Charchapatra

હેરીટેજ એંજિન રેલવે સ્ટેશનમાં પ્રવેશદ્વારે મુકો

રેલવે તંત્રે સુરત રેલવે સ્ટેશનની શોભામાં વધારો કરવા માટે 60 ટન વજનનું અને 700 હોર્સ પાવરની ક્ષમતા ધરાવતું ડીઝલ એન્જિન કે જે જાન્યુઆરી 2015માં નિવૃત્ત થયું હતું. એ અન્જિનને રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ પર ટૂંક સમયમાં મૂકીને તેને પ્રદર્શીત કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. સને 2015માં નિવૃત્ત થયેલ આ ડિઝલ એન્જિન હેરીટેજની કક્ષામાં ગણી શકાય નહીં. ન્યુ દિલ્હીનાં રેલ ભવનમાં પ્રવેશ દ્વાર પર જ અત્યંત જુનું વરાળ એન્જિન ગોઠવવામાં આવ્યું છે. શહેરીજનો તેમજ રેલ ભવનની મુલાકાત લેતાં મુસાફરો તેનું અવલોકન કરી શકે. ભલે રેલવે આ ડીઝલ એન્જિનને પ્રદર્શીત કરવાનો નિર્ણય કર્યો હોય.

પરંતુ રેલવે પાસે કેટલાક રિટાયર્ડ થયેલ વરાળ એન્જિન હશે જ, કે જેની હેરીટેજ કક્ષામાં ગણતરી થઈ શકે, તેથી તેની માંગણી કરી શકાય. વેસ્ટ ઝોનમાં સૌથી વધુ આવક આપતા રેલવે સ્ટેશનોમાં સુરત રેલવે સ્ટેશન મોખરે છે. તેથી સ્થાનીક રેલવે તંત્ર એ અંગે મુંબઈ ડિવિઝનને વિનંતિ કરી શકે. આ હેરીટેજ એન્જિનને પણ પ્લેટફોર્મ પર ગોઠવવા કરતા રેલવે સ્ટેશનના પ્રવેશ દ્વાર પર જ ગોઠવવાનું  બહેતર રહેશે, કે જેથી રેલવે મુસાફરો ઉપરાંત શહેરીજનો પણ તેનો લાભ ઉઠાવી શકે.
ભેસ્તાન – બી.એમ. પટેલ – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top