SURAT

અયોધ્યામાં પ્રભુ શ્રી રામના દર્શન કરવા કતારગામના બે ભાઈઓએ 1400 કિ.મી. સાયકલ ચલાવી

સુરત (Surat) : કતારગામની (Katargam) ચીકુવાડી ખાતે રહેતા બે ભાઈઓ 1400 કિલોમીટરનો સાયકલ (Cycle) પર લાંબો પ્રવાસ કરીને સુરતથી અયોધ્યા (Ayodhya) રામલલાના (Ram) દર્શન માટે પહોંચ્યા હતા. બંને ભાઈઓ રામમંદિરની પ્રાણપતિષ્ઠાના સમારોહમાં સામેલ થવાનો પણ લાભ લીધો હતો.

30 દિવસના પ્રવાસ દરમિયાન બંને ભાઈઓને રહેવા અને જમવા માટે સેવાભાવી લોકોએ મદદ કરી હતી. ભાઈઓને રસ્તામાં ઘણા લોકોએ અયોધ્યા ખાતે મંદિરે ચડાવવા માટે પૈસા પણ આપ્યા હતા. ઉપરાંત ડિજિટલ માધ્યમથી પણ દાન આપ્યું હતું. લોકોની મદદથી આ બંને ભાઈઓએ 5500 રૂપિયા રામ મંદિરમાં ચઢાવ્યા હતા.

ઘણા યુવાઓ સાયકલ લઈને નીકળ્યા હોવાની જાણ સોશિયલ મીડિયાના માધ્યમથી કતારગામના ચીકુવાડી વિસ્તારમાં રહેતા 20 વર્ષિય પિયુષભાઈ નાનજીભાઈ પૂંભડિયા અને 17 વર્ષિય મંથન રમેશભાઈ પુંભડિયા રહે, હરેકૃષ્ણ સોસાયટી) અયોધ્યા ભગવાન રામના દર્શને જવાનું નક્કી કર્યું હતું.

17 ડિસેમ્બરના પીયૂષ અને મંથન સાઈકલમાં કેમ્પિંગ ટેન્ટ લઈને સવારના પ્રવાસ શરુ કર્યો હતો. 17 જાન્યુઆરીના બપોરના સમયે બંને અયોધ્યા ખાતે પહોંચ્યા હતા. પૂંભડિયાબંધુ અયોધ્યા ખાતે પહોંચ્યા બાદ તેઓ છ દિવસ અયોધ્યામાં જ રોકાયા હતા. 22 જાન્યુઆરીના રોજ થયેલા પ્રાણ પ્રતિષ્ઠાના મહોત્સવમાં પણ ભાઈઓ સહભાગી પણ બન્યા હતા.

પીયુષ-મંથને પ્રવાસ શરૂ કર્યો દરમિયાન તેઓએ સાઈકલના આગળ રહેવા અને જમવા માટે તેઓને પૈસાની મદદ મળી શકે તેને લઈને માધ્યમથી તેઓને પાંચ હજારનું દાન મળ્યું હતું. ઉપરાંત સુરતથી અયોધ્યા સુધીના સફરમાં સેવાભાવી લોકોએ મંદિરમાં ચઢાવવા પૈસા પણ આપ્યા હતા. છ દિવસ વિરામ બાદ તેઓ બસ મારફતે સુરત ખાતે આવ્યા હતા. સુરત ખાતે આવ્યા બાદ પરિવારો સહિત આસપાસના રહીશો દ્વારા તેઓનું ઢોલ નગારા સાથે અને ફૂલો વરસાવીને સ્વાગત કરવામાં આવ્યું હતું

સુરતથી અયોધ્યાની સાઈકલ પર આ મુસાફરી પીયુષ અને મંથન માટે મુસીબત ભરી રહી હતી. બંને દરરોજ સવારે સાત વાગ્યે સાઇકલ ચલાવવાનો પ્રારંભ કરતા અને થોડા-થોડા વિરામ લઈને સાંજે 6 વાગ્યા સુધી સાઈકલ ચલાવતા હતા. તેઓ દિવસ દરમિયાન 50 કિલોમીટર જેટલું અંતર કાપતા હતા. સફર વચ્ચે તેઓએ મહાકાળી માતાજી અને ઉજજૈન મહાદેવના દર્શન પણ કર્યા હતા.

સેવાભાવી લોકોએ રસ્તામાં ખાવા-રહેવાની મદદ કરી હતી. કોઈક વખત હોટલ અને કોઈ વખત મંદિરે પણ તેઓને રહેવા અને જમવાની વ્યવસ્થા થઈ જતી હતી. જે દિવસે તેઓની હોટેલ અને મંદિરમાં વ્યવસ્થા ન થાય ત્યારે પેટ્રોલ પંપ ખાતે કેમ્પ નાંખીને સુઈ જતા હતા.

સાયકલમાં પંચર પડતા 10 કિ.મી. ચાલવું પડ્યું
મંથન પુંભડિયાએ જણાવ્યું કે સફર દરમિયાન સાઈકલમાં ઘણી વખત પંચર પડી ગયું હતું. સાઈકલનું ટાયર પણ બદલવું પડયું હતું. એક વખત જયારે સાઇકલનું પંચર પડી ગયું ત્યારે નજીકમાં પંચર કરાવવાની કોઈ દુકાન ન હોવાના કારણે બંને ભાઈઓને 10 કિલોમીટરનું અંતર ચાલીને કાપવું પડ્યું હતું.

દિવાળીમાં સાયકલ પર દ્વારકા ગયા હતા
પીયુષ પૂંભડિયા અને મંથન પૂંભડિયા દિવાળીના તહેવારમાં પ્રથમ પ્રવાસ નક્કી કર્યો હતો. તેઓએ સાઇકલ મારફતે દ્વારિકા જવાનું નક્કી કર્યું હતું. ભાઈઓએ દ્વારકા ખાતે 750 જેટલા કિલોમીટર સાઈકલ ચલાવીને પ્રવાસ કર્યો હતો. આ પ્રવાસમાં તેઓને દ્વારકા પહોંચવામાં 13 દિવસ લાગ્યા હતા.

Most Popular

To Top