Dakshin Gujarat

દેલાડ: ટ્રેનમાંથી ઉતારી ફાર્મમાં લઈ જઈ 13 વર્ષની છોકરી સાથે બે વાર સંબંધ બાંધી શિક્ષક ઘરે મુકી ગયો

દેલાડ: ઓલપાડ તાલુકાના સાયણ-સિવાણ રોડ ઉપર આવેલી એક સ્કૂલના શિક્ષકનો હેવાનિયતભર્યો કિસ્સો સામે આવ્યો છે. આ બદમાશ શિક્ષકે પોતાની જ સ્કૂલના ધો-૯ માં ભણતી સગીર વયની વિદ્યાર્થીનું ટ્રેનમાંથી અપહરણ કરી ત્યાર બાદ બે વખત બળાત્કાર ગુજાર્યો હોવાની શરમજનક ઘટના બની છે. સગીરાના પરિવારજનોએ હવસખોર શિક્ષક વિરુદ્ધ કીમ પોલીસ મથકમાં ફરિયાદ આપતા પોલીસે તપાસ હાથ ધરી છે.

આ કેસ અંગે મળતી વિગત મુજબ મુળ ઉત્તરપ્રદેશના વતની શ્રમજીવી પરિવાર હાલમાં ઓલપાડ તાલુકાના સાયણ- સિવાણ રોડની એક રેસીડન્સીમાં રહે છે. આ શ્રમજીવી પરિવારના મોભી અટોદરા પાટીયા પાસેની એક કાપડ બનાવતી ફેકટરીમાં વોટરજેટ માસ્ટર તરીકે નોકરી કરે છે. પરિવારમાં ચાર બાળકો પૈકી એક 13 વર્ષ 11 મહિનાની સગીર વયની દિકરી અંજના(ભોગ બનનાર દિકરીનું નામ બદલ્યું છે) છે. અંજના સિવાણ ગામ નજીકની ગુરૂકૃપા વિદ્યાસંકુલના ધો.9 માં અભ્યાસ કરે છે.

આ શાળામાં મુળ ઉત્તરપ્રદેશનો જ વતની પપ્પુ ઉર્ફે અજીત ઓમપ્રકાશ ગુપ્તા(હાલ રહે-ઘર નંબર-7, સુકન રો-હાઉસ,મુળદ ગામ) છેલ્લા બે વર્ષથી શિક્ષક તરીકે ફરજ બજાવે છે. જેથી આ પરિવારને શિક્ષક પપ્પુ ગુપ્તા સાથે પરિચય હતો.
દરમિયાન દિવાળીના દિવસે આ શ્રમજીવી પરિવાર મહાકાલ મંદિરે દર્શન કરવા ઉજ્જેન જતા પિતા ત્યાં બે દિવસ રોકાવવાના હતા. પરંતુ આ પરિવારના પિતાએ ગત તા. 27 ઓક્ટોબરના રોજ પત્નીને ચારેય સંતાનો સાથે પિયર પક્ષના સગા-સબંધીઓ સાથે ઉજ્જૈનથી બપોરે દોઢ કલાકના સુમારે ટ્રેનમાં બેસાડી ઉત્તરપ્રદેશ વતનમાં જવા રવાના કર્યા હતા. આ પરિવાર જયારે ટ્રેનમાં મુસાફરી કરી રહ્યો હતો.જયારે ટ્રેન ઇન્દોર નજીક સનાતન રેલ્વે સ્ટેશન પહોંચી, ત્યારે સગીર દિકરી અંજના બાથરૂમ જવાનું કહી ટ્રેનમાંથી પ્લેટફોર્મ ઉપર નીચે ઉતરી ગઈ હતી.

ટ્રેન ઉપડી જવા છતાં અંજના પરત નહીં આવતા પરિવારે રેલ્વે પોલીસની મદદથી ટ્રેનના બધા ડબ્બાઓમાં શોધવા છતાં તે મળી ન હતી. પરંતુ તે દિવસની રાત્રે 10.30 કલાકના સુમારે સ્કૂલના આ શિક્ષક પપ્પુ ઉર્ફે અજીત ઓમપ્રકાશ ગુપ્તાએ મોબાઈલ ફોનથી સગીરાના પિતાને જાણ કરી હતી કે, તમારી દિકરી અંજના મારી સાથે ઈન્દોર ખાતે હોવાથી તેની શોધખોળ કરશો નહીં. જયારે બીજા દિવસે આ બદમાશ શિક્ષક તેણીને સાયણ મુકામે ઘરે પણ મુકી ગયો હતો.

હવસખોર શિક્ષકના કહેવા પર સગીરા ટ્રેનમાંથી ઉતરી ગઈ હતી
જો કે પિતાએ દિકરીને ટ્રેનમાંથી ગાયબ થઈ જવા બાબતે ઉલટ તપાસ કરતા તેણીએ ગુરૂ પપ્પુ ગુપ્તાનો ભાંડો ફોડતા કહ્યું હતું કે, મારી સ્કુલમાં ભણાવતા શિક્ષક પપ્પુ ઉર્ફે અજીત ગુપ્તા મને પસંદ કરતો હોવાથી તે મારી સાથે લગ્ન કરવા માંગે છે. ગઈ તા. 25 મી સપ્ટેમ્બરના રોજ મુળદ ગામે આવેલ બાલાજી ફાર્મ હાઉસના રૂમ નં.14 માં લઈ ગયા હતા. તે સમયે હું તારી સાથે લગ્ન કરવાનો હોવાનું કહી મારી સાથે મરજી વિરૂધ્ધ શરીર સબંધ બાંધ્યો હતો. જયારે મેં મારા સાહેબને તા. 24 ઓક્ટોબરના રોજ હું ઉજ્જૈન ખાતે મહાકાલના મંદિરે દર્શન કરવા જવાની છું અને બે દિવસ બાદ પિતા અમોને વતનમાં મોકલવાના હોવાનું કહ્યું હતું, ત્યારે મારા સાહેબે મને કહ્યું હતું કે, તું ટ્રેનની મુસાફરી સમયે પરિવારના સભ્યોને કોઈ બહાનું બતાવી ઇન્દોર નજીકના સનાતન રેલ્વે સ્ટેશન ખાતે ઉતરી જજે. હું તને લેવા આવીશ અને પછી ત્યાંથી તને ભગાડી તારી સાથે લગ્ન કરીશ.

પોલીસે હવસખોર શિક્ષક વિરુદ્ધ અપહરણ અને બળાત્કારનો ગુનો નોંધ્યો
આ શરમજનક બનાવ મામલે સગીરાના પિતાએ આરોપી પપ્પુકુમાર ઉર્ફે અજીત ઓમપ્રકાશ ગુપ્તા વિરૂધ્ધ કીમ પોલીસ મથકમાં ગત તા.૩૧ મી ઓક્ટોબરની મોડી સાંજે ફરિયાદ નોંધાવી હતી કે,મારી સગીર વયની દિકરીને આરોપી શિક્ષકે લગ્ન કરવાની લાલચ આપી લલચાવી-ફોસલાવી તેણીની મરજી વિરૂધ્ધ શરીર સબંધ બાંધી તેણીને ઉજ્જૈનથી રેલ્વે ટ્રેનમાં વતન જતી વખતે અપહરણ કરી ગુનો કરેલ છે. જેના પગલે પોલીસે શિક્ષક વિરૂધ્ધ બળાત્કાર,અપહરણનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Most Popular

To Top