National

મણિપુરમાં 3નાં મોત પછી યુદ્ધ જેવી સ્થિતી, બોમ્બ અને ડ્રોનથી ઉગ્રવાદીઓનો હુમલો

મણિપુર: મણિપુરમાં (Manipur) શરૂ થયેલી હિંસા (Violence) અટકવાનું નામ નથી લઈ રહી. શુક્રવારની રાત્રે થયેલી હિંસામાં 3 લોકોના મોત (Death) થયા હતા, જ્યારે ઘણાં ઘરોને આગ ચાંપી દેવામાં આવી હતી. આ હિંસા બાદ સ્થિતિ વધુ તંગ બની છે. શનિવારે સવારે પણ વિષ્ણુપુરના કવાક્તા વિસ્તારમાં ગોળીબાર થઈ રહ્યો છે. પોલીસ પણ જવાબી કાર્યવાહી કરી રહી છે. આ ગોળીબાર કુકી પ્રભુત્વવાળા પહાડી વિસ્તારમાંથી થઈ રહ્યો છે. પહાડી વિસ્તારોમાંથી બોમ્બ અને ડ્રોનથી હુમલો કરવામાં આવી રહ્યો છે.

મણિપુર પોલીસ, સીડીઓ, કમાન્ડો જવાબી કાર્યવાહી કરી રહ્યા છે. બિષ્ણુપુરમાં હિંસા બાદ લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. આ દરમિયાન મણિપુરમાં એક કમાન્ડોને માથામાં ઈજા થઈ છે જેની હાલત નાજુક છે. કમાન્ડોને બિષ્ણુપુર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. અહીં મહિલાઓમાં પણ ભારે રોષ છે તેઓ રસ્તા પર બેસીને વિરોધ કરી રહી છે. અર્ધલશ્કરી દળોને પણ સ્થિતી વધારે તંગ ન બને તેના માટે તૈનાત કરવામાં આવી છે.

વિષ્ણુપુરમાં શુક્રવારની રાત્રે 3 સ્થાનિક લોકોની હત્યા કર્યા પછી પરિસ્થિતિ તંગ બની ગઈ છે. પોલીસ અને સ્થાનિક સશસ્ત્ર ગ્રામીણો પહાડી વિસ્તારોમાંથી આવતા ડ્રોનને મારવાનો પ્રયાસ કરી રહ્યા છે. બોર્ડર પર સ્નાઈપર્સ અને કમાન્ડો તૈનાત કરવામાં આવ્યા છે. સુરક્ષા દળોએ બફર ઝોન બનાવ્યો છે. આ ઉપરાંત કુકી સમુદાયના લોકોના ઘરોને આગ ચાંપવામાં આવી છે. પોલીસ સૂત્રોનું કહેવું છે કે કેટલાક લોકો બફર ઝોનને ઓળંગીને મેઇતેઇ વિસ્તારોમાં આવ્યા હતા અને મેઇતેઇ વિસ્તારોમાં ફાયરિંગ કર્યું હતું.

મણિપુરમાં પહેલીવાર 3 મેના રોજ હિંસા થઈ હતી
મણિપુરમાં પહેલીવાર 3 મેના રોજ હિંસા થઈ હતી. મેઇતેઇ સમુદાયને અનુસૂચિત જનજાતિ (ST)માં સમાવવાની માંગના વિરોધમાં પહાડી જિલ્લાઓમાં ‘આદિવાસી એકતા માર્ચ’નું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ મણિપુરમાં પ્રથમ વખત જ્ઞાતિ અથડામણ થઈ હતી. આ હિંસામાં અત્યાર સુધીમાં 160થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે અને સેંકડો લોકો ઘાયલ થયા છે. મણિપુરની વસ્તીના લગભગ 53 ટકા મેઇતેઇ સમુદાયનો હિસ્સો છે અને તેઓ મોટાભાગે ઇમ્ફાલ ખીણમાં રહે છે. કુકી અને નાગા સમુદાયની વસ્તી 40 ટકાથી વધુ છે. આ લોકો પહાડી જિલ્લાઓમાં રહે છે. નાગા અને કુકી જાતિના લોકોનું માનવું છે કે તમામ વિકાસના લાભ મેઇતેઇ દ્વારા લેવામાં આવે છે.

જવાહરલાલ નેહરુ યુનિવર્સિટીમાં નોર્થ ઈસ્ટ ઈન્ડિયાના અભ્યાસના વિશેષ કેન્દ્રના સહાયક પ્રોફેસર ખુરીજમ બિજોયકુમાર સિંહે જણાવ્યું કે મણિપુરમાં હિંસા માત્ર બે જૂથો વચ્ચેની લડાઈ નથી, પરંતુ તે ઘણા સમુદાયો સાથે ઊંડી રીતે જોડાયેલી છે. આ ઘણા દાયકાઓથી સંબંધિત સમસ્યા છે.

Most Popular

To Top