SURAT

નવાપુરા ગોલવાડમાં લાકડાનું જૂનું મકાન પડી ભાંગ્યું, ફાયર બ્રિગેડે એકને બચાવ્યો

શહેરના કોટ વિસ્તારમાં જર્જરિત ઈમારતો ધરાશાયી થવાની ઘટનાઓમાં વધારો થયો છે. સોમવારે રાતે અઠવાલાઈન્સ પર આવેલી મિશન હોસ્પિટલની બિલ્ડિંગની ગેલેરીનો સ્લેબ તૂટી પડ્યો હતો તો આજે મંગળવારે સવારે કોટવિસ્તારમાં વધુ એક જર્જરીત મકાન જમીનદોસ્ત થયું છે.

નવાપુરા ગોલવાડમાં આવેલું ગ્રાઉન્ડ પ્લસ બે માળના મકાનનો ઉપરનો ભાગ સવારના સવા દસ વાગ્યા આસપાસ ધરાશાયી થયો હતો. જેથી તાત્કાલિક ફાયરબ્રિગેડને જાણ કરવામાં આવી હતી. ફાયરબ્રિગેડની ટીમે કાટમાળ નીચેથી એક વ્યક્તિને બહાર કાઢ્યો હતો. જ્યારે ઘરમાં હાજર બે મહિલા સહિતના કુલ 3 વ્યક્તિનો બચાવ થયો હતો.

કોટ વિસ્તારના ગોલવાડ ખાતે પાંચભીત શેરીમાં ગ્રાઉન્ડ પ્લાસ બે માળનું મકાન જમીનદોસ્ત થઈ ગયું હતું. મકાનમાં રહેતા ચાર રહેવાસીઓનાં જીવ તાળવે ચોંટ્યા હતા. ગ્રાઉન્ડ સહિત બે માળનું મકાન ધરાશાયી થવાની ઘટના સમગ્ર પંથકમાં વાયુવેગે પ્રસરી જતાં મોટી સંખ્યામાં લોકોનાં ટોળા ઘટના સ્થળે પહોંચી ગયા હતા. બીજી તરફ ઘટના અંગે જાણ થતાં જ ફાયર વિભાગનો કાફલો ઘસી ગયો હતો.મકાનનાં કાટમાળમાં ફસાયેલા 40 વર્ષીય વસીમ અબ્દુલ રઝાક શેખનું રેસ્ક્યુ હાથ ધર્યું હતું.

ત્રણ વાર નોટીસ આપી છતાં મકાન ખાલી કર્યું નહોતું
આ ઘટનાને પગલે મહાનગર પાલિકાનાં સેન્ટ્રલ ઝોનની ટીમ પણ ઘટના સ્થળે ઘસી ગઈ હતી અને હાલના તબક્કે જમીનદોસ્ત થઈ ચુકેલા મકાનનાં કાટમાળને હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. સેન્ટ્રલ ઝોન દ્વારા જર્જરિત થઈ ચુકેલા આ મકાનનાં માલિકને ત્રણ – ત્રણ વખત નોટીસ પાઠવવા છતાં પણ મકાન માલિક દ્વારા કોઈ કાર્યવાહી ન કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.

Most Popular

To Top