Business

શેર બજારમાં કડાકો: મિનીટોમાં જ રોકાણકારોનાં 2.50 લાખ કરોડ ડૂબી ગયા

મુંબઈ: ભારતીય શેરબજારમાં આજે જોરદાર ઘટાડો જોવા મળ્યો છે. હાલમાં સેન્સેક્સ 573 પોઇન્ટના ઘટાડા સાથે 61,232 પર ટ્રેડ કરી રહ્યો છે. તે જ સમયે, નિફ્ટી 176 પોઇન્ટના ઘટાડા સાથે 19,212.72 પર ટ્રેડ કરી રહ્યો છે. શેર બજારમાં ઘટાડાનાં કારણે થોડી જ મિનિટોમાં રોકાણકારોને આશરે રૂ. 2.50 લાખ કરોડનું નુકસાન થયું હતું. હકીકતમાં બેન્ક ઓફ ઈંગ્લેન્ડ દ્વારા વ્યાજદરમાં વધારો, એશિયન માર્કેટમાં ઘટાડો, ચીન અને યુએસ ફેડના નબળા ડેટાની અસર સમગ્ર વિશ્વમાં જોવા મળી રહી છે. બોમ્બે સ્ટોક એક્સચેન્જનો મુખ્ય સૂચકાંક સેન્સેક્સ 618.99 પોઈન્ટના ઘટાડા સાથે 61,187.20 પોઈન્ટ પર ટ્રેડ કરી રહ્યો છે. જ્યારે સેન્સેક્સ પણ ટ્રેડિંગ સેશન દરમિયાન 61,131 સુધી ગયો હતો. બીજી તરફ નેશનલ સ્ટોક એક્સચેન્જનો મુખ્ય સૂચકાંક નિફ્ટી 179.15 પોઈન્ટના ઘટાડા સાથે 18,238.35 પોઈન્ટ પર ટ્રેડ કરી રહ્યો છે. નિફ્ટી પણ ટ્રેડિંગ સેશન દરમિયાન 18,210.30 પોઈન્ટ પર પહોંચ્યો હતો.

રોકાણકારોનાં 2.50 લાખ કરોડ ડૂબ્યા
શેરબજારમાં આવેલા ઘટાડાથી શેરબજારના રોકાણકારોને થોડીવારમાં જ મોટું નુકસાન થયું હતું. આ નુકસાન 2.50 લાખ કરોડ રૂપિયાની આસપાસ જોવામાં આવી રહ્યું છે. સોમવારે BSE બંધ થયું ત્યારે માર્કેટ કેપ રૂ. 2,87,90,710.06 કરોડ હતું, જે આજે ચાલુ ટ્રેડિંગ સેશન દરમિયાન ઘટીને રૂ. 2,85,44,371.37 કરોડ થયું હતું. આનો અર્થ એ થયો કે માર્કેટ કેપમાં રૂ. 2,46,338.69 કરોડનો ઘટાડો થયો છે, જે રોકાણકારો માટે નુકસાન છે.

શેરબજારમાં ઘટાડાનું કારણ
તાજેતરમાં, યુએસ સેન્ટ્રલ બેંક ફેડ રિઝર્વે વ્યાજ દરોમાં માત્ર 50 બેસિસ પોઈન્ટ્સનો વધારો કર્યો છે, પરંતુ સંકેત આપ્યો છે કે 2023 માં પણ વ્યાજ દરોમાં વધારો કરવામાં આવશે, જેના કારણે અમેરિકામાં 2023 માં મંદીની સંભાવના છે. આ ઉપરાંત બેન્ક ઓફ ઈંગ્લેન્ડે તાજેતરમાં વ્યાજ દરોમાં 0.5 ટકાનો વધારો કર્યો છે. વાસ્તવમાં, ઇંગ્લેન્ડમાં ફુગાવો ઘણા વર્ષોના ઉચ્ચ સ્તરે છે અને બેરોજગારી પણ સતત વધી રહી છે, જેના કારણે બજારો પ્રભાવિત થઈ રહ્યા છે. તેમજ એશિયન બજારોમાં શરૂઆતના કારોબારમાં જાપાનનો નિક્કી 225 2.21 ટકા, દક્ષિણ કોરિયાનો કોસ્પી 0.54 ટકા અને ચીનનો શાંઘાઈ કમ્પોઝિટ 0.64 ટકા તૂટ્યો હતો. જેની અસર ભારતના શેરબજારમાં પણ જોવા મળી રહી છે.

Most Popular

To Top