Dakshin Gujarat

16મીથી કમૂરતા શરૂ થતાં એક મહિના સુધી શુભ પ્રસંગો પર બ્રેક : લગ્નની શરણાઈનો સૂર સાંભળવા નહીં મળે

અંકલેશ્વર: ભારતીય સંસ્કૃતિ મુજબ શુભ પ્રસંગો શુભ મુહૂર્ત દરમિયાન કરવા જોઈએ તેમ જ્યોતિષ શાસ્ત્ર અનુસાર કમૂરતા દરમિયાન શુભ અને માંગલિક પ્રસંગો (Function) થઈ શકતા નથી. જ્યોતિષ શાસ્ત્ર મુજબ તા.16 ડિસેમ્બર ને શુક્રવારના રોજ કમૂરતાનો શુભારંભ થશે. એક મહિના સુધી શુભ અને માંગલિક પ્રસંગોની બ્રેક લાગશે તેમ વિજયનગર તાલુકાના ચિતરીયા ગામના જ્યોતિષ દેવશંકર ભટ્ટે જણાવ્યું હતું.

  • બજારમાં એકંદરે એક મહિના સુધી મંદીનો માહોલ રહેશે
  • ઉત્તરાયણ બાદ પુન: બજારોમાં તેજીનું આગમન થશે
  • ૨૧મી સદીના હાઈટેક યુગમાં પણ ભારતીય સંસ્કૃતિના શુભ મુહૂર્તનું વિશેષ મહત્ત્વ અકબંધ

16 ડિસેમ્બરે સૂર્ય ધન રાશિમાં પ્રવેશ કરશે ત્યારે ધનારક કમૂરતાનો શુભારંભ થશે. એક મહિના સુધી શુભ પ્રસંગો થઈ શકશે નહીં, કમૂરતા પૂર્ણ થયા બાદ શુભ પ્રસંગો થશે. હિન્દુ ધર્મમાં કોઈપણ શુભ મુહૂર્ત કરતા પહેલાં શુભ મુહૂર્ત, ગ્રહ નક્ષત્રના વક્રી, અસ્ત, ઉદય, સ્તંભ, સ્થિતિ શાસ્ત્રમાં શુભ ચોઘડિયા જોયા બાદ જ શુભ પ્રસંગો થાય છે. તા.16 ડિસેમ્બર ને શુક્રવારે 9:59 કલાકે સૂર્ય ધન રાશિમાં પ્રવેશ કરશે. ધનારક કમૂરતાનો શુભારંભ થશે. તા.14 જાન્યુઆરી ને શુક્રવારે (ઉત્તરાયણ) સુધી કમૂરતા રહેશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, વેવિશાળ, લગ્ન, ખાતમુહૂર્ત, ઉદઘાટન, ગૃહ પ્રવેશ, વાસ્તુ, કાર, જમીન સહિત લઈ શકાશે નહીં તેમજ શુભ પ્રસંગો કરવા માટે શાસ્ત્ર મુજબ એક મહિનાનો સમય યોગ્ય નથી. ત્યારે અત્રે ઉલ્લેખનીય છે કે, એક મહિના સુધી શુભ અને માંગલિક પ્રસંગોની બ્રેક રહેશે, લગ્નની શરણાઈના સૂર સંભળાઈ શકશે નહીં.

કમૂરતા શરૂ થશે, ત્યારે બજારમાં એકંદરે એક મહિના સુધી મંદીનો માહોલ રહેશે. ૨૧મી સદીના હાઈટેક યુગમાં પણ ભારતીય સંસ્કૃતિના શુભ મુહૂર્તનું વિશેષ મહત્ત્વ અકબંધ છે. જ્યોતિષ શાસ્ત્રમાં શ્રદ્ધા ધરાવતા હિન્દુઓ કમૂરતા દરમિયાન શુભ અને માંગલિક કાર્યો કરતા નથી. જમીન, પ્લોટ, મકાન, કાર, બાઈક ખરીદતા નથી. શુભ મુહૂર્ત દરમિયાન જ શુભ કાર્યો કરતા હોય છે. ઉત્તરાયણ બાદ પુન: બજારોમાં તેજીનું આગમન થશે તેમ જાણવા મળ્યું છે.

Most Popular

To Top