Sports

જય શાહ બનશે ક્રિકેટના બોસ?, ICCના નવા ચેરમેનની રેસમાંથી આ વ્યક્તિ આઉટ

નવી દિલ્હીઃ ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) ના વર્તમાન અધ્યક્ષ ગ્રેગ બાર્કલેએ 30 નવેમ્બરે તેમનો કાર્યકાળ પૂરો થયા બાદ મંગળવારે ત્રીજી મુદતની રેસમાંથી પોતાને દૂર કર્યા છે. જેના કારણે ક્રિકેટની ગ્લોબલ કમિટિમાં ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ના સચિવ જય શાહના ભવિષ્યને લઈને અટકળો તેજ થઈ ગઈ છે.

જય શાહ આ પદ માટે પોતાનો દાવો રજૂ કરશે કે નહીં તે 27 ઓગસ્ટ સુધીમાં સ્પષ્ટ થઈ જશે, જે અધ્યક્ષ પદ માટે નામાંકન ભરવાની છેલ્લી તારીખ છે. ICC અધ્યક્ષ બે વર્ષની ત્રણ ટર્મ માટે પાત્ર છે અને ન્યૂઝીલેન્ડના વકીલ બાર્કલેએ અત્યાર સુધીમાં ચાર વર્ષ પૂરા કર્યા છે.

આઈસીસીના અધ્યક્ષ ગ્રેગ બાર્કલેએ બોર્ડને પુષ્ટિ આપી છે કે તેઓ ત્રીજી મુદત માટે દાવેદારી કરશે નહીં અને નવેમ્બરના અંતમાં તેમના વર્તમાન કાર્યકાળના અંતે પદ છોડી દેશે, એમ આઈસીસીએ એક મીડિયા રિલીઝમાં જણાવ્યું હતું. બાર્કલેને નવેમ્બર 2020 માં ICCના સ્વતંત્ર અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. તેઓ 2022 માં આ પદ માટે ફરીથી ચૂંટાયા હતા.

આ છે ICC અધ્યક્ષ બનવા માટેના નિયમો
ICCના નિયમો અનુસાર અધ્યક્ષની ચૂંટણીમાં 16 મત હોય છે અને હવે વિજેતા માટે નવ મતોની સરળ બહુમતી (51%) જરૂરી છે. અગાઉ અધ્યક્ષ બનવા માટે પદધારક પાસે બે તૃતીયાંશ બહુમતી હોવી જરૂરી હતી. ICCએ કહ્યું, હાલના ડિરેક્ટરોએ હવે આગામી ચેરમેન માટે 27 ઓગસ્ટ, 2024 સુધીમાં નોમિનેશન સબમિટ કરવાનું રહેશે અને જો એકથી વધુ ઉમેદવાર હશે તો ચૂંટણી યોજાશે અને નવા ચેરમેનનો કાર્યકાળ 1 ડિસેમ્બર 2024થી શરૂ થશે.

જય શાહ ICCના અધ્યક્ષ બનવાની આશા શા માટે છે?
શાહને ICC બોર્ડમાં સૌથી પ્રભાવશાળી ચહેરાઓમાંથી એક ગણવામાં આવે છે? તેઓ હાલમાં ICCની શક્તિશાળી ફાઇનાન્સ અને કોમર્શિયલ અફેર્સ સબ-કમિટીના વડા છે. મોટાભાગના 16 વોટિંગ સભ્યો સાથે તેમના ખૂબ સારા સંબંધો છે. હાલમાં શાહ પાસે બીસીસીઆઈ સેક્રેટરી તરીકેના કાર્યકાળમાં એક વર્ષ બાકી છે, ત્યારબાદ તેમણે ઓક્ટોબર 2025 થી ત્રણ વર્ષનો ફરજિયાત બ્રેક (કૂલિંગ ઓફ પીરિયડ) લેવો પડશે.

સુપ્રીમ કોર્ટ દ્વારા મંજૂર કરાયેલા BCCIના બંધારણ મુજબ એક પદાધિકારી ત્રણ વર્ષના કુલિંગ ઓફ પીરિયડ પહેલા છ વર્ષ સુધી હોદ્દો સંભાળી શકે છે. કુલ મળીને એક વ્યક્તિ કુલ 18 વર્ષ સુધી આ પદ સંભાળી શકે છે.

Most Popular

To Top