Entertainment

બોયકોટની માંગ વચ્ચે TMKOCના નિર્માતાએ ફરી વચન આપ્યું, કહ્યું- દયા ભાભી પાછા આવશે!

મુંબઇ: ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના (Taarak Mehta Ka Ooltah Chashmah) કલાકારોને ભરપૂર પ્રેમ મળે છે. દયા ભાભી એટલે કે દિશા વાકાણી (Disha Vakani) અને દિલીપ જોશીને ચાહકો અપાર પ્રેમ આપે છે. બંનેની જોડીની સારી ફેન ફોલોઈંગ છે. દયા ભાભી પાંચ વર્ષથી વધુ સમયથી શોમાંથી ગાયબ છે અને નિર્માતાઓ સતત તેમની વાપસીની યોજના બનાવી રહ્યા છે, પરંતુ તેઓ પાછા આવતા નથી. ચાહકો તેની સ્ટાઈલ, ગ્રેસ અને કોમિક ટાઈમિંગને ખૂબ જ મિસ કરે છે. તાજેતરમાં જ ફરી એકવાર દયા ભાભીના વાપસીને લઈને અટકળો લગાવવામાં આવી હતી. શોના નિર્માતાઓએ વાર્તાને એવી રીતે ટ્વિસ્ટ કરી કે ચાહકોને લાગ્યું કે આ દિવાળી એપિસોડમાં દયા ભાભી પાછા આવશે, પરંતુ એવું થયું નહીં અને જેઠાલાલની (Jethalal) સાથે ચાહકોનું પણ દિલ તૂટી ગયું.

તાજેતરમાં શોમાં પહેલાથી જ બતાવવામાં આવ્યું હતું કે સુંદર લાલે વચન આપ્યું હતું કે દયા ભાભી આ દિવાળીએ મુંબઈ પરત ફરશે. ત્યારથી ચાહકોનો ઉત્સાહ વધી ગયો હતો. શોએ ફરી એક વાર બતાવ્યું કે જેઠાલાલના પરિવારમાં ઉત્તેજનાનું વાતાવરણ છે કારણ કે દયા ભાભી પરત આવવાની છે. તમામ તૈયારીઓ બાદ ફરી એકવાર જેઠાલાલ તેમજ ચાહકો સાથે છેતરપિંડી થઈ છે અને દિશા વાકાણી શોમાં પાછી ફરી નથી. આ એપિસોડમાં, જેઠાલાલ દયા ભાભીના પાછા ન આવવાને કારણે ભાંગી પડેલા અને દુખી દેખાય છે. તેમની ઉદાસી જોઈને ચાહકો પણ ઉદાસ થઈ જાય છે અને મેકર્સ પર પોતાનો ગુસ્સો ઠાલવે છે, ત્યાર બાદ બૉયકોટ TMKOC સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ થવા લાગે છે.

બૉયકોટ TMKOC વચ્ચે હવે ચાહકોનો ગુસ્સો જોયા બાદ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના નિર્માતા અસિત મોદીનું નિવેદન સામે આવ્યું છે. તેણે ફરી એકવાર ચાહકોને ખાતરી આપી છે કે દયા ભાભી પરત આવશે. મેકર્સ ભલે થોડો સમય લેશે, પરંતુ ટૂંક સમયમાં જ દયા ભાભી એક નવા ટ્વિસ્ટ સાથે શોમાં પાછા ફરશે. ચાહકોનું કહેવું છે કે મેકર્સ ટીઆરપી વધારવા માટે જ આવા ટ્વિસ્ટ કરે છે અને શોમાં દયા ભાભીની કમબેક થવાની વાત ખોટી છે. આ અંગે અસિત મોદીએ પણ પ્રતિક્રિયા આપી છે.

અસિત મોદીએ તેમના તાજેતરના નિવેદનમાં કહ્યું કે કેટલાક સંજોગોને કારણે અમે દયા ભાભીના પાત્રને સમયસર પરત લાવી શક્યા નથી. આનો અર્થ એ નથી કે આ પાત્ર શોમાં પાછું નહીં આવે. હવે દિશા વાકાણી હોય કે અન્ય કોઈ, દયા ભાભી પરત ફરશે. દર્શકોને મારું વચન છે કે દયા પાછી આવશે અને તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ક્યાંય નથી જઈ રહ્યો, શો ચાલુ રહેશે.

Most Popular

To Top