National

નેશનલ હેરાલ્ડ કેસ: EDએ નેશનલ હેરાલ્ડની ઓફિસ સીલ કરી

નવી દિલ્હી: નેશનલ હેરાલ્ડ કેસમાં (National Herald Case) મોટી કાર્યવાહી કરતા એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ તેની ઓફિસને સીલ કરી દીધી છે. આ સાથે EDએ નિર્દેશ આપ્યો છે કે એજન્સીની પરવાનગી વિના ઓફિસને (Office) ખોલવી નહીં. EDએ નેશનલ હેરાલ્ડની ઓફિસ પર પૂર્વ પરવાનગી વગર ઓફિસ ન ખોલવા માટે નોટિસ (Notice) પણ લગાડી છે. આ ધટના પછીથી AICC હેડક્વાર્ટરની સુરક્ષા વધારી દેવામાં આવી છે. આ સાથે 10 જનપથ એટલે કે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીના નિવાસસ્થાનની સુરક્ષા પણ વધારી દેવામાં આવી છે. જણાવી દઈએ કે EDએ મંગળવારે નેશનલ હેરાલ્ડની ઓફિસની તપાસ કરી હતી. EDની ટીમે અહીં દસ્તાવેજો શોધવા માટે દરોડા પાડ્યા હતા. બુધવારના રોજ ઓફિસને સીલ કરી દેવામાં આવી છે.

સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ EDએ ગઈકાલે નેશનલ હેરાલ્ડ કેસના સંબંધમાં દિલ્હી, લખનૌ, કોલકાતામાં 12 સ્થળોએ દરોડા પાડ્યા હતા. નેશનલ હેરાલ્ડ કેસમાં કોંગ્રેસના ટોચના નેતાઓ પર નિયમોનું ઉલ્લંઘન કરવાનો આરોપ પણ મૂકવામાં આવ્યો છે. EDના અધિકારીઓએ જણાવ્યું હતું કે પૈસાની લેવડદેવડ સંબંધિત વધારાની માહિતી એકઠી કરવા માટે પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટની ફોજદારી કલમો હેઠળ દરોડા પાડવામાં આવ્યા હતા. આ દરોડા મુખ્યત્વે એવા એકમો પર પાડવામાં આવ્યા હતા જેઓ નેશનલ હેરાલ્ડ સાથે જોડાયેલા વ્યવહારોમાં સામેલ હતા.

આ કેસમાં તાજેતરમાં કેટલાય લોકોની પૂછપરછ પછી બહાર આવેલા નવા પુરાવાના આધારે આ કાર્યવાહી કરવામાં આવી છે. નેશનલ હેરાલ્ડ કેસમાં EDએ કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી અને પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીની અનેક રાઉન્ડ સુધી પૂછપરછ કરી છે. આ અંગે કોંગ્રેસે ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. ED દ્વારા સોનિયા અને રાહુલની પૂછપરછને લઈને કોંગ્રેસ નેતાઓ અને કાર્યકરોએ દેશભરમાં વિરોધ પ્રદર્શન કર્યું હતું. સોનિયા ગાંધીની પૂછપરછ દરમિયાન રાહુલ ગાંધી સહિત કોંગ્રેસના ઘણા નેતાઓને દિલ્હી પોલીસે કસ્ટડીમાં લીધા હતા.

શું છે નેશનલ હેરાલ્ડ કેસ?
નેશનલ હેરાલ્ડ અખબારની શરૂઆત પંડિત જવાહરલાલ નેહરુએ વર્ષ 1938માં કરી હતી. આ અખબારને ચલાવવાની જવાબદારી એસોસિએટેડ જર્નલ્સ લિમિટેડ (એજેએલ) નામની કંપનીની હતી. આ કંપનીમાં શરૂઆતથી જ કોંગ્રેસ અને ગાંધી પરિવારનું વર્ચસ્વ હતું. લગભગ 70 વર્ષ પછી 2008 માં આ અખબારને નુકસાનને કારણે બંધ કરવું પડ્યું, જ્યારે કોંગ્રેસે પાર્ટી ફંડમાંથી AJLને વ્યાજ વગર 90 કરોડ રૂપિયાની લોન આપી. ત્યારબાદ સોનિયા ગાંધી અને રાહુલે ‘યંગ ઈન્ડિયન’ નામની નવી કંપની બનાવી. એસોસિએટેડ જર્નલ્સને આપવામાં આવેલી લોનના બદલામાં યંગ ઈન્ડિયનને કંપનીમાં 99 ટકા હિસ્સો મળ્યો હતો. યંગ ઈન્ડિયન કંપનીમાં સોનિયા અને રાહુલ ગાંધી 38-38 ટકા હિસ્સો ધરાવે છે, જ્યારે બાકીનો હિસ્સો મોતીલાલ બોરા અને ઓસ્કર ફર્નાન્ડિસ પાસે હતો.

Most Popular

To Top