Sports

શું રોહિત શર્મા વન-ડેમાંથી પણ રિટાયર થશે?, BCCIએ 2027ના વર્લ્ડકપ માટે કરી આવી તૈયારી

ટીમ ઈન્ડિયાના દિગ્ગજ બેટ્સમેન અને કેપ્ટન રોહિત શર્માનું 2027નો વર્લ્ડ કપ રમવાનું સ્વપ્ન હવે મુશ્કેલીમાં મુકાય તેવું લાગે છે. આગામી ODI વર્લ્ડ કપ 2027માં દક્ષિણ આફ્રિકામાં યોજાશે, ત્યાં સુધીમાં રોહિત 40 વર્ષનો થઈ જશે. આવી સ્થિતિમાં જો તમામ મીડિયા રિપોર્ટ્સ પર વિશ્વાસ કરવામાં આવે તો ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) ODI ટીમમાં નેતૃત્વ પરિવર્તનની યોજના બનાવી રહ્યું છે.

એક અહેવાલ મુજબ બીસીસીઆઈએ રોહિતને ટેસ્ટની સાથે સાથે વનડે ક્રિકેટમાંથી પણ નિવૃત્તિ લેવાની અપેક્ષા રાખી હતી. પરંતુ 38 વર્ષીય રોહિતે 2027 વર્લ્ડ કપનું સ્વપ્ન પૂર્ણ કરવા માટે ODI ક્રિકેટ રમવાનો નિર્ણય લઈને બધાને આશ્ચર્યચકિત કરી દીધા.

નોંધનીય છે કે રોહિતે ભારતને 2023 વર્લ્ડ કપની ફાઇનલમાં પહોંચાડ્યું હતું, જોકે તે ટાઇટલ જીતવાનું ચૂકી ગયો હતો. ત્યાર બાદ તેણે ભારતને T20 વર્લ્ડ કપ અને 2025 ચેમ્પિયન્સ ટ્રોફી જીતાડી. ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલ જીત્યા પછી રોહિતે કહ્યું હતું કે, એક બીજી વાત – હું ODI ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાનો નથી. જેથી કોઈ અફવાઓ ન ફેલાય.

જો અહેવાલો પર વિશ્વાસ કરવામાં આવે તો BCCI હવે ODI ટીમમાં ફેરફાર કરવાનું વિચારી રહ્યું છે. ટીમ મેનેજમેન્ટ ભવિષ્યને ધ્યાનમાં રાખીને આ ફોર્મેટની કમાન પણ એક યુવાન ખેલાડીને સોંપવા માંગે છે. 2027 વર્લ્ડ કપ પહેલા BCCI પાસે 27 ODI મેચ છે, જે નવા કેપ્ટનને તૈયાર કરવાની સારી તક આપશે.

સૂત્રોના જણાવ્યા અનુસાર રોહિત શર્માની જગ્યાએ શ્રેયસ ઐયરને કેપ્ટનશીપ મળી શકે છે. ઐયરે IPLમાં ત્રણ ટીમોનું નેતૃત્વ કર્યું છે અને મુંબઈ માટે સૈયદ મુશ્તાક અલી ટ્રોફી પણ જીતી છે. હાલમાં શ્રેયસ ફક્ત ODI રમે છે, પરંતુ આ IPL પછી તેને T20 અને ટેસ્ટ ક્રિકેટથી દૂર રાખવો મુશ્કેલ બનશે. હવે તે સત્તાવાર રીતે સફેદ બોલની કેપ્ટનશીપની રેસમાં જોડાઈ ગયો છે.

નોંધનીય છે કે, T20 વર્લ્ડ કપ જીત્યા પછી રોહિતે T20 માંથી નિવૃત્તિ લીધી હતી. તાજેતરમાં રોહિતે ટેસ્ટ ક્રિકેટને પણ અલવિદા કહ્યું હતું. જોકે, તેણે સ્પષ્ટ કરી દીધું હતું કે તે 2027નો વર્લ્ડ કપ રમવા માંગે છે.

Most Popular

To Top