Comments

વૈકલ્પિક ઉર્જાના સ્ત્રોતોને વેગ આપવાના સરકારના પ્રયાસો સરાહનીય છે

ગુરુવારે પહેલી ફેબ્રુઆરીએ રજૂ થયેલા વચગાળાના બજેટમાં શહેરી જાહેર પરિવહનને પ્રાથમિકતા આપતા સરકારે પોતાના વચગાળાના બજેટમાં ઇલેકટ્રિક બસોની ખરીદી માટે રૂ. ૧૩૦૦ કરોડ ફાળવ્યા છે. ગયા વર્ષના રૂ. ૨૩૧૭પ કરોડના ફાળવણીની સરખામણીમાં માસ રેપિડ ટ્રાન્ઝિસ્ટ સિસ્ટમ અને મેટ્રો પ્રોજેક્ટો માટેના ભંડોળોમાં ૭.પ૭ ટકાનો વધારો થયો છે. સરકારે પીએમ-ઇબસ સેવા યોજના હેઠળ ઇલેકટ્રિક બસોની ખરીદી માટે રૂ. ૧૩૦૦ કરોડની ફાળવણી કરવાની દરખાસ્ત મૂકી છે.

આ યોજના હેઠળ, જાહેર-ખાનગી ભાગીદારી મોડેલ હેઠળ ૧૬૯ શહેરોમાં ૧૦૦૦૦ ઇલેકટ્રિક બસો પુરી પાડવામા આવશે. આ ઉપરાંત આ બજેટમાં દેશના વિવિધ મેટ્રો પ્રોજેક્ટો માટે સરકારે રૂ. ૨૪૩૩૧ કરોડની ફાળવણી કરી છે. વગચાળાનું બજેટ રજૂ કરતા નાણા મંત્રી સીતારમણે કહ્યું હતું કે દેશમાં ઝડપી શહેરીકરણ થઇ રહ્યું છે, અને તે સાથે તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે શહેરોમાં પરિવહન માટે મેટ્રો રેલ અને નમો ભારત ટ્રેનો મહત્વની સાબિત થઇ શકે છે. તેમણે જણાવ્યું હતું કે આ સિસ્ટમોના વિસ્તરણથી મોટા શહેરોમાં પરિવહન આધારિત વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરી શકાશે.

ગયા વર્ષે ઓકટોબરમાં વડાપ્રધાન મોદીએ દેશની પ્રથમ રિજયોનલ રેપિડ ટ્રાન્ઝિસ્ટ સિસ્ટમ(આરઆરટીએસ)ને ઝંડી બતાવી હતી. જો કે તેને બાદમાં નમો ભારત ટ્રેન નામ આપવામાં આવ્યું હતું તે જુદી વાત છે પરંતુ મોટા શહેરોમાં વધતી જાહેર પરિવહનની માગને જોતા આ જાહેર પરિવહન માટે નિર્ધૂમ એટલે કે ધુમાડો નહીં છોડતા વાહનોનું પ્રમાણ વધારવામાં આવે તે ખૂબ જરૂરી છે કારણ કે શહેરી વિસ્તારોમાં પેટ્રોલ, ડીઝલ જેવા ઇંધણો વડે ચાલતા વાહનોના ધુમાડાથી ઘણી સમસ્યાઓ ઉભી થયા છે અને ઘણુ પ્રદૂષણ થાય છે. ઇલેકટ્રિક બસો અને ઇલેકટ્રિક મેટ્રો ટ્રેનોનું નેટવર્ક મોટા શહેરોમાં વિસ્તરે તો પ્રદૂષણ સારુ એવું ઘટી શકે છે.

પોતાના બજેટ પ્રવચનમાં નાણા મંત્રી સીતારમણે ઘરોના છાપરાઓ કે છત પર સબસીડીયુક્ત સોલાર પેનલો બેસાડવાની યોજનાને વધુ વેગ આપવાની પણ જાહેરાત કરી છે. આ સોલાર પેનલો બેસાડનાર ઘરોમાં વિજળીની ઘણી જરૂરિયાત સૌર વિજળી વડે પુરી થઇ શકશે. નાણા મંત્રી કહ્યું હતું કે પ્રધાન મંત્રી સૂર્યોદય યોજના દેશના એક કરોડ કુટુંબોને દર મહિને ૩૦૦ યુનિટ મફત વિજળી મેળવવા સક્ષમ બનાવશે અને તેમને વર્ષે રૂ. ૧૮૦૦૦ બચાવવામાં મદદ કરશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જાન્યુઆરીમાં ઘરોના છાપરાઓ પર સોલાર પેનલો બેસાડવાની પ્રધાનમંત્રી સૂર્યોદય યોજનાની જાહેરાત કરી હતી. તે પછી પહેલી ફેબ્રુઆરીએ નાણા મંત્રીએ પોતાના વચગાળાના બજેટ પ્રવચનમાં જણાવ્યું હતું કે રૂફટોપ સોલરાઇઝેશન વડે એક કરોડ કુટુંબો દર મહિન ૩૦૦ યુનિટ જેટલી વિજળી મફત મેળવી શકશે. આ યોજનાના લાભો અંગે બોલતા તેમણે કહ્યું હતું કે મફત સૌર વિજળી મેળવીને કુટુંબો વર્ષે રૂ. ૧૫૦૦૦થી રૂ. ૧૮૦૦૦ જેટલી રકમ બચાવી શકશે અને વધારાના વિજળી વીજ વિતરણ કંપનીઓને વેચી પણ શકશે.

આ યોજના ઇલેકટ્રીક વાહનોને ચાર્જ કરવામાં પણ મદદરૂપ થશે. આના સાધનોના વિક્રેતાઓ માટે તથા ઉત્પાદન, ઇન્સ્ટોલેશન અને મેઇનટેનન્સ જેવી ટેકનીકલ કુશળતા ધરાવતા યુવાનો માટે રોજગારીની તકો પણ ઉભી થશે. સૌર વિજળી અને રિન્યુએબલ એનર્જી ટેકનોલોજીઓને પ્રોત્સાહન આપવા માટે સંશોધન અને વિકાસ માટે રૂ. ૧ લાખ કરોડના ભંડોળની જાહેરાત કરવામાં આવી છે. બાદમાં બજેટ અંગેની એક પત્રકાર પરિષદમાં બોલતા નાણા સચિવ ટી.વી. સોમનાથને જણાવ્યું હતું કે રૂફટોપ સોલાર સ્કીમ માટે બજેટમાં રૂ. ૧૦૦૦૦ કરોડની જોગવાઇ કરવામાં આવી છે.

આપણા દેશના મોટા ભાગના વિસ્તારોમાં વર્ષનો મોટો સમય સૂ્ર્ય પ્રકાશ રહે છે અને સોલાર રૂફટોપ સિસ્ટમથી સૂર્યથી વિજળી ઉત્પન્ન કરી શકાય છે અને હવે તો આ વિજળીનો સંગ્રહ પણ કરી શકાય છે તેથી તેના વપરાશમાં ઘણી સરળતા આવી ગઇ છે. આ સોલાર રૂફટોપ કે સોલાર પેનલોને કારણે ઘણા મકાનોની વિજળીની જરૂરિયાત પુરી થઇ શકે છે તેથી કોલસા વગેરે વડે વિજળી ઓછી ઉત્પન્ન કરવાની રહે છે તેથી પ્રદૂષણ પર નિયંત્રણમાં પણ મદદ મળી શકે છે અને આ સિસ્ટમ બેસાડનાર કુટુંબોને લાંબે ગાળે મોટો આર્થિક લાભ થઇ શકે છે. આથી જેમ બને તેમ આ સિસ્ટમનો વ્યાપ વધે તેવા પ્રયાસો થવા જરૂરી છે.

નાણા મંત્રીએ એમ પણ જણાવ્યું હતું કે પરિવહન માટેના કમ્પ્રેસ્ડ નેચરલ ગેસમાં તથા પાઇપ્ડ નેચરલ ગેસમાં કમ્પ્રેસ્ડ બાયોગેસ ભેળવવાનું ફરજિયાત બનાવવામાં આવશે. ઓટો ઉદ્યોગના અનેક ઉદ્યોગપતિઓએ સરકારની આ જાહેરાતને વધાવી લીધી હતી. પેટ્રોલ અને ડીઝલ જેવા ઇંધણો મોંઘા તો પડે જ છે પરંતુ તેમનાથી પ્રદૂષણ પણ ઘણુ થાય છે, નેચરલ ગેસથી પણ પ્રદૂષણ થાય તો છે જ. અશ્મિજન્ય ઇંધણો ખૂટી જવાનો ભય અને તેમના કારણે થતા પ્રદૂષણને લઇને વૈકલ્પિક ઉર્જાના સ્ત્રોતો શોધવા જરૂરી છે જ. આથી જ વૈકલ્પિક ઉર્જાના સ્ત્રોતોને વેગ આપવાના સરકારના પ્રયાસો સરાહનીય છે.

Most Popular

To Top