Comments

કોરોના વેક્સિન લોકો સુધી પહોંચાડવા ઉપરાંત 2021માં મોદી સામે ઘણાં પડકાર છે

નવા વર્ષમાં મોદી અને તેમની સરકાર સમક્ષ અનેક પડકારો ઘુરકિયાં કરી રહ્યાં છે. પહેલો તો તા. ૧૬ મી જાન્યુઆરીથી શરૂ થતો કોવિડ રસીકરણનો પડકાર છે.  સરકાર આ વર્ષના ઓગસ્ટ સુધીમાં ત્રીસ કરોડ લોકોને રસી આપવાની યોજના ધરાવે છે. આ વર્ષમાં ભારત પોલિયોમાંથી સંપૂર્ણ મુકત થયાનું દશાબ્દી વર્ષ પણ છે. ૧૯૯૦ ના દાયકા સુધી પોલિયોમાંથી દર વર્ષે બે લાખ બાળકો અપંગ બની જતાં હતાં.

બીજો પડકાર ખેડૂતોનું આંદોલન છે. દરેક જણ પૂછે છે કે મોદી સરકાર સ્થાનિક મંડીઓ ઉપરાંત વધારાના બજાર શોધવામાં ખેડૂતોને મદદ કરવાની નેમ ધરાવતા મનાતા ત્રણ કૃષિ કાયદાઓ સામે પંજાબ અને હરિયાણાના ખેડૂતોના આંદોલનને કઇ રીતે હાથ ધરશે? બની શકે કે ખેડૂતોના જૂથ અને કેન્દ્ર સરકાર વચ્ચેની મડાગાંઠ તોડવામાં સુપ્રીમ કોર્ટ મદદ કરી શકે. સરકારે કૃષિ કાયદાઓમાં સુધારાને અવકાશ રાખીને પાછા ખેંચવાનો ઇન્કાર કર્યો છે. પણ ખેડૂતો તો કૃષિ કાયદાઓ રદ કરાવવા જ માંગે છે.

વધુ એક પડકાર નાણાં મંત્રી નિર્મલા સીતારામન દ્વારા રજૂ કરાનાર અંદાજપત્ર છે. હજી માંડ બેઠા થઇ રહેલ અર્થતંત્રનો સરકાર કઇ રીતે વધુ વેગ આપી શકશે? વધુ મોટો પડકાર તો આસામ, બંગાળ, કેરળ, તામિલનાડ અને પુંડુચેરીમાં આવી રહેલો વિધાનસભા ચૂંટણી જંગ છે. ભારતીય જનતા પક્ષ રાજયોમાં વિસ્તરવા માંગે છે તેથી તે પ્રાદેશિક પક્ષો સાથે કયારેય ખતમ નહીં થતાં સંઘર્ષમાં છે.

૨૦૨૦ માં મોદીએ બિહાર વિધાનસભામાં નેશનલ  ડેમોક્રેટિક એલાયન્સને  બિહારની ચૂંટણી જીતાડી હતી અને સાથી જનતા દળ (યુનાઇટેડ) ના નેતા નીતીશકુમારને સતત ચોથી વાર ગાદી પર બેસાડયા હતા. વિધાનસભાઓની  પેટા ચૂંટણીઓ પણ ૧૧ રાજયોમાં થઇ હતી તેમાં સાત રાજયોમાં ભારતીય જનતા પક્ષ અથવા તેનો સાથી પક્ષ ૫૯ માંથી ૪૧ બેઠક જીતી ગયો હતો. રાજય સભાની ચૂંટણીઓમાં પણ ભારતીય જનતા પક્ષ નેશનલ ડેમોક્રેટિક એલાયન્સની બેઠક સંખ્યા ૧૧૧ પર લઇ ગયો હતો જયારે કોંગ્રેસની આગેવાની હેઠળના વિરોધ પક્ષોની કુલ બેઠક ૬૫ હતી.

૨૦૧૪ માં મોદી વડા પ્રધાન બન્યા પછી અને વધુ મોટા જનાદેશ સાથે ફરી સત્તા પર બેઠા પછી આ પક્ષે  ભારતીય જનતા પક્ષના સારથિ તરીકે અમિત શાહની ભૂમિકા વિશે વધુ ચર્ચા કરે છે. ભાવિનાં એંધાણ તરીકે જુઓ તો અમિત શાહે બંગાળમાં સંખ્યાબંધ સભાઓ કરી છે અને કાયદો અને વ્યવસ્થાના મામલે મમતા બેનરજીની સરકારને નિશાન બનાવી છે. ૨૦૧૯ ની સંસદીય ચૂંટણીમાં બંગાળમાંથી ૪૨ માંથી ૧૮ બેઠક જીતી મમતા અને અન્ય ‘ધર્મનિરપેક્ષ’ પક્ષોને ભારતીય જનતા પક્ષે આંચકો આપ્યા પછી તૃણમૂલ કોંગ્રેસના ઘણા જૂના જોગીઓ ભારતીય જનતા પક્ષમાં જોડાઇ રહ્યા છે અને કહે છે કે  અમારે ૨૦૧૧ માં સત્તા પર આવ્યા પછી મમતાએ જે ગેરશાસન ચલાવ્યું તેની સામે લડત આપવી છે. મમતાએ આ જ મેદાનમાંથી ૩૩ વર્ષ જૂના માર્કસવાદીઓને ગાદી પરથી ઉઠાડી મૂકયા હતા.

શાહની ગતિવિધિથી ડઘાઇ ગયેલ મમતા બેનરજીએ રાજયના વિકાસના મામલે અસત્ય બોલવાનો આક્ષેપ કર્યો છે. ભારતીય જનતા પક્ષ બંગાળમાં ૨૦૦ બેઠકો સાથે વિજેતા બનશે તેવો અમિત શાહે દાવો કર્યો ત્યારથી તેમની સભાઓ અખબારોમાં મુખ્ય મથાળે ચમકવા લાગી છે. કયંય પાછા નહીં પડી જવાય તે હેતુથી મમતાના ભાડુતી મુખ્ય વ્યૂહ રચનાકાર પ્રશાંત શાહે પોતાનો જાહેરમાં આવવાનો સંકોચ ખંખેરી નાંખી અમિત શાહના દાવાઓને રદિયો આપ્યો છે અને જાહેર કર્યું છે કે ૨૯૪ બેઠકની બંગાળ વિધાનસભામાં ભારતીય જનતા પક્ષ બે આંકડાથી પણ વધુ સંખ્યામાં બેઠક મેળવે તો હું મારો ધંધો છોડી દઇશ.

આ કિશોર કોણ છે? કિશોર એ જ છે, જેણે ગુજરાતમાં એક વાર મોદી માટે કામ કર્યું હતું અને પછી લોકસભાની ૨૦૧૪ ની ચૂંટણીમાં પણ તેમને માટે કામ કર્યું હતું. પછી ૨૦૧૫ માં મોદીને છોડીને નીતીશકુમાર માટે કામ કર્યું હતું અને ૨૦૧૭ માં રાહુલ ગાંધી માટે ઉત્તર પ્રદેશમાં કામ કર્યું હતું અને ૨૦૧૯ માં શિવસેના માટે કામ કર્યું હતું. કિશોર જયાં અને જયારે યોજાતી ચૂંટણીઓમાં ભારતીય જનતા પક્ષને કદ પ્રમાણે વેતરી નાંખવા મેદાને પડયા છે તેને ભારતીય જનતા પક્ષ તરફથી સાંપડેલી નિરાશાનો બદલો લેવો છે. આ વર્ષની ચૂંટણીમાં બિહારમાં પડકારને ગંભીરતાથી નહીં લેવાનું તેણે પસંદ કર્યું હતું. તેમના એક સમયના સાથી નીતીશકુમારે ૨૦૧૭ માં ફરી એક વાર ભારતીય જનતા પક્ષના પડખામાં ભરાવાનું પસંદ કર્યું હતું.

અત્યારે કિશોરની સેવા મમતા અને દ્રવિડ મુનેત્ર કળગમના વડા સ્તાલિને ચૂંટણી જંગમાં વિજેતા થવા માટે ખરીદી છે. તેની ટુકડીઓએ કોલકત્તા અને ચેન્નઇમાં પડાવ નાંખી વિજયી થવા માટે માહિતી આપવાનો વ્યાયામ શરૂ કર્યો છે. કિશોર મમતાના ભત્રીજા અને સાંસદ અભિષેક બેનરજીની નિકટ છે તેમ જ સ્તાલિનના દીકરા ઉદયનિધિ અને જમાઇ સબરીસન સાથે પણ ઘરોબો ધરાવે છે. આ ત્રણે મહાનુભાવો પોતપોતાના પક્ષનો ચૂંટણી કારભાર કરવામાં વ્યસ્ત છે.

બંગાળમાં કિશોરનું કામ મુશ્કેલ બની રહ્યું છે. મમતા સરકાર વિરોધી પ્રચંડ મુદ્દાઓ સામે લડી રહ્યાં હોય તેવું લાગે છે. તેમની સરકાર પર ઘણી ભૂલચૂકના આક્ષેપ થયા છે.વિરોધ પક્ષના નેતાઓ અને કાર્યકરોની અવિચારી હત્યાઓ વચ્ચે તૃણમૂલ કોંગ્રેસની ‘સિંડીકેટો’ રાજકીય ખંડણી ઉઘરાવતી હોવાની અને લાંચ ખાતી હોવાનું  આક્ષેપચક્ર અવિરત ચાલ્યા કરે છે. શાસક પક્ષના ગુંડાઓ દ્વારા ૧૩૦ થી વધુ લોકોની હત્યા કરાઇ હોવાની ભારતીય પાસે વિગતો છે. ૧૯૭૭ માં માર્કસવાદીઓ સત્તા પર આવ્યા અને કોંગ્રેસનો અસ્તાચળ થયો ત્યારે જે હતી તેવી જ પરિસ્થિતિ અત્યારે છે એમ બંગાળના જૂના રાજકીય કાર્યકરો યાદ કરે છે અને બંગાળના રાજકીય કાર્યકરોના ચહેરા પર ભયની રેખાઓ અંકિત થઇ ગઇ છે.

૨૦૧૧ ની ચૂંટણીમાં માર્કસવાદીઓનો સૂરજ અસ્તાચળે જતો હતો ત્યારે મમતા અને તેમના પક્ષને પણ માર્કસવાદીઓ તરફથી આવો જ વ્યવહાર સહેવો પડયો હતો.  વિચિત્રતા એ છે કે હવે તેને પોતાની સરકારની રાજકીય હિંસા નિયંત્રણમાં રાખવાની પધ્ધતિ વિશે બચાવ કરવો પડે છે. કિશોર સ્વીકારે છે તેમ મમતાની સરખામણીમાં બહેતર શાસન આપવાની ક્ષમતા ધરાવનાર તરીકે મોદીનો હાથ ઉપર રહી શકે, પણ કિશોરને તો  શાહ સાથે અંગત હિસાબની પતાવટ કરવાની હોવાથી બંગાળનું યુદ્ધ ૨૦૨૧ ના તમામ ચૂંટણી જંગની જનની બની રહેવાની ખાતરી આપે છે.         

-શેખર ઐયર

  • આ લેખમાં પ્રગટ થયેલાં િવચારો લેખકનાં પોતાના છે.
Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top