Dakshin Gujarat

‘પપ્પા ઘરે કેમ નથી આવ્યા’, એવો સવાલ કરતાં બાળકોને માતા-પિતાની લાશ જોવા મળી, ખેરગામની કરૂણ ઘટના

ખેરગામ: જિંદગી પણ કેવા ખેલ ખેલે છે. એક ખુશહાલ જિંદગી એકાએક કાળની એક જ થપાટને કારણે વેરવિખેર થઈ ગઈ હતી. ચોતરફ સુનકાર, કુદરતે ઘડીકવારમાં બે માસૂમ પાસેથી જાણે સર્વસ્વ છીનવી લીધું હતું. મમ્મી, પપ્પા ક્યારના ગયા છે એ હજુ આવ્યા નથી ને! એમ કહી બે માસૂમ બાળકો રાહ જોતાં હતાં, ત્યાં જ એકાએક મમ્મીની તબિયત ખરાબ થઈ જતાં તેને હોસ્પિટલ ખસેડવામાં આવતાં બંને માસુમના ચહેરા ઓર નિસ્તેજ થઈ ગયા હતા. કેમેય કરી રાત તો જેમતેમ વિતાવી પણ સવારે આસપાસના લોકો ટોળે વળી ગયા, સફેદ વસ્ત્રમાં વીંટાળેલી બે લાશ ઘરે આવી ત્યારે બાળકોને ખબર પડી કે તેઓ જેને શોધતા એ માતા અને પિતા આ દુનિયામાં હવે હયાત નથી. ખેરગામના નાનકડા એવા એક ગામમાં કલ્પાંતનો માહોલ છવાઈ ગયો હતો. એકાએક આવી પડેલી આપત્તિથી માસૂમ બાળકો પણ હેબતાઈ ગયાં હતાં. ને બસ મમ્મી…પપ્પાના નામે પોક દઈ ચોધાર આંસુ વહાવતાં હતાં. આખું ગામ શોકમાં ગરકાવ હતું. પતિના અકસ્માત મોતના સમાચાર સાંભળી પત્નીને હૃદયરોગનો હુમલો આવતાં માત્ર અડધો કલાકમાં જ પત્નીનું આઘાતને કારણે મોત થયું હતું.

  • ખેરગામના તોરણવેરામાં માસૂમ આંખો ગઈકાલથી જેને શોધતી હતી, એ માતાપિતાની સવારે લાશ આવી
  • ‘પપ્પા ઘરે કેમ નથી આવ્યા’ એવો સવાલ કરતાં બાળકો મમ્મી બેભાન થઈ ઢળી પડતાં મૂંઝવણમાં મુકાઈ ગયાં
  • પૂર્વ સરપંચ મહિલા અને પતિના અવસાનથી ગામમાં કલ્પાંતનો માહોલ છવાઈ ગયો

આ કરુણ ઘટનાની વિગત કંઈક એવી છે કે, ખેરગામના તોરણવેરાના હનુમાન ફળિયામાં રહેતા અરુણભાઈ નટુભાઈ ગાંવિત (ઉં.વ.38) અને પૂર્વ સરપંચ રહી ચૂકેલાં ભાવનાબેન ખેતી કરી પરિવારનું ગુજરાત ચલાવતાં હતાં. જેમને બે સંતાન પૈકી પુત્રી યાસીકા ધો.9 અને પુત્ર હેનિલ ધો.5માં ભણે છે. અરુણભાઈ રોજિંદા ક્રમ મુજબ ગત 23મીએ સાંજે પોતાની બાઇક નં.(જીજે 21 1657) લઈ હું થોડીવારમાં આઉં છું કહી ફળિયામાં આંટો મારવા ગયા હતા. જ્યાંથી સાડા આઠ વાગ્યાના અરસામાં તોરણવેરા ગામના જ નિશાળ ફળિયામાં ગરનાળા પાસેથી ઘરે આવતી વેળા તેમની બાઇક એકાએક સ્લિપ થઈ ગઈ હતી. આ ઘટનામાં તાબડતોબ તેમને સારવાર અર્થે ખેરગામના સીએચસી ખાતે ખસેડવામાં આવ્યા હતા. પરંતુ ત્યાં સુધીમાં તો તેમનું મોત થઈ ગયું હતું.

આ બનાવની જાણ પત્ની ભાવનાબેન(ઉં.વ.34)ને થતાં તેઓ અધમૂવા થઈ ઢળી પડ્યાં હતાં. આથી તેમને સારવાર અર્થે ખેરગામની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયાં હતાં. જ્યાં હાર્ટએટેકને કારણે પત્નીનું પણ મોત થયું હોવાનું તબીબોએ જણાવતાં પરિવારમાં આઘાતની લાગણી પ્રસરી ગઈ હતી. જો કે, આ ઘટનાથી બંને માસૂમ બાળકો તદ્દન અજાણ હતાં. પપ્પા ઘરે કેમ નથી આવ્યા એવો સવાલ કરતાં બાળકો મમ્મી બેભાન થઈ ઢળી પડતાં ઓર મૂંઝવણમાં મુકાઈ ગયાં હતાં. ઘરમાં દાદા-દાદી કે કાકા-કાકી કંઈ કહેતાં ન હતાં. બીજા દિવસે સવારે ઘરે સગાસંબંધી અને ગ્રામજનો શોકાતુર બની એકત્ર થઈ ગયા, ત્યાં જ બે લાશ તેમના ઘરના આંગણે લાવવામાં આવે છે ને બાળકોને જાણ થાય છે કે જેમને આખી રાત આંખો શોધતી હતી એ હવે હયાત નથી. પછી તો સગાસંબંધીઓ અને પરિવારજનોનું કલ્પાંત શરૂ થઈ જાય છે. બાળકો માતાપિતાને મતૃ હાલતમાં જોઈ બસ રડ્યે જતાં હતાં. મમ્મી…પપ્પા…ના નામે એકધારા આંસુ વહેતાં જોઈ આખું ગામ શોકમગ્ન થઈ ગયું હતું.

વૃદ્ધ માતા-પિતા અને ભાઈના પરિવારને સૌ કોઈ આવી પડેલી વિપદા બદલ દિલાસો દેતાં હતાં. માસૂમ બાળકોનું રૂદન ભલભલા માણસને પીગળાવી દે એવું હતું. આ બનાવની જાણ થતાં પાણીખડક સંસ્કારધામ શાળા અને ગોડથલ પ્રાથમિક શાળાના શિક્ષકોને થતાં તેઓ પણ માસૂમ બાળકોને સાંત્વન આપવા પહોંચી ગયા હતા. સ્વભાવે મિલનસાર અરુણભાઈ અને ભાવનાબેનના એકાએક મોત થતાં રાજકીય અગ્રણીઓએ પણ આઘાતની લાગણી વ્યક્ત કરી હતી.

અરુણભાઈ અને ભાવનાબેનનાં મોતથી કુટુંબમાં ચાંલ્લાવિધિ રદ
અરુણભાઈ અને ભાવનાબેન ગામમાં કોઈપણ કામ હોય, લોકોની મદદ માટે હંમેશાં તૈયાર રહેતાં હતાં. ભાવનાબેને સરપંચ તરીકેના કાર્યકાળ દરમિયાન ઘણી સારી કામગીરી કરી હતી. હાલ કુટુંબમાં જ થોડા દિવસમાં ચાંલ્લાવિધિને લઈ આનંદ પણ હતો. પરંતુ તેમના આકસ્મિક અવસાનને પગલે ત્રણ ચાંલ્લાવિધિ પ્રસંગ રદ કરવા પડ્યા હતા.

પુત્ર હેનિલે ભારે હૈયે માતા-પિતાને મુખાગ્નિ આપી
ખેતી કરી પરિવારનો જીવન ગુજારો ચલાવતા અરુણભાઈનું મિત્રવર્તુળ પણ ખૂબ મોટું. કંઈપણ કામ હોય એટલે કરીને જ જંપે એવો એમનો સ્વભાવ. ગત 23મીએ જ્યારે તેમને અકસ્માત નડ્યો એ સમાચાર મળ્યા કે તરત જ તેમને ખેરગામના સીએચસી ખાતે ખસેડવામાં આવ્યા હતા. પરંતુ કુદરતે એક સારો મિત્ર છીનવી લેતાં મિત્રવર્તુળમાં પણ આઘાત જોવા મળી રહ્યો છે. શુક્રવારે બપોરે એકસાથે બે અંતિમયાત્રા નીકળતાં જ અંતિમયાત્રામાં મોટી સંખ્યામાં સગાસંબંધીઓ, રાજકીય અગ્રણીઓ તથા મિત્રવર્તુળ જોડાયું હતું. તોરણવેરા ગામે આવેલી સ્મશાનભૂમિમાં પુત્ર હેનિલે ભારે હૈયે માતા-પિતાને મુખાગ્નિ આપી હતી.

Most Popular

To Top