વડોદરા : શહેરના સયાજીગંજ વિસ્તારની પુજા હોટલમાંથી કુખ્યાત અનીલ ઉર્ફે એન્થોની ફરાર થઈ ગયો હોવાની વાતને અઠવાડીયા ઉપરાંત થઈ ગયું છે. પરંતુ શહેર પોલીસની એક પણ ટીમ તેની સુધી પહોંચી શકી નથી સાથે તેને લઈ કોઈ ખાસ માહિતી પણ મેળવી શકી નથી. જોકે હવે એન્થોની રાજ્ય બહાર ક્યાંક વધુ દુર જતો રહ્યો છે. તેવી પણ ચર્ચાઓ થઈ રહી છે.
શાર્પશુટર કહેવાતો અનીલ ઉર્ફે એન્થોની ગત તા.6થી છોટાઉદેપુર જાપ્તાના પીએસઆઈની વીઆઈપી ટ્રીટમેન્ટના કારણે ફરાર થઈ ગયો હતો. આ મામલે સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં આઠ સામે ગુના નોંધાયા હતા. જોકે તે બાદ વધુ પાંચ આરોપીઓના નામ તપાસમાં ખુલ્યા હતા. હવે એન્થોની ફરાર થયો હોવાની વાતને લઈ અઠવાડીયા ઉપરાંત થઈ ગયું છે. જોકે શહેર પોલીસની જુદી-જુદી ટીમો તેને પકડી પાડવા ઘનિષ્ઠ તપાસ કરી રહી છે. અને થોડા સમયમાં સફળતા પણ મળી જશે તેવું ચર્ચામાં આવ્યુ હતું.
બીજી બાજુ પુજા હોટલ પરથી પીએસઆઈને જમાડવા લઈ જનાર સોહેલ સૈયદ ઝડપાઈ ગયા બાદ તે સયાજીગંજના પોલીસના રીમાન્ડ ઉપર છે. ત્યારે તે બાદ છોટાઉદેપુરથીજ એન્થોનીના જાપ્તા પાછળ આવનાર કેતન ઉર્ફે સન્ની પંચોલીને ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડ્યા બાદ તેને સયાજીગંજ પોલીસને સોંપવામાં આવ્યો હતો. સયાજીગંજ પોલીસ તેને આજે કોર્ટમાં રજુ કરી રીમાન્ડની માંગણી કરશે તેવુ જાણવા મળ્યુ હતું.