World

સૂર્યગ્રહણનો ક્રેઝ: કેનેડાના નાયગ્રા વિસ્તારમાં લાખોની ભીડ ઉમટશે, ઇમરજન્સી જાહેર

કેનેડાના ઓન્ટારિયો પ્રાંતનો નાયગ્રા (Niagara) પ્રદેશ હાલ સૂર્યગ્રહણ (Solar Eclipse) જોવા આવતા લોકોનું સ્વાગત કરવામાં વ્યસ્ત છે. આ સમયગાળા દરમિયાન અહીં 10 લાખથી વધુ પ્રવાસીઓ આવવાની આશા છે. 8મી એપ્રિલે પૂર્ણ સૂર્યગ્રહણ થશે. નાયગ્રાના પ્રાદેશિક અધ્યક્ષ જિમ બ્રેડલીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે આ આશ્ચર્યજનક ખગોળીય ઘટનાને જોવા માટે નાયગ્રા શ્રેષ્ઠ સ્થાનો પૈકીનું એક છે અને લાખો લોકો (Crowd) આ વિસ્તારમાં આવે તેવી અપેક્ષા છે. નાયગ્રા ધોધને ‘નેશનલ જિયોગ્રાફિક’ ચેનલ દ્વારા સૂર્યગ્રહણ જોવા માટે શ્રેષ્ઠ સ્થળોમાંનું એક જાહેર કરવામાં આવ્યું છે.

કટોકટીની સ્થિતિ જાહેર
જિમ બ્રેડલી કહે છે, “અમને ડર છે કે 8મી એપ્રિલે નાયગ્રા ફોલ્સ ખાતે આખા વર્ષ કરતાં એક દિવસમાં સૂર્યગ્રહણ જોવા માટે સૌથી મોટી ભીડ હશે.” સાવચેતીના પગલા તરીકે ઇમરજન્સી મેનેજમેન્ટ એન્ડ સિવિલ પ્રોટેક્શન એક્ટ (EMCPA) હેઠળ નાયગ્રા પ્રદેશ માટે કટોકટીની સ્થિતિ જાહેર કરવામાં આવી છે. આ કટોકટી 28 માર્ચથી 8 એપ્રિલ સુધી અમલમાં રહેશે. નાયગ્રા પ્રદેશમાંથી કટોકટીની સ્થિતિ જાહેર કરતી અખબારી યાદીમાં જણાવાયું છે કે નિવાસીઓ અને મુલાકાતીઓના સ્વાસ્થ્ય અને સલામતીની ચિંતાને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે.

જણાવી દઈએ કે સંપૂર્ણ સૂર્યગ્રહણ ઉત્તર અમેરિકા, મેક્સિકો અને કેનેડામાં દેખાશે. વિશ્વનો સૌથી મોટો ધોધ નાયગ્રા ધોધ કેનેડા અને અમેરિકાની સરહદ પર આવેલો છે. ઘણા સ્થાનિક અને બિન-સ્થાનિક લોકો 8 એપ્રિલે પૂર્ણ સૂર્યગ્રહણ જોવા માટે ધોધની આસપાસ હોટેલ બુક કરાવી રહ્યા છે. આ સમયગાળા દરમિયાન વ્યક્તિને ગંભીર ટ્રાફિક જામ, ઇમરજન્સી સેવાઓની ભારે માંગ અને મોબાઇલ ફોન નેટવર્ક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. લોકોને કોઈ સમસ્યાનો સામનો કરવો ન પડે તે માટે 8 એપ્રિલ સુધીમાં નાયગ્રા ક્ષેત્રમાં કેટલાક કાર્યક્રમો અને સેવાઓમાં ફેરફાર કરવાની યોજના બનાવવામાં આવી રહી છે.

મોટાભાગના પ્રવાસીઓ એક દિવસમાં આવશે
નાયગ્રા ધોધના મેયર જિમ ડાયોડાટીએ માર્ચની શરૂઆતમાં જણાવ્યું હતું કે તેમને અપેક્ષા છે કે સૂર્યગ્રહણ દરમિયાન શહેરમાં એક જ દિવસમાં સૌથી વધુ પ્રવાસીઓ જોવા મળશે. કેનેડા માટે 1979 પછી આ પ્રથમ સંપૂર્ણ સૂર્યગ્રહણ છે. આગામી પૂર્ણ સૂર્યગ્રહણ 2044માં થશે. સૂર્યગ્રહણને કારણે કેનેડાના પ્રવાસન ઉદ્યોગમાં તેજી આવવાની ધારણા છે. સંપૂર્ણ સૂર્યગ્રહણ ત્યારે થાય છે જ્યારે ચંદ્ર સૂર્ય અને પૃથ્વીની વચ્ચેથી પસાર થાય છે, સૂર્યના કિરણોને સંપૂર્ણપણે છુપાવે છે. નાયગ્રા શહેરમાં થોડી મિનિટો માટે સૂર્યના કિરણો સંપૂર્ણપણે દેખાતા બંધ થઈ જશે અને કેટલીક ક્ષણો માટે અંધકાર છવાઈ જશે. તે સમયે નાયગ્રા ધોધનું સૌંદર્ય જોવા જેવું હશે.

Most Popular

To Top