Dakshin Gujarat

ભાજપી નેતાઓ પડ્યા હતા ત્યાં જ નજીકના સ્લેબમાં ટેમ્પો ફસાતાં કામગીરીની ગુણવત્તા પર સવાલો

navsari : વિજલપોરમાં વિઠ્ઠલમંદિર નજીક ડ્રેનેજ લાઇન ( Drainage line) નો સ્લેબ તુટી પડતા ટેમ્પો ફસાયો હતો. વિજલપોર વિઠ્ઠલમંદિર પાસેથી લાંબી ડ્રેનેજની લાઇન પસાર થાય છે. જે ડ્રેનેજ લાઇનની આજુબાજુ દુકાનો આવી છે. સાથે જ ત્યાં શાકભાજી માર્કેટ પણ ભરાય છે. ત્યાંથી પસાર થતી ડ્રેનેજ લાઇન ઉપર સિમેન્ટનો સ્લેબ ( slab ) બનાવવામાં આવ્યો હતો. જેથી દુકાનમાં જતાં ગ્રાહકો તેમજ શાકભાજી ખરીદવા આવેલા લોકોને ડ્રેનેજમાં પડવાનો ભય ન રહે.

પરંતુ કાલે સવારે વિઠ્ઠલમંદિર પાસે આવેલી ડ્રેનેજ લાઇન પરનો સ્લબે તુટી પડતા એક ટેમ્પો ફસાયો હતો. ત્યારે પાલિકા દ્વારા ડ્રેનેજ લાઇન ઉપર બનાવવામાં આવેલો સ્લેબ ગુણવત્તાવિહિનનો હોય તેમ લાગે છે. જોકે હવે વિજલપોર પાલિકાને નવસારી પાલિકામાં સમાવી લેતા વિજલપોર શહેરની તમામ જવાબદારીઓ નવસારી-વિજલપોર નગરપાલિકાની રહે છે. ત્યારે નવસારી-વિજલપોર પાલિકાના શાસકો અને અધિકારીઓ વિજલપોર શહેરમાં પડતી સમસ્યાનું નિરાકરણ લાવે તે જરૂરી છે. જેમાં ખાસ કરીને ડ્રેનેજ લાઇનની સમસ્યા વધુ રહેતી હોય છે.

શાસકોએ ડ્રેનેજ લાઇનની સાફ-સફાઇ તેમજ રીપેરીંગના કામોને મંજુરી આપી દીધી છે
હાલ ચોમાસુ નજીક છે અને પાલિકાએ ગત સામાન્ય સભામાં ચોમાસા પહેલા ડ્રેનેજ લાઇન સાફ-સફાઇ તેમજ રીપેરીંગના કામોને મંજુરી આપી દીધી છે. ત્યારે પાલિકા શું ચોમાસા પહેલા વિજલપોર શહેરની ડ્રેનેજ લાઇનના લીધે પડતી મુશ્કેલીઓ દુર કરશે ? અત્રે ઉલ્લેખનીય છે કે, તાઉતે વાવાઝોડા બાદ નવસારી-વિજલપોર પાલિકાના પ્રમુખ, શાસક પક્ષ નેતા અને ચીફ ઓફિસર વિજલપોર શહેરમાં મુલાકાતે આવ્યા હતા. ત્યારે આ વિઠ્ઠલમંદિર પાસેની ડ્રેનેજ લાઇનમાં પ્રમુખ, શાસક પક્ષ નેતા અને ચીફ ઓફિસર પડ્યા હતા.

Most Popular

To Top