Charotar

નડિયાદ રેલવે સ્ટેશનની રૂ.500 કરોડના ખર્ચે કાયાપલટ થશે


નડિયાદના જંકશન રેલવે સ્ટેશનના નવીનીકરણ અંગે કેન્દ્રીય સંચાર રાજયમંત્રીની અધ્યક્ષતામાં રેલવેના ઉચ્ચ અધિકારીઓની બેઠક મળી
રેલવે સ્ટેશન નવીનીકરણ અંતર્ગત રૂ.૮૦ કરોડના ખર્ચે નડિયાદના પૂર્વ- પશ્ચિમ વિસ્તારને જોડતો રેલવે ઓવરબ્રિજ બનશે


નડિયાદના જંકશન રેલવે સ્ટેશનના નવીનીકરણ અંગે સાંસદ સેવા કેન્દ્ર મુકામે કેન્દ્રીય સંચાર રાજયમંત્રી દેવુસિંહ ચૌહાણની અધ્યક્ષતામાં બેઠક મળી હતી. જેમાં રેલવેના ઉચ્ચ અધિકારીઓ દ્વારા નડિયાદ રેલવે સ્ટેશનના નવીનીકરણના આયોજન બાબતે ચર્ચા કરવામાં આવી હતી.
આ બેઠકમાં નડિયાદના જંકશન રેલ્વે સ્ટેશનના નવા બાંધકામ અંગે આર્કિટેક ઇજનેર મોહમદજી દ્વારા પાવર પોઇન્ટ ડેમો – બ્લુ પ્રિન્ટ રજૂ થઈ હતી. જેમાં ઉપસ્થિત જન પ્રતિનિધિઓએ જરૂરી સૂચનો કર્યા હતા. આ અંગે કેન્દ્રીય મંત્રી દેવુસિંહ ચૌહાણે મીડિયા પ્રતિનિધિઓને સંબોધતા જણાવ્યું હતું કે, આગામી સમયમાં નડિયાદ મહાનગર પાલિકા બનવા જઈ રહ્યું છે. નડિયાદ ખેડા જિલ્લાનું અતિ મહત્વનું નગર છે, ત્યારે અંદાજીત રૂ.૫૦૦ કરોડના ખર્ચે નડિયાદના રેલ્વે સ્ટેશનના પુનઃ વિકાસ અને બાંધકામનો પ્રોજેક્ટ કેન્દ્ર સરકારે મંજૂર કર્યો છે.
નડિયાદનું સંતરામ મંદિર,જિલ્લામાં ભાથીજી મહારાજનું ફાગવેલ, સ્વામિનારાયણ ભગવાનનું તીર્થધામ વડતાલ જેવા ઐતિહાસિક, ધાર્મિક અને આઝાદીના સત્યાગ્રહ સાથે જોડાયેલી ઘટનાઓને અંકિત કરતી ડિઝાઇનને પણ રેલવે સ્ટેશનના બાંધકામમાં સ્થાન અપાશે.
આ ઉપરાંત નડિયાદ રેલ્વે સ્ટેશનની બંને બાજુ વિભાજીત પૂર્વ પશ્ચિમ વિસ્તારને જોડતો રૂ.૮૦ કરોડના ખર્ચે રેલવે ઓવરબ્રિજ પણ બનશે. નડિયાદના નગરજનો અને મુસાફર જનતાની સુવિધાને પ્રાથમિકતા અપાશે. નડિયાદનું રેલ્વે સ્ટેશન શહેર અને ખેડા જિલ્લાની શોભા બની રહે તેવી સાંસ્કૃતિક વિરાસતની વિવિધ થીમ પણ બાંધકામમાં આવરી લેવાશે. એમ કેન્દ્રીય મંત્રીએ જણાવ્યુ હતુ.
આ બેઠકમાં નડિયાદના ધારાસભ્ય પંકજભાઈ દેસાઇ, જિલ્લા અગ્રણી અજયભાઈ બ્રહ્મભટ્ટ, નડિયાદ રેલવે સ્ટેશનના ચીફ પ્રોજેકટ મેનેજર મુકેશકુમાર, અમિતસિંહ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

Most Popular

To Top