સુપ્રીમ કોર્ટ ઓફ ઈન્ડિયાએ એક કેસની સુનાવણી દરમિયાન એવી ટીપ્પણી કરી છે કે ભારત દેશ કોઈ ધર્મશાળા નથી કે અહીં વિશ્વભરમાંથી આવતા લોકોને શરણ આપવામાં આવે.
ખરેખર સુપ્રીમ કોર્ટે આજે શ્રીલંકાના નાગરિકની આશ્રય અરજી ફગાવી દીધી હતી અને કહ્યું હતું કે ભારત કોઈ ધર્મશાળા નથી જ્યાં આપણે વિશ્વભરના વિદેશી નાગરિકોને સમાવી શકીએ. કોર્ટે પૂછ્યું કે શું દુનિયાભરમાંથી આવતા શરણાર્થીઓને ભારતમાં આશ્રય આપી શકાય? આપણે 140 કરોડ લોકો સાથે સંઘર્ષ કરી રહ્યા છીએ.
જસ્ટીસ દીપાંકર દત્તા અને કે. વિનોદ ચંદ્રનની બેન્ચ શ્રીલંકાના એક નાગરિકની અરજી પર સુનાવણી કરી રહી હતી, જેને 2015 માં શ્રીલંકામાં સક્રિય આતંકવાદી સંગઠન લિબરેશન ટાઈગર્સ ઓફ તમિલ ઈલમ (LTTE) સાથે જોડાણની શંકાના આધારે ધરપકડ કરવામાં આવી હતી.
અરજદારને UAPA કેસ અને ફોરેનર્સ એક્ટ કેસમાં દોષિત ઠેરવવામાં આવ્યો છે. તે ભારતના શરણાર્થી શિબિરમાં રહેવા માંગતો હતો કારણ કે જો તેને શ્રીલંકા પાછા મોકલવામાં આવશે તો તેને મારી નાંખવામાં આવશે. બેન્ચે એ દલીલ પર પણ વિચાર કરવાનો ઇનકાર કર્યો હતો કે જો તે વ્યક્તિને તેના દેશમાં પાછા મોકલવામાં આવે તો તેના જીવને જોખમ થશે. આ સાથે બેન્ચે એવી ટીપ્પણી કરી હતી કે તેમના દેશમાં તેમના જીવ પર ખતરો હોય તો બીજા કોઈ દેશમાં જાઓ.
અરજી મુજબ શ્રીલંકાના વ્યક્તિને ભારતમાં હત્યાના કેસમાં 7 વર્ષની જેલની સજા પૂર્ણ કર્યા પછી દેશનિકાલ કરવામાં આવશે.
શું છે આખો મામલો?
વર્ષ 2018 માં એક ટ્રાયલ કોર્ટે અરજીકર્તાને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ (નિવારણ) અધિનિયમ હેઠળ દોષિત ઠેરવ્યા અને 10 વર્ષની જેલની સજા ફટકારી હતી. વર્ષ 2022માં મદ્રાસ હાઈકોર્ટે તેમની સજા ઘટાડીને સાત વર્ષ કરી પરંતુ તેને સજા પૂર્ણ થયા પછી તરત જ દેશ છોડી દેવા અને દેશનિકાલ પહેલાં શરણાર્થી શિબિરમાં રહેવાનું કહ્યું હતું.