SURAT

સુરતની સિવિલ હોસ્પિટલથી બ્રેઈનડેડ દર્દીનું ‘ફ્રી ટિસ્યુ ડોનેશન’, ટ્રાન્સપ્લાન્ટ માટે સુરતથી મુંબઈ લઈ જવાયું

સુરતઃ અંગદાન (Organ Donation) મહાદાનની ઉક્તિને સાકારિત કરતા સુરતની (Surat) નવી સિવિલ હોસ્પિટલમાં (New Civil Hospital) આજે વધુ એક અંગદાન થયું છે. સુરતના બમરોલી ખાતે રહેતા બ્રેઈનડેડ (Brain Dead) જિતલાલ ગુદર કશ્યપના બે કિડની, બે ફેફસા, લિવર અને નાના આંતરડા એમ છ અંગોના દાનથી માનવતા મહેકી હતી. અંગદાનની ઘટનાની મહત્વની વાત એ છે કે, આ અંગદાન અંતર્ગત સુરતથી ગુજરાતનું પ્રથમ ‘ફ્રી ટિસ્યુ ડોનેશન થયું છે. અંગદાનની સાથે જ ટિસ્યુ ડોનેશનની વિરલ ઘટના સુરત નવી સિવિલમાં સાકાર થઇ છે.

જેમાં વાસ્ક્યુલરાઈઝડ એટલે કે ફ્રી ટિસ્યુ ટ્રાન્સપ્લાન્ટમાં જે વ્યક્તિને આંતરડાનું ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવે તેવા દર્દીના શરીરને દૂરબીનથી જોવાની જરૂર પડતી નથી, દર્દી પર થતા સ્કીન રિએક્શન દ્વારા જાણી શકાય છે. અંગદાનમાં સૌથી જટિલ પ્રકિયા ટિસ્યુ ટ્રાન્સપ્લાન્ટને ગણવામાં આવે છે, ત્યારે ‘ફ્રી ટિસ્યુ ટ્રાન્સપ્લાન્ટ’ થકી આવનાર સમયમાં બર્ન કેસના દર્દીઓના ચહેરાનું પ્રત્યારોપણની પણ શક્યતા હોવાથી આવા દર્દીઓ માટે વાસ્ક્યુલરાઈઝડ ટિસ્યુ ટ્રાન્સપ્લાન્ટ આશાના કિરણ સમાન બનશે. સામાન્ય રીતે ઓર્ગન ડોનેશનમાં કિડની, આંખ, હ્યદય, લગ્સ, હાથનું દાન કરવામાં આવે છે, પરંતુ ટીસ્યુના દાનની ઘટનાઓ જવલ્લે જ બને છે. નવી સિવિલ હોસ્પિટલમાંથી આજે પાંચમા આંતરડાનું દાન કરવામાં આવ્યું છે. ત્યારે મુંબઈ ROTTO અંતર્ગત ગુજરાત, મહારાષ્ટ્ર, છત્તીસગઢ, ગોવા, મધ્યપ્રદેશ અને કેન્દ્રશાસિત પ્રદેશ દીવ-દમણનું નાના આંતરડાનું વેઈટિંગ ઝીરો થયું છે.

સુરત શહેરની બમરોલી વિસ્તારની શાંતિવન સોસાયટી ખાતે રહેતા અને મુળ ઉત્તરપ્રદેશના પ્રતાપગઢના પટહાટીયા ખુર્દના વતની ૩૫ વર્ષીય જિતલાલ ગુંદર સંચાખાતામાં કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવતા હતા. તા.30/10/2023 ના રોજ સાંજે કામ પરથી ઘરે આવી જમીને બાથરૂમ ગયા ત્યાં અચાનક ચક્કર આવતાં બાથરૂમમાં પડી ગયા હતા. મિત્ર અને સ્વજનો દ્વારા તત્કાલ રાત્રે 10:42 વાગ્યે બેભાન હાલતમાં 108માં ઈમરજન્સીમાં નવી સિવિલ હોસ્પિટલ સુરતમાં સારવાર અર્થે દાખલ કરાયા હતા. સઘન સારવાર બાદ તા. 2 નવેમ્બરે સવારે 10:56 વાગ્યે આર.એમ.ઓ. ડો.કેતન નાયક, ડો.નિલેશ કાછડીયા, ન્યુરોલોજીસ્ટ ડો.જય પટેલ અને ડો.મેહુલ મોદીએ બ્રેઈનડેડ જાહેર કર્યા હતા.

બ્રેઈનડેડ જિતલાલના મહામૂલા અંગોના દાનથી જરૂરિયાતમંદોને નવજીવન મળી શકે તેમ હોવાથી તેમના પરિવારજનોને સોટોની ટીમના આર.એમ.ઓ. ડો.કેતન નાયક, ડો.નિલેશ કાછડીયા, નર્સિગ કાઉન્સીલના ઈકબાલ કડીવાલા, કાઉન્સેલર નિર્મલા કાથુડે અંગદાનનું મહત્વ સમજાવ્યું હતું. તેમના પરિવારજનોએ અંગદાનની સંમતિ આપી હતી. તેમના પત્ની બસંતીદેવી, દિકરી રૂપા, દીકરો મોહિત અને રોહિત છે. બ્રેઈનડેડ સ્વ.જિતલાલની બન્ને કિડનીઓ, લીવર તથા બે ફેફસાને અમદાવાદની આઈ.કે.ડી હોસ્પિટલ તથા નાના આંતરડાને મુંબઈને ગ્લોબલ હોસ્પિટલમાં ટ્રાન્સપ્લાન્ટ અર્થે લઈ જવાયા હતા.

આમ, સુરત સિવિલમાં આજે 49મા સફળ અંગદાનના સેવાકાર્યમાં નવી સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડેન્ટ ડો.ગણેશ ગોવેકરના માર્ગદર્શન હેઠળ અંગદાનના આ સેવા કાર્યમાં સુરત પોલીસ, સોટો ટીમ, તબીબી અધિકારીઓ, નર્સિંગ અને સિક્યોરિટી સ્ટાફ તેમજ સ્વયંસેવકોએ જહેમત ઉઠાવી હતી.

Most Popular

To Top