National

સ્પાઇસજેટ સામે DGCAનું એકશન: પચાસ ટકા ફ્લાઇટ્સ પર 8 અઠવાડિયા માટે રોક

નવી દિલ્હી: સ્પાઇસજેટના (SpiceJet) વિમાનોમાં (Flights) સતત ટેકનિકલ ખામીઓના કારણે આખરે DGCAએ એક મોટી કાર્યવાહી કરતા 8 અઠવાડિયા માટે તેની 50% ફ્લાઇટ્સ પર પ્રતિબંધ મૂક્યો છે. આ આઠ અઠવાડિયા માટે એરલાઇનને (Airline) વધારાની દેખરેખ હેઠળ રાખવામાં આવશે. બીજી તરફ, જો એરલાઇન ભવિષ્યમાં 50 ટકાથી વધુ ઉડાન ભરવા માંગતી હોય તો તેણે સાબિત કરવું પડશે કે તેની પાસે આ વધારાનો ભાર વહન કરવાની ક્ષમતા છે, પૂરતા સંસાધનો અને સ્ટાફ (Staff) ઉપલબ્ધ છે. થોડા દિવસો પહેલા DGCA એ સ્પાઈસ જેટને નોટિસ આપી હતી. એરલાઈન્સના વિમાનોમાં વારંવાર આવતી ટેકનિકલ ખામીઓને ધ્યાનમાં રાખીને આ નોટિસ મોકલવામાં આવી છે. તાજેતરમાં, સરકારે રાજ્યસભામાં જવાબ આપતા કહ્યું હતું કે DGCAએ સ્પાઈસ જેટના વિમાનોનું સ્પોટ ચેકિંગ કર્યું છે. તે ચેકિંગમાં કોઈ મોટી ખામી સામે ન આવી હતી.

છેલ્લા થોડા સમયથી કંપનીની ફ્લાઇટ ઉડાનો દરમિયાન એક પછી એક ખામી સર્જાવાના કિસ્સાઓ સામે આવ્યા પછી DGCA દ્વારા આ આદેશ જાહેર કરવામાં આવ્યો છે. આ મામલામાં વિવિધ તપાસ પ્રક્રિયા બાદ કંપનીએ આ કડક નિર્ણય લીધો છે. ડીજીસીએ દ્વારા જારી કરાયેલા વચગાળાના આદેશમાં કહેવામાં આવ્યું છે કે 1 એપ્રિલથી 5 જુલાઈ 2022 વચ્ચે સ્પાઈસ જેટની ફ્લાઈટમાં નોંધાયેલી ઘટનાઓની તપાસમાં જાણવા મળ્યું છે કે ઘણી વખત ખામીઓના કારણે એરલાઈનના વિમાનોને તેમના મૂળ સ્થાને પાછા ફરવું પડ્યું હતું. અથવા તેના ગંતવ્ય સ્થાન પર ઓછી સુરક્ષા વચ્ચે ઉતરવું પડ્યું. તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે આ નબળી આંતરિક સુરક્ષા વ્યવસ્થા અને અપૂરતી જાળવણીને કારણે થયું છે.

ડીજીસીએ દ્વારા એવું પણ કહેવામાં આવ્યું છે કે સપ્ટેમ્બર 2021 માં નિયમનકાર દ્વારા હાથ ધરવામાં આવેલી આર્થિક તપાસ દરમિયાન વિક્રેતાઓ, જેમની સેવાઓનો ઉપયોગ એરલાઇન સ્પાઇસજેટ દ્વારા કરવામાં આવે છે, તેમને સમયસર ચૂકવણી કરવામાં આવી ન હતી. જેના કારણે ફાજલ વસ્તુઓની જરૂર પડી હતી અને અન્ય વસ્તુઓની અછત સર્જાઈ અને એરક્રાફ્ટના સંચાલનને અસર થઈ હતી. ડીજીસીએના જણાવ્યા અનુસાર તાજેતરના ભૂતકાળમાં વિક્ષેપની ઘટનાઓને પગલે, એવું તારણ કાઢવામાં આવ્યું છે કે આ એરક્રાફ્ટ નિયમો, 1937ની જોગવાઈઓનું ઉલ્લંઘન કરે છે. મળતી માહિતી મુજબ આ સંદર્ભે સ્પાઈસ જેટને 5 જુલાઈના રોજ કારણ બતાવો નોટિસ જારી કરવામાં આવી હતી. સ્પાઈસ જેટને પણ આ મામલે ત્રણ અઠવાડિયામાં જવાબ આપવા માટે કહેવામાં આવ્યું છે.

ડીજીસીએએ તેના વચગાળાના આદેશમાં કહ્યું કે એરલાઈને 25 જુલાઈએ શો-કોઝનો જવાબ આપ્યો. તેમના તરફથી કહેવામાં આવ્યું છે કે તેઓ આવી ઘટનાઓને રોકવા માટે પગલાં લઈ રહ્યા છે. DGCA ના વચગાળાના આદેશ મુજબ, સ્પાઈસજેટ એરલાઈને એરલાઈન દ્વારા આપવામાં આવેલા સ્પોટ ચેક, ઈન્સ્પેક્શન અને જવાબોના આધારે સુરક્ષિત અને ભરોસાપાત્ર હવાઈ મુસાફરી સેવાઓ સુનિશ્ચિત કરવા માટે તેની મંજૂર ફ્લાઈટ્સમાં 50 ટકાનો ઘટાડો કર્યો છે.
કપાતનો આ નિર્ણય DGCAનો આદેશ જારી થયાના આઠ અઠવાડિયા સુધી લાગુ રહેશે. આ આઠ સપ્તાહ દરમિયાન DGCA એરલાઇન કંપનીના કામકાજ પર નજર રાખશે, ત્યારબાદ આગળનો નિર્ણય લેવામાં આવશે. DGCA વતી આ વચગાળાનો આદેશ નાગરિક ઉડ્ડયનના સંયુક્ત મહાનિર્દેશક મનીષ કુમાર દ્વારા જારી કરવામાં આવ્યો છે.

આ મામલે સ્પાઈસ જેટ તરફથી જાણકારી મળી આવી છે કે અમને ડીજીસીએનો ઓર્ડર મળ્યો છે અને અમે રેગ્યુલેટરની સૂચના મુજબ કામ કરીશું. સ્પાઈસજેટે જણાવ્યું હતું કે હાલમાં ઓછી મુસાફરીની સીઝનને કારણે, સ્પાઈસજેટે અન્ય એરલાઈન્સની જેમ તેની ફ્લાઈટ ઓપરેશન્સ પહેલાથી જ રીશેડ્યુલ કરી દીધું છે, તેથી અમારા ફ્લાઈટ ઓપરેશન્સ પર DGCA ઓર્ડરની કોઈ અસર થશે નહીં. અમે તમામ સુરક્ષા માપદંડોને અનુસરીને DGCA માર્ગદર્શિકા અનુસાર એરક્રાફ્ટનું સંચાલન કરવાનું ચાલુ રાખીશું.

Most Popular

To Top