SURAT

સુરતમાં હવે કોઈ છૂટ નહીં મળે, સીધી શાળાઓ બંધ કરાવાશે

સુરત: (Surat) દેશમાં હવે 15થી 18 વર્ષના વિદ્યાર્થીઓને પણ 3 જાન્યુઆરીથી વેક્સિન આપવાની જાહેરાત વડાપ્રધાન દ્વારા કરવામાં આવી છે. જેથી હવે સુરતમાં પણ 3 જાન્યુઆરીથી વિદ્યાર્થીઓને વેક્સિન (Vaccine) આપવાની તૈયારી કરી લેવામાં આવી છે. મનપા દ્વારા શહેરની તમામ શાળાઓ (Schools) પાસેથી 15થી 18 વર્ષના વિદ્યાર્થીઓની વિગતો મંગાવી લીધી છે. અત્યાર સુધીમાં શહેરમાં 15થી 18 વર્ષના અંદાજિત 1,92,552 બાળક નોંધાયાં છે, જેમાં મનપાની કુલ 175 ટીમ કામે લાગશે. અને શાળાનાં બાળકોને શાળામાં જઈ વેક્સિન આપી શકાય તે રીતની વ્યવસ્થા મનપા દ્વારા કરાશે. મનપા દ્વારા જલદીથી પાંચથી સાત દિવસમાં વેક્સિનેશન પૂર્ણ કરવાનો ટાર્ગેટ રાખવામાં આવ્યો છે. 15થી 18 વર્ષનાં બાળકો માટે વેક્સિનેશન માટે તેમનાં માતા-પિતાની સંમતિ જરૂરી છે. પરંતુ જે વિદ્યાર્થીઓનાં (Students) માતા-પિતા સંમત નહીં હશે તેમને મનપાની ટીમ સમજણ આપશે.

શહેરમાં આવેલી તમામ ખાનગી શાળાઓને મનપા દ્વારા પત્ર લખી જાણ કરવામાં આવી છે કે, શાળામાં જ બાળકોને વેક્સિન આપી શકાય એ માટે યોગ્ય વ્યવસ્થા છે કે કેમ ? તે જાણ કરવા માટે જણાવાયું છે. હાલમાં મનપા દ્વારા 12 સુમન શાળા અને 80 ખાનગી શાળાઓમાં જઈ વેક્સિન આપી શકાશે કે કેમ તે શક્યતા ચકાસી છે અને ત્યાં જ બાળકોને વેક્સિન અપાશે તેમ નક્કી કરાયું છે. મનપા દ્વારા હાલમાં કુલ 560 જેટલી શાળા નક્કી કરાઈ છે. જ્યાં મનપાની ટીમ જઈ વેક્સિન આપશે. જે શાળાઓ વેક્સિનેશન માટે નબળો પ્રતિસાદ આપશે તેવી શાળાઓને મનપા તાત્કાલિક અસરથી બંધ કરશે તેવું પણ જાણવામાં આવ્યું છે. કારણ કે, હાલમાં ઘણા વિદ્યાર્થીઓ કોરોનાની જાળમાં આવી રહ્યા છે. જેથી બાળકોને સુરક્ષિત કરવા માટે વેક્સિનેશન ઘણું જરૂરી છે.

પ્રતિદિન 40થી 50 હજારને વેક્સિન આપવાનો ટાર્ગેટ
મનપા દ્વારા એકત્રિત કરાયેલી માહિતી અનુસાર હાલમાં શહેરમાં 15થી 18 વર્ષના 1,92,552 વિદ્યાર્થી નોંધાયા છે, જેમાં ઘણા શાળાએ જઈ રહ્યા છે. તો ઘણા નથી જઈ રહ્યા. આ આંકમાં હજી વધઘટ થાય તેમ છે એવું મનપાના આરોગ્ય વિભાગ પાસેથી જાણવામાં આવ્યું છે. મનપા દ્વારા વિદ્યાર્થીઓને જલદીથી વેક્સિન આપવા માટે પ્રતિદિન 40થી 50 હજારને વેક્સિન મૂકવાનો ટાર્ગેટ રાખવામાં આવ્યો છે. જેથી છથી સાત દિવસમાં તેમનું વેક્સિનેશન પૂર્ણ કરી શકાય.

Most Popular

To Top