SURAT

રો-રો ફેરીમાં હવે માત્ર 7 કલાકમાં ટપાલ સુરતથી સૌરાષ્ટ્રમાં પાર્સલ મોકલી શકાશે

સુરતઃ સામાન્ય માણસ સુધી ઓછામાં ઓછા સમયમાં પોસ્ટ (Post) પહોંચાડવા પોસ્ટ વિભાગ હંમેશા પ્રયત્નશીલ છે. હવે પોસ્ટ વિભાગ દરિયાઈ માર્ગે ટપાલ પહોંચાડવાનો નવીનતમ પ્રયોગ કરશે. સુરતથી (Surat) સૌરાષ્ટ્રમાં રો-રો ફેરી (Ro-Ro fery) સર્વિસમાં માત્ર સાત કલાકમાં ટપાલ પહોંચી જશે.

ગુજરાત પોસ્ટલ સર્કલ દ્વારા હજીરાથી ભાવનગર વચ્ચે આ સેવા શરૂ કરવામાં આવી રહી છે. આ સેવાને ‘તરંગ પોસ્ટ’ નામ આપવામાં આવ્યું છે. જે નામ પરથી જ સ્પષ્ટ થાય છે કે હજીરા અને ભાવનગર વચ્ચે દરિયાઈ માર્ગ દ્વારા ટપાલનું પરિવહન થશે. રો-રો ફેરી સર્વિસ દ્વારા હજીરા (સુરત) અને ઘોઘા (ભાવનગર) વચ્ચે 60 કિમી દરિયાઈ મેલ પરિવહન 12 ડિસેમ્બર 2022 થી ટ્રાયલ ધોરણે શરૂ કરવામાં આવ્યું હતું. અને આ પ્રારંભિક પ્રયાસ બાદ આ સેવા 20 જાન્યુઆરીથી “તરંગ પોસ્ટ”ના નામે દેવુસિંહ ચૌહાણ, રાજ્ય સંચાર મંત્રી, ભારત સરકાર દ્વારા શરૂ કરવામાં આવી છે.

  • પોસ્ટ વિભાગ દ્વારા સુરત-ભાવનગર દરિયાઈ માર્ગે તરંગ પોસ્ટ સર્વિસનો પ્રારંભ
  • ભારત સરકારના રાજ્ય સંચાર મંત્રી દેવુસિંહ ચૌહાણના હસ્તે ઉદ્ઘાટન કરાયું
  • સુરતથી સૌરાષ્ટ્રમાં રો-રો ફેરી સર્વિસમાં માત્ર સાત કલાકમાં ટપાલ પહોંચી જશે

સુરત રેલ પોસ્ટલ સર્વિસ ઓફિસથી હજીરા સુધી ટપાલ વિભાગના મેઈલ મોટર સર્વિસ વાહન દ્વારા ટપાલ લઈ જવામાં આવશે. અને તે જ વાહન રો રો ફેરી દ્વારા ઘોઘા લઈ જવામાં આવશે. અને ત્યારબાદ આ વાહનને ઘોઘાથી ભાવનગર રેલ પોસ્ટલ સર્વિસમાં મોકલવામાં આવશે. આ કાર્યક્રમમાં ધારાસભ્ય સંદીપ દેસાઇ, નીરાજકુમાર (મુખ્ય પોસ્ટમાસ્ટર જનરલ, ગુજરાત સર્કલ), પ્રીતી અગ્રવાલ (પોસ્ટમાસ્ટર જનરલ, દક્ષિણ ગુજરાત ક્ષેત્ર, વડોદરા) તથા દેવેન્દ્ર મનરાલ (સી.ઇ.ઑ.. ઇંડિગો સિવેયસ પ્રા.લી. ) ઉપસ્થિત રહ્યાં હતાં. અત્યાર સુધીમાં, મેલના આ દરિયાઈ પરિવહન દ્વારા લગભગ 15 ટન મેલ મોકલવામાં આવ્યો છે, જેમાં સુરત, વલસાડ, ભરૂચ, અમરેલી, ભાવનગર અને જૂનાગઢના મેલનો સમાવેશ થાય છે.

Most Popular

To Top