ગાંધીનગર: ગાંધીનગર સ્થિત મહાત્મા મંદિર ખાતે યોજાયેલી ગુજરાત સેમીકનેક્ટ કોન્ફ્રન્સ 2026ના શુભારંભ બાદ પત્રકારો સાથે વાતચીત કરતા કેન્દ્રીય આઈટી, માહિતી પ્રસારણ અને રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવએ જણાવ્યું હતું કે વર્ષ 2026-27 માટે ગુજરાતને રૂ. 17,366 કરોડનું રેકોર્ડબ્રેક બજેટ ફાળવવામાં આવ્યું છે. હાલ રાજ્યમાં કુલ રૂ. 1.28 લાખ કરોડના રેલવે પ્રોજેક્ટ્સ પર કામગીરી ચાલી રહી છે, જે વિકાસના વ્યાપક દિશાસૂચક છે. ગુજરાતના 87 રેલવે સ્ટેશનને અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ વિશ્વકક્ષાના ધોરણ મુજબ વિકસાવવા પસંદ કરવામાં આવ્યા છે. અત્યાર સુધી 21 સ્ટેશનોનું કામ પૂર્ણ થયું છે. અમદાવાદ, સાબરમતી, સુરત, ઉના અને સોમનાથ જેવા મહત્ત્વના સ્ટેશનોના પુનર્વિકાસનું કામ ઝડપી ગતિએ આગળ વધી રહ્યું છે. ખાસ કરીને અમદાવાદ રેલવે સ્ટેશનના આધુનિકીકરણ બાદ મુસાફરોને આંતરરાષ્ટ્રીય કક્ષાની સુવિધાઓ મળશે.
તેમણે જણાવ્યું હતું કે ભારતનો પ્રથમ હાઈ-સ્પીડ રેલ પ્રોજેક્ટ નેશનલ હાઈ સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડ દ્વારા અમલમાં મૂકાતો મુંબઈ–અમદાવાદ હાઈ સ્પીડ રેલ કોરિડોર ઝડપથી આગળ વધી રહ્યો છે. અશ્વિની વેષ્ણવે જણાવ્યું હતું કે આગામી વર્ષે બુલેટ ટ્રેન સેવા શરૂ કરવાની દિશામાં કામગીરી તેજ ગતિએ ચાલી રહી છે અને સમયમર્યાદામાં પ્રોજેક્ટ પૂર્ણ કરવા માટે તમામ તબક્કે સુવ્યવસ્થિત આયોજન કરવામાં આવ્યું છે. પ્રોજેક્ટ પૂર્ણ થયા બાદ અમદાવાદથી મુંબઈ વચ્ચે 350 કિલોમીટર પ્રતિ કલાકની ગતિએ મુસાફરી માત્ર આશરે 1 કલાક 57 મિનિટમાં પૂર્ણ થશે, જે હાલની મુસાફરી સમયની તુલનામાં ઐતિહાસિક ઘટાડો ગણાશે. પ્રધાનમંત્રીએ બુલેટ ટ્રેન માટે 7 નવા રૂટને પણ મંજૂરી આપી છે, જેના કારણે ભવિષ્યમાં દેશના અન્ય મહત્વના શહેરોને હાઈ-સ્પીડ કનેક્ટિવિટીથી જોડવામાં આવશે.