Sports

T20 વર્લ્ડ કપ ટીમમાં પસંદગી મામલે ચાલી રહેલી ચર્ચા વચ્ચે વિરાટ કોહલીએ મૌન તોડ્યું, કહ્યું..

બેંગ્લુરુ: અહીં સોમવારે ઈન્ડિયન પ્રીમિયર લીગની (IPL) 17મી સિઝનની છઠ્ઠી મેચ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) અને પંજાબ કિગ્સ (PunjabSuperKings) વચ્ચે રમાઈ હતી. આ મેચમાં વિરાટ કોહલીની (ViratKohli) શાનદાર અર્ધસદીની મદદથી આરસીબીએ પંજાબ કિંગ્સને ચાર વિકેટથી હરાવ્યું હતું. આરસીબીની જીતનો હીરો વિરોટ કોહલી રહ્યો હતો. કોહલીએ 49 બોલમાં 77 રન બનાવ્યા હતા. મેચના અંતે કોહલીને પ્લેયર ઓફ ધ મેચ તરીકે પસંદ કરાયો હતો. એવોર્ડ સેરેમનીમાં કોહલીએ લાંબા સમયથી તેના અંગે ચાલતી ચર્ચાઓનો જવાબ આપ્યો હતો.

જીત બાદ વિરાટ કોહલીએ કોમેન્ટેટર હર્ષા ભોગલે દ્વારા પૂછવામાં આવેલા ઘણા સવાલોના જવાબ આપ્યા. કોહલી એ જણાવવાનું ભૂલ્યો નહીં કે ભલે તે ઓલિમ્પિક ગેમ્સમાં ક્રિકેટનો સમાવેશ હોય કે યુએસએમાં યોજાનારા ટી20 વર્લ્ડ કપ તે ટી-20 ક્રિકેટનો ‘અસલ ચહેરો’ છે. કોહલીએ કહ્યું કે તેનું નામ હવે વિશ્વના વિવિધ ભાગોમાં T20 ક્રિકેટને પ્રમોટ કરવા સાથે જોડાયેલું છે. કોહલીનો આ સંદેશ તે લોકો માટે હતો જેઓ આગામી T20 વર્લ્ડ કપ ટીમમાં તેના સ્થાનની ચર્ચા કરી રહ્યા છે.

તાજેતરમાં મીડિયામાં એક અહેવાલ પ્રકાશિત થયો હતો. તે અહેવાલ અનુસાર કોહલી આગામી T20 વર્લ્ડ કપમાંથી બહાર થઈ શકે છે. કારણ કે તેને હવે T20 ક્રિકેટ માટે ફીટ માનવામાં આવી રહ્યો નથી. આ રિપોર્ટ અનુસાર કોહલી આઈપીએલમાં સારું પ્રદર્શન કરશે તો જ તેને ટી-20 વર્લ્ડ કપમાં રમાડવા અંગે વિચાર કરાશે. T20 વર્લ્ડ કપ 2 જૂનથી 29 જૂન સુધી વેસ્ટ ઈન્ડિઝ અને યુએસએમાં રમાશે.

આ ચર્ચાઓનો આડકતરી રીતે જવાબ આપતા વિરાટ કોહલીએ કહ્યું, ‘જ્યારે તમે રમત રમો છો, ત્યારે લોકો સિદ્ધિઓ, આંકડા વિશે વાત કરે છે. પરંતુ જ્યારે તમે પાછળ ફરીને જુઓ છો ત્યારે આ તમે બનાવો છો તે યાદો છે. આજકાલ ચેન્જ રૂમમાં રાહુલ ભાઈ (રાહુલ દ્રવિડ) આ જ કહે છે, જ્યારે તમે રમો છો ત્યારે પૂરા દિલથી રમો કારણ કે ભવિષ્યમાં તમે આ સમય યાદ કરશો. મને જે પ્રેમ, પ્રશંસા અને સમર્થન મળ્યું છે તે અદ્ભુત છે. હું ટીમને ઝડપી શરૂઆત આપવાનો પ્રયત્ન કરું છું, પરંતુ જો વિકેટ પડી તો તમારે સંજોગોને પણ સમજવું પડશે.

35 વર્ષીય કોહલીએ વધુમાં કહ્યું કે, ‘તે સામાન્ય પિચ નહોતી. આવી સ્થિતિમાં મેં વિચાર્યું કે મારે યોગ્ય ક્રિકેટિંગ શોટ્સ રમવાની જરૂર છે. નિરાશ છું કે હું રમત પૂરી કરી શક્યો નહીં. હું જાણું છું કે જ્યારે ટી-20 ક્રિકેટની વાત આવે છે ત્યારે મારું નામ ઘણીવાર વિશ્વના વિવિધ ભાગોમાં ટી-20 ક્રિકેટના પ્રચાર સાથે જોડવામાં આવે છે.

વિરાટે બ્રેકને લઈને નિવેદન આપ્યું
બે મહિનાના બ્રેક અંગે વિરાટ કોહલીએ કહ્યું, ‘અમે દેશમાં નહોતા. અમે એવી જગ્યાએ હતા જ્યાં લોકો અમને ઓળખતા ન હતા. એક પરિવાર તરીકે સાથે સમય વિતાવવો અને બે મહિના સુધી સામાન્ય અનુભવ કરવો તે મારા અને મારા પરિવાર માટે એક સારો અનુભવ હતો. અલબત્ત, બે બાળકો હોવાના કારણે કુટુંબના દૃષ્ટિકોણથી વસ્તુઓ બદલાઈ જાય છે.

Most Popular

To Top