Editorial

હવે વિદેશની ધરતી પર ભારતના ટુકડા કરવા માંગતા અલગતાવાદીઓને પણ કચડી નાંખવા જોઇએ

આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યા બાદ 8મી જુલાઈએ વિદેશમાં ખાલિસ્તાની સમર્થકો દ્વારા આયોજિત ‘કિલ ઈન્ડિયા’ રેલી સંપૂર્ણપણે નિષ્ફળ ગઈ હતી. યુકે અને ઓસ્ટ્રેલિયામાં ભારતીય દૂતાવાસની બહાર ભીડ એકઠી થઈ શકી ન હતી. બીજી તરફ કેનેડામાં બનેલા ભારત માતાના મંદિરની બહાર ખાલિસ્તાની સમર્થકોએ ખાલિસ્તાની પોસ્ટર લગાવ્યા હતા. ભારતના વિરોધ બાદ ખાલિસ્તાનીઓને વિદેશમાં સમર્થન નથી મળી રહ્યું. ભૂતકાળમાં હરદીપ નિજ્જરની હત્યા બાદ શીખ ફોર જસ્ટિસના મુખ્ય આતંકવાદી ગુરપતવંત સિંહ પન્નુ દ્વારા 8મી જુલાઈએ યુકે, કેનેડા અને ઓસ્ટ્રેલિયામાં બોલાવવામાં આવેલી રેલીઓ સફળ રહી ન હતી. એક તરફ, કહેવા પ્રમાણે, યુકે અને ઓસ્ટ્રેલિયામાં ખાલિસ્તાનીઓની સંખ્યા ઘણી ઓછી હતી.

તે જ સમયે, સ્થાનિક વહીવટીતંત્ર અને પોલીસે પણ દૂતાવાસોની સુરક્ષા માટે કડક વ્યવસ્થા કરી હતી. આ દરમિયાન ખાલિસ્તાનીઓએ કેનેડાના બ્રેમ્પટનમાં બનેલા ભારત માતાના મંદિરની બહાર શરમજનક કૃત્ય કર્યું હતું. ખાલિસ્તાની સમર્થકોએ અહીં પોસ્ટર લગાવ્યા હતા અને તસવીરો સાથે ભારતીય રાજદ્વારીઓને ધમકી આપી હતી. કેનેડામાં ભારતીય સમુદાયના લોકોએ તેનો વિરોધ કર્યો છે. ખાલિસ્તાનના નારા લગાવીને ભારતમાં અલગ દેશની માગણી કરી રહેલા ખાલિસ્તાની સમર્થકોને હવે વિદેશમાં ઓછું સમર્થન મળી રહ્યું છે.

તેની પાછળનું કારણ ભારત સરકાર દ્વારા બનાવવામાં આવી રહેલું દબાણ અને ખાલિસ્તાની સમર્થકો તરફથી ભારતીય દૂતાવાસ અને રાજદ્વારીઓને નુકસાન પહોંચાડવાની ધમકીઓ છે. જે બાદ હવે કેનેડા, અમેરિકા, યુકે અને ઓસ્ટ્રેલિયા જેવા દેશોએ પણ પીછેહઠ શરૂ કરી દીધી છે. તમામ દેશોના વિદેશ મંત્રાલયોએ સ્પષ્ટપણે કહ્યું છે કે તેઓ તેમની ધરતી પર આતંકવાદી ગતિવિધિઓને મંજૂરી નહીં આપે. જો કે, આવી બધી પરિસ્થિતિને પહોંચી વળવા માટે ભારત હવે એક સબળ રાષ્ટ્ર છે. વિદેશની ભૂમિ પર આ આતંકવાદી સમર્થકો જે નગ્ન નાચ કરી રહ્યાં છે તેમને પણ તેના પરિણામો મળી રહ્યાં છે.

પરંતુ દેશમાં આવી કોઇ હરકત ચલાવવામાં નહીં આવે અને તેનું ઉદાહરણ અમૃતપાલ સિંહ છે જેણે વારિસ દે પંજાબના નામથી ફરી ખાલિસ્તાનની ચળવળ ભારતની ભૂમિ પર ઊભી કરી હતી. ભારત સરકારે તેની સામે એવો ગાળિયો કસ્યો હતો કે તે કેટલાય દિવસ સુધી ભાગેડું રહ્યો હતો અને ત્યાર બાદ તેને પકડીને ડિબ્રુગઢ મોકલી આપવામાં આવ્યો છે ત્યાં તેની માનસિક હાલત ખરાબ થઇ ગઇ હતી. તેની પત્ની કિરણદીપ કૌરે જણાવ્યું કે, જેલમાં ખાવા-પીવાની વ્યવસ્થા સારી નથી. ક્યારેક દાળ કે શાકભાજીમાં મીઠું ઉમેરવામાં આવતું નથી તો ક્યારેક તમાકુમાં મીઠું ઉમેરવામાં આવે છે. ખાવા-પીવા માટે કશું જ યોગ્ય નથી હોતું.

જેલના લોકોને કંઈ કહી શકાતું નથી કારણ કે તેઓ પંજાબી ભાષા નથી સમજતા. જેના કારણે અમૃતપાલ અને તેના સાથીઓ માનસિક સમસ્યાઓથી ઝઝૂમી રહ્યા છે. કિરણદીપ કૌરે સરકાર પાસે માંગ કરી છે કે, સરકાર આ મુદ્દાઓને વહેલી તકે હલ કરે. આ માત્ર સામાન્ય સુવિધાઓ છે જે પરિપૂર્ણ કરી શકાય છે. ખાલિસ્તાનના સમર્થકોની હત્યા કોણ કરાવી રહ્યું છે તેની તો ખબર નથી પરંતુ કેનેડામાં ખાલિસ્તાનના એક મોટા નેતા હરદીપ સિંહ નિજ્જરની ગોળી મારી હત્યા કરી દેવામાં આવી છે. કેનેડાના સરે શહેરમાં આવેલા ગુરુ નાનક શીખ ગુરુદ્વારામાં બે અજાણ્યા હુમલાખોરોએ તેને નજીકથી ગોળી મારી દીધી હતી. હરદીપ સિંહ નિજ્જર ગુરુ નાનક શીખ ગુરુદ્વારાનો અધ્યક્ષ અને કેનેડામાં કટ્ટરપંથી સગંઠન શીખ ફોર જસ્ટિસ (SFJ)નો પ્રમુખ ચહેરો હતો. નિજ્જર, ખાલિસ્તાની ટાઈગર ફોર્સ (KTF)નો ચીફ પણ હતો. તે પંજાબના જલંઘરના ભાર સિંહ પુરા ગામનો વતની હતો.

Most Popular

To Top