Madhya Gujarat

નડિયાદમાં માત્ર રૂ. 50 માટે મિત્રએ મિત્રની હત્યા કરી

નડિયાદ: નડિયાદ તાલુકાના હઠીપુરા ગામની સીમમાં આવેલ એક ખેતરમાંથી બે દિવસ અગાઉ ગામના જ એક યુવકની અર્ધનગ્ન હાલતમાં લાશ મળી આવી હતી. આ મામલે નડિયાદ રૂરલ પોલીસે મૃતકના ભાઈની ફરીયાદને આધારે એક શકમંદ સામે હત્યાનો ગુનો નોંધી, તેની અટકાયત કરી કરી હતી. જે બાદ પોલીસે તેની સઘન પુછપરછ હાથ ધરતાં શકમંદ આરોપી ભાંગી પડ્યો હતો અને તેણે 50 રૂપિયા માટે મિત્રની હત્યા કરી હોવાની કબુલાત કરી હતી. નડિયાદ તાલુકાના સલુણ તાબે હઠીપુરા ગામની સીમમાં આવેલ નાની કેનાલ પાસેના એક ખેતરમાંથી રવિવારના રોજ વહેલી સવારના સમયે ગામમાં જ રહેતાં ૨૫ વર્ષીય રાજુ રઈજીભાઈ ગોહેલની અર્ધનગ્ન હાલતમાં લાશ મળી આવી હતી.

બનાવની જાણ થતાં નડિયાદ રૂરલ પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને ડોગ સ્ક્વોર્ડની મદદથી સ્થળ તપાસ હાથ ધરી હતી. જેમાં હુમલા માટે ઉપયોગમાં લેવાયેલ લાકડાનો ડંડો સ્થળ પરથી મળી આવ્યો હતો. બીજી બાજુ પોલીસે મૃતક યુવકના પરિવારજનો તેમજ સ્થાનિકોની પુછપરછ હાથ ધરી હતી. જેમાં મૃતક રાજુ ગોહેલ અને તેના મિત્રો નિત્યક્રમ મુજબ શનિવારના રોજ રાત્રીના સમયે જમી-પરવારીને ઘર નજીક આવેલ ગરનાળે બેસવા ગયાં હતાં. તે વખતે ગામમાં જ રહેતો ગુણવંત ઉર્ફે ભુરીયો કાંતિભાઈ પરમાર બાઈક લઈને ત્યાં ગયો હતો અને ચાલ આપણે આવીએ તેમ કહી રાજુ ગોહેલને બાઈક પર બેસાડીને સલુણ ગામ તરફ લઈ ગયો હતો. જે બાદ રાજુ ગોહેલ ઘરે પરત ફર્યો જ ન હતો અને બીજા દિવસે સવારે તેની લાશ મળી આવી હોવાનું જાણવા મળ્યું હતું.

આ હત્યા મામલે રાજુ ગોહેલને બાઈક પર બેસાડીને લઈ જનાર તેના મિત્ર ગુણવંત પરમાર ઉપર સૌ કોઈને શંકા ગઈ હતી. મૃતકના ભાઈ દિનેશ રઈજીભાઈ ગોહેલે પણ આ હત્યા પાછળ ગુણવંત ઉર્ફે ભુરીયો કાંતિભાઈ પરમાર ઉપર શંકા વ્યક્ત કરી હતી. જેના આધારે નડિયાદ રૂરલ પોલીસે શકમંદ ગુણવંત પરમાર સામે હત્યાનો ગુનો નોંધી, ગણતરીના કલાકોમાં જ તેની અટકાયત કરી, સઘન પુછપરછ હાથ ધરી હતી. દરમિયાન પોલીસના ઉપરાઉપરી આકરાં સવાલોથી ગુણવંત ઉર્ફે ભુરીયો પરમાર ભાંગી પડ્યો હતો અને તેણે આ હત્યાના ગુનાની કબુલાત કરતાં જણાવ્યું હતુ કે, રાજુ ગોહેલે થોડા સમય અગાઉ મારી પાસેથી 50 રૂપિયા હાથ ઉછીના લીધાં હતાં.

શનિવારના રોજ રાત્રીના સમયે મેં રાજુ પાસેથી 50 રૂપિયા પરત માંગ્યાં હતાં. તે વખતે રાજુએ રૂપિયા આપવાની સ્પષ્ટ ના પાડી હતી અને અપશબ્દ બોલી ઝઘડો કરવા લાગ્યો હતો. આ બાબતે મને લાગી આવતાં મેં આવેશમાં આવી જઈ રાજુને મુઢમાર માર્યો હતો. તેમજ લાકડાના ડંડા વડે હુમલો કરી, ગંભીર ઈજા પહોંચાડી, મોતને ઘાટ ઉતાર્યો હતો અને તેની લાશ ગરનાળાની બાજુમાં આવેલા ખેતરમાં મુકી દીધી હોવાનું કબુલ્યું હતું.

Most Popular

To Top