Vadodara

વડોદરા : ભારત પાકિસ્તાન તણાવ વચ્ચે ICAI દ્વારા સીએની પરીક્ષા મોકૂફ રખાઈ

તારીખો યોગ્ય સમયે જાહેર કરવામાં આવશે

વિદ્યાર્થીઓની સુરક્ષાને પ્રાથમિકતા આપવાનો નિર્ણય

( પ્રતિનિધિ )વડોદરા,તા.9

ભારત અને પાકિસ્તાન વચ્ચે સતત વધી રહેલા તણાવની અસર અભ્યાસ અને પરીક્ષા પર પડી રહી છે. જેમાં ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઇન્ડિયા (ICAI)એ CA મે 2025ના બાકીના કેટલાક પેપર્સ હાલ પૂરતી મોકૂફ રાખ્યા છે. આમાં CA ફાઇનલ, ઇન્ટરમીડિયેટ અને પોસ્ટ ક્વોલિફિકેશન કોર્સ (PQC)ની ઇન્ટરનેશનલ ટેક્સેશન-એસેસમેન્ટ ટેસ્ટ (INTT AT) નો સમાવેશ થાય છે.

ICAI એ જણાવ્યું છે કે દેશમાં તણાવપૂર્ણ અને સુરક્ષા સંબંધિત પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, મે 2025 માં યોજાનારી CA ફાઇનલ, ઇન્ટરમીડિયેટ અને પોસ્ટ ક્વોલિફિકેશન કોર્સ (PQC) ઇન ઇન્ટરનેશનલ ટેક્સેશન (INTT AT) ની બાકી રહેલી કેટલીક પરીક્ષાઓ જે 9 થી 15 મે દરમિયાન યોજાવાની હતી, તેને મોકૂફ રાખવામાં આવી છે. આ પરીક્ષાઓ મોકૂફ રાખવાની જાહેરાત કરતા, ICAI એ જણાવ્યું હતું કે નવી તારીખો યોગ્ય સમયે જાહેર કરવામાં આવશે. ICAI વિદ્યાર્થીઓને પરીક્ષા સંબંધિત નવી તારીખો જાણવા માટે સત્તાવાર વેબસાઇટ www.icai.org પર નજર રાખવાની સલાહ આપી છે. દેશના ઘણા ભાગોમાં સુરક્ષાની સ્થિતિ તંગ છે. ખાસ કરીને કેટલાક સંવેદનશીલ વિસ્તારોમાં તાજેતરમાં બનેલી ઘટનાઓને ધ્યાનમાં રાખીને, ICAI એ વિદ્યાર્થીઓની સુરક્ષાને પ્રાથમિકતા આપતા આ નિર્ણય લીધો છે. પરીક્ષા દરમિયાન મુસાફરી અને અન્ય વ્યવસ્થાઓ અંગે ચિંતા વધી રહી હોવાથી, વિદ્યાર્થીઓ અને તેમના પરિવારો દ્વારા આ પગલાને રાહત તરીકે જોવામાં આવી રહ્યું છે.

Most Popular

To Top