોજ દિલ્હી એરપોર્ટ પર ટેક્સી કરતી વખતે સ્પાઇસજેટ B737-700 વિમાન એક ઘટનાનો ભોગ બન્યું, જેના પરિણામે તેની જમણી પાંખ અને અન્ય એરલાઇનના વિમાનના ડાબા આડા સ્ટેબિલાઇઝરને નુકસાન થયું. સ્પાઇસજેટ વિમાનને દિલ્હી ખાતે ગ્રાઉન્ડેડ કરવામાં આવ્યું છે.