Vadodara

એસપી યુનિના ગ્રંથાલયમાં લુઇસ બ્રેઇલ દિવસ ઉજવાયો

આણંદ તા.08
આણંદના રાષ્ટ્રીય અંધજન મંડળ અને સરદાર પટેલ યુનિવર્સિટીના ભાઇકાકા ગ્રંથાલયના સંયુક્ત ઉપક્રમે લુઇસ બ્રેઇલની જન્મજયંતિ નિમિત્તે પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થી માટે ટેકનોલોજી અવરનેસ કાર્યક્રમનું ગ્રંથાલય ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આણંદના સો જેટલા પ્રજ્ઞાચક્ષુ અને દિવ્યાંગ વિદ્યાર્થી, ધર્મજ જલારામ જનસેવા ટ્રસ્ટના વિશિષ્ટ શિક્ષકો, યુનિવર્સિટીના વિદ્યાર્થી, અધ્યાપકો, વિભાગીય વડા અને વહીવટી વિભાગના વડાઓ, કર્મચારી હાજર રહ્યાં હતાં.


આ કાર્યક્રમના અધ્યક્ષ તરીકે કા. કુલપતિ પ્રોફે. ડો. નિરંજનભાઈ પટેલે તેમના પ્રવચનમાં દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટે યુનિવર્સિટી તરફથી દરેક પ્રકારની વિદ્યાર્થીઓને સગવડો કરી આપવાની ખાતરી આપી હતી. તેમજ દિવ્યાંગ વિદ્યાર્થીઓને જરૂરી એવા ડિપ્લોમાં કે ડિગ્રી કે સર્ટિફિકેટ કોર્સ યુનિવર્સિટી ખાતે ચાલુ કરવાનું પણ જણાવ્યું હતું. યુનિવર્સિટી ખાતે પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીઓ માટે બ્રેઇલ ચેર ચાલુ કરવાનું જણાવ્યુ હતું. આ કાર્યક્રમના અતિથિ વિશેષ રાજેશભાઈ પટેલે ગુણવત્તાસભર કાર્યક્રમ ગણાવી પ્રશંસા કરી હતી.

આ કાર્યક્રમના મુખ્ય વકતા રણછોડભાઈ સોની, ટેક્નોહેડ, એનએબી રાજ્યશાખા, અમદાવાદ હાલના વર્તમાન સમયમાં ઉપલબ્ધ વિવિધ ટેકનોલોજીઓ દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટે ઉપલબ્ધ છે. તેની માહિતી આપી હતી. આ પ્રસંગે રાષ્ટ્રીય અંધજન મંડળ, આણંદના પ્રમુખ મહેન્દ્રભાઈ પટેલ, મંત્રી ચંદ્રકાન્તભાઈ સોલંકી, ગુજરાત રાજય શાખાના મંત્રી તારકભાઈ લુહાર ઉપસ્થિત રહીને દિવ્યાંગ વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા.
આ યુનિવર્સિટી ગ્રંથપાલ ડો. શિશિર માંડલીયાએ સ્વાગત પ્રવચનથી સૌને આવકાર્યા હતા. રાષ્ટ્રીય અંધજન મંડળ, આણંદના ઉપપ્રમુખ મેઘનાબેન જોશી દ્વારા સંસ્થાની પ્રવૃતિઓ વિશે ટૂંકમાં પરિચય આપ્યો હતો. આ પ્રસંગે સંસ્થાના ઉમદા કાર્યો કરનારા હોદ્દેદારોને સન્માનિત કર્યાં હતા.
રાષ્ટ્રીય અંધજન મંડળ, અમદાવાદના ટેકનોહેડ રણછોડભાઈ સોનીએ કીબો મશીન અને ઓરબીટ ટુલ વિશે દિવ્યાંગ વિદ્યાર્થીઓને પ્રેક્ટિકલ પ્રેઝન્ટેશન દ્વારા વિસ્તૃત છણાવટભરી સમજ આપી હતી. આ કાર્યક્રમનુ સંચાલન હર્ષલ મહાજને કર્યું હતું.
આ કાર્યક્રમના અંતે સરદાર પટેલ યુનિવર્સિટીના કુલસચિવશ્રી ડૉ.ભાઇલાલભાઈ પટેલે આભાર વિધિ કરેલ હતી.

Most Popular

To Top