પુડુચેરી વિધાનસભા ચૂંટણી 2026 પછી હવે એક્ઝિટ પોલના પરિણામોએ રાજ્યના રાજકીય ચિત્રને વધુ સ્પષ્ટ બનાવવાનું શરૂ કર્યું છે. વિવિધ એજન્સીઓના સર્વે મુજબ, શાસક ગઠબંધન NRC+ (NDA) ફરી સત્તામાં આવી શકે છે અને મુખ્યમંત્રી તરીકે એન. રંગાસ્વામી સૌથી આગળ દેખાઈ રહ્યા છે. એક્સિસ માય ઇન્ડિયાના એક્ઝિટ પોલ અનુસાર, મુખ્યમંત્રી પદ માટે લોકોની પહેલી પસંદ એન. રંગાસ્વામી છે. લગભગ 42% લોકોએ તેમને CM તરીકે પસંદ કર્યા છે. તેઓ AINRCના નેતા છે અને હાલના સમયમાં પણ રાજ્યની રાજનીતિમાં મજબૂત સ્થાન ધરાવે છે. આ સર્વેમાં બીજા ક્રમે અભિનેતા-રાજકારણી થલાપતિ વિજય છે, જેમને 17% લોકોનો ટેકો મળ્યો છે. વિજય માટે આ નોંધપાત્ર સિદ્ધિ માનવામાં આવે છે, કારણ કે તેઓ પહેલીવાર આ સ્તરે રાજકીય ચર્ચામાં આગળ આવ્યા છે. કોંગ્રેસના વી. વૈથિલિંગમને 10% સમર્થન મળ્યું છે, જ્યારે DMKના આર. શિવાને 8% લોકો પસંદ કરે છે. પૂર્વ મુખ્યમંત્રી નારાયણસામીને 5% સમર્થન મળ્યું છે. અન્ય અથવા અનિશ્ચિત વિકલ્પોને 6% લોકોએ પસંદ કર્યા છે.
સીટોના અંદાજની વાત કરીએ તો, NDTV પોલ ઓફ પોલ્સ મુજબ NRC+ ગઠબંધન પુડુચેરીમાં આગળ છે. 30 બેઠકોવાળી વિધાનસભામાં NRC+ને સરેરાશ 18 બેઠકો મળવાનો અંદાજ છે, જે બહુમતી માટે પૂરતું છે. આથી સ્પષ્ટ થાય છે કે NDA ફરી સત્તા જાળવી રાખી શકે છે. એક્સિસ માય ઇન્ડિયાના એક્ઝિટ પોલ મુજબ, NRC+ ગઠબંધનને 16 થી 20 બેઠકો મળવાની ધારણા છે. તેમાં AINRCને 10-12 બેઠકો, ભાજપને 4-6 બેઠકો અને AIADMK તથા LJKને 1-2 બેઠકો મળી શકે છે.
બીજી તરફ, કોંગ્રેસ અને DMKના ગઠબંધન (CONG+)ને 6થી 8 બેઠકો મળવાનો અંદાજ છે. તેમાં DMKને 5-7 અને કોંગ્રેસને 1-2 બેઠકો મળી શકે છે. TVK+ ગઠબંધનને 2થી 4 બેઠકો મળવાની ધારણા છે, જ્યારે અન્ય પક્ષો અને અપક્ષોને 1 થી 3 બેઠકો મળી શકે છે. આ સર્વેમાં કુલ 2,250 મતદારોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. જેમાં 68% ગ્રામિણ અને 32% શહેરી મતદારો હતા. પુરુષ મતદારો 58% અને મહિલાઓ 42% હતી. સર્વે 97 વિસ્તારોમાં રૂબરૂ મુલાકાત દ્વારા કરવામાં આવ્યો હતો. આ એક્ઝિટ પોલના આંકડા દર્શાવે છે કે પુડુચેરીમાં મુખ્ય મુકાબલો NRC+ અને કોંગ્રેસ ગઠબંધન વચ્ચે છે, પરંતુ હાલ NRC+ સ્પષ્ટ રીતે આગળ છે. રંગાસ્વામીની લોકપ્રિયતા પણ આ જીતમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહી છે.