Comments

વસ્તી ગણતરી કેમ ઘોંચમાં પડી?

ભારતની વસ્તીગણતરી ફરી એક વાર અચોક્કસ મુદત સુધી મુલતવી રખાઇ છે. 150 વર્ષોમાં પહેલી વાર બન્યું કે ભારતની વસ્તીગણતરી સમયસર ન થઇ હોય કેમ? તે ગયા વર્ષે સમાપ્ત થવાની હતી, પણ નહીં થઇ. 1881 થી ભૂતકાળમાં યુદ્ધકાળ દરમ્યાન પણ વસ્તીગણતરી કયારેય મુલતવી નથી રખાઇ, કારણ એ છે કે વસ્તી ગણતરી આપણી સૌથી મોટી માહિતી ભેગી કરવાની કવાયત છે. આપણી વસ્તીગણતરી આપણા દેશનાં કુલ લોકોની સંખ્યા જ નથી કહેતી બલ્કે ભારતના શિક્ષણ, ઘરબારની સગવડો, તેમનો રોજગારીનો દરજ્જો વગેરેની પણ માહિતી આપે છે. વસ્તીગણતરીમાં વિલંબ કરવાથી આપણે આ બધી વિગતો પણ જાણી નહીં શકીએ બલ્કે સરકાર પણ પોતાની નીતિઓ બરાબર નક્કી નહીં કરી શકે કારણ કે શું કરવાનું છે તેની બાબતમાં તે સ્પષ્ટ નથી.

કોવિડનું કારણ આપી મોદી સરકાર કહે છે કે અત્યારે વસ્તીગણતરી નહીં થઇ શકે. જો કે આ સાચું કારણ નથી. અગાઉ થયેલી બે મોટી મોજણીને કારણે સરકાર મુશ્કેલીમાં આવી ગઇ હતી. એક હતી ઉપભોકતા ખર્ચ મોજણી. તેમાં એવું કહેવાતું હતું કે ભારતીયો 2012 ની સરખામણીમાં ખોરાક સહિતની બાબતોમાં 2018 માં ઓછો  ખર્ચ કરે છે. 2019 માં આ મોજણીની વિગત અખબારમાં છપાતાં સરકારે સત્તાવાર રીતે માહિતી બહાર પાડવાનો ઇન્કાર કર્યો. આ પંચવર્ષીય મોજણીમાં ભારતના વ્યાપક અવિધિસરના ક્ષેત્રના અર્થતંત્રની પણ માહિતી અપાય છે. દસ દસ વર્ષો સુધી આપણી પાસે આ બાબતમાં કોઇ માહિતી ન હતી. નાણાં મંત્રાલયના અગાઉના મુખ્ય આર્થિક સલાહકાર કૃષ્ણમૂર્તિ સુબ્રમણ્યમે મોદી સરકારને મોજણીની માહિતી બહાર પાડવા કહ્યું હતું પણ કંઇ થયું નહીં.

ખરાબ સમાચાર ખુદ સરકારમાંથી હોય તો તેનાથી મોં ફેરવી લેવાનું ભારત માટે ખરાબ છે. આવું સરકાર સાથે લાંબા સમયથી બનતું આવ્યું છે. 2019 માં પણ બીજી એક સરકારી મોજણીમાં જણાવાયું હતું કે 2018 માં બેરોજગારીનો દર 6 ટકાની ઐતિહાસિક ઊંચી સપાટીએ હતો અને આઝાદી મળ્યા પછી હતો તેનાથી બમણો હતો. આ જ અખબાર-બિઝનેસ સ્ટાન્ડર્ડમાં આ મોજણી છપાઇ હતી અને ફરી સરકારે તેનાથી હાથ ખંખેરી નાંખ્યા હતા. નીતિ આયોગને એવું કહેવા મોકલાયું હતું કે આ માહિતી ખોટી છે અને 2019 ની ચૂંટણી પછી આ જ મોજણી કોઇ પણ જાતના ફેરફાર વગર બહાર પડી હતી. બેરોજગારીનો દર ત્યાર પછી ઘટયો નથી અને ચાર વર્ષથી તેની ઉપર રહ્યો છે. સમસ્યાઓમાં ઉમેરો થતો હોય તેમ પોતાના નાગરિકતાના કાયદાને કારણે સરકારનો અવિશ્વાસનો અર્થ એ થયો કે ગણતરીકારોને આસપાસના વિસ્તારોનો સહકાર મેળવવાનું મુશ્કેલ બનશે.

મોદી સરકારે વસ્તીગણતરીમાં નાગરિકોના રાષ્ટ્રીય રજિસ્ટારના પહેલા પગલા તરીકે રાષ્ટ્રીય વસ્તી રજિસ્ટર ઉમેર્યું છે. આનાથી સરકાર અને નીચલી પાયરીના કોઇ પણ અધિકારી મન ફાવે તેને ‘શંકાસ્પદ નાગરિક’ ગણાવી શકશે અને આવાં લોકો મતાધિકાર વગરના કરાશે અને એક એવી પ્રક્રિયા શરૂ થશે, જે નાગરિકોના રાષ્ટ્રીય રજિસ્ટારની યાદીમાં થઇ વિદેશી ટ્રિબ્યુનલમાં જશે અને અટકાયત કેન્દ્રમાં પૂરી થશે. ત્યાર પછી આખા પરિવારને જેલભેગો કરવામાં આવશે. પુરુષોને સ્ત્રીઓથી છૂટા પાડવામાં આવશે અને આસામમાં એ શરૂ થઇ ચૂકયું છે.

આ પરિસ્થિતિમાં સરકારી શાળાનાં શિક્ષકો જેવા નીચલી પાયરીના ગણતરીકારોને એક વાર તેઓ પ્રશ્ન પૂછવાનું શરૂ કરશે તેવો અસહકાર ચાલુ થશે. ભારત સરકારના ભૂતપૂર્વ મુખ્ય આંકડાશાસ્ત્રી પ્રણવ સંત કહે છે કે પરિસ્થિતિ એવી ઊભી થશે, જેમાં તમે યોગ્ય રીતે વસ્તીગણતરી નહીં કરી શકો. આવું થાય તો આગામી દસ વર્ષ સુધી ઘરબારની કોઇ મોજણી ભરોસાપાત્ર નહીં રહે કારણ કે આવી તમામ મોજણી વસ્તીગણતરી પર આધારિત રહે છે. કેરળ જેવાં કેટલાંક રાજયોએ વસ્તીના રાષ્ટ્રીય રજિસ્ટરનો અમલ કરવાની ના પાડી કહ્યું છે કે અમારે કાયદો અને વ્યવસ્થાની સમસ્યા નથી જોઇતી. તેણે તો નાગરિકતા સુધારા ધારાને પણ સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો છે.

મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર જેવાં રાજયોમાં વિરોધનો સૂર છે તો બંગાળમાં વસ્તી ગણતરીકારોનો વિરોધ કરવાની નાગરિકોને સલાહ અપાય છે. ઓડિશા,બિહાર, રાજસ્થાન વગેરે રાજયોમાં વસ્તીના રજિસ્ટર સામે આંશિક વિરોધ છે. વસ્તીગણતરી ઘોંચમાં પડવાનું આ જ ખરું કારણ લાગે છે. રાષ્ટ્રીય વસ્તી રજિસ્ટર અને નાગરિકતા સુધારા ધારા વિરોધનું મુખ્ય કારણ છે. સરકાર રજિસ્ટર સામેનો વિરોધ અભૂતપૂર્વ રીતે પ્રચંડ બની રહ્યો છે અને દસ વર્ષ માટે વિશ્વસનીય માહિતી દાવ પર લાગી છે. સરકારને ખબર છે કે માહિતી કંઇ સંતોષપ્રદ નહીં હોય, છતાં તેના પેટનું પાણી હાલતું નથી તેથી જ 1881 થી દર દસ વર્ષે આપણને દેશની પરિસ્થિતિની માહિતી આપતી વસ્તીગણતરીની પરંપરા આપણે તોડી છે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top