કેન્દ્ર સરકાર બાદ રાજ્ય સરકારે પણ ગુજરાતના સરકારી કર્મચારીઓને દિવાળીની ભેટ આપી છે. રાજ્ય સરકારના કર્મચારીઓના વ્યાપક હિતમાં ગુજરાત સરકારે એક મહત્વપૂર્ણ નિર્ણય કરીને છઠ્ઠા તેમજ સાતમા પગાર પંચનો લાભ મેળવતા રાજ્ય સરકારના કર્મચારીઓને કેન્દ્રના ધોરણે મોંઘવારી ભથ્થામાં વધારાનો લાભ તા.૧ જુલાઈ, ૨૦૨૫થી આપવાનો નિર્ણય કર્યો છે.
સરકારના આ કર્મયોગી હિતકારી નિર્ણય અંતર્ગત સાતમા પગાર પંચનો લાભ મેળવતા કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં ૩ ટકાનો વધારો કરવામાં આવ્યો છે. રાજ્ય સરકારના જે કર્મયોગીઓ છઠ્ઠા પગાર પંચનો લાભ મેળવે છે તેવા કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં ૫ ટકાનો વધારો કરવામાં આવ્યો છે.
આ મોંઘવારી ભથ્થાની ૩ માસની રકમ એકજ હફ્તામાં ચૂકવી આપવામાં આવશે. એટલે કે ૧ જુલાઈ ૨૦૨૫ થી ૩૦ સપ્ટેમ્બર ૨૦૨૫ સુધીની તફાવતની રકમ એક હપ્તામાં ચૂકવવામાં આવશે. આ મોંઘવારી ભથ્થાના વધારાનો લાભ રાજ્ય સરકારના, પંચાયત સેવાના તથા અન્ય એમ કુલ ૪.૬૯ લાખ કર્મયોગીઓ અને અંદાજે ૪.૮૨ લાખ જેટલા નિવૃત્ત કર્મચારીઓ એટલે કે પેન્શનર્સને મળવાપાત્ર થશે.
એટલું જ નહિ રાજ્ય સરકાર આ એરિયર્સ પેટે કુલ મળીને રૂ.૪૮૩.૨૪ કરોડ રૂપિયાની કર્મચારીઓને ચુકવણી કરશે તથા વધારાના વાર્ષિક રૂ.૧૯૩૨.૯૨ કરોડની ચુકવણી પગારભથ્થા-પેન્શન પેટે કરાશે. મુખ્યમંત્રીશ્રીએ કરેલા આ નિર્ણયના અમલ માટે નાણાં વિભાગ દ્વારા જરૂરી આદેશો કરવા અંગેની સૂચનાઓ પણ આપવામાં આવી છે.