Comments

સંસ્કારનું શિક્ષણ આપવાનું હોય કે શિક્ષણમાંથી સંસ્કાર મળે?

‘વેલ્યુ બેજ એજયુકેશન’ સંસ્કારો અને મૂલ્ય આધારિત શિક્ષણની ચર્ચા ભારતના શિક્ષણજગતમાં વારેવારે થાય છે. એમાંય નવા સત્રથી ગુજરાતમાં પણ નવી શિક્ષણ નીતિનો અમલ શરૂ થવા જઇ રહ્યો છે ત્યારે પ્રાથમિકથી ઉચ્ચ શિક્ષણનાં તમામ ક્ષેત્રોમાં બાળકોમાં સંસ્કારોનું સિંચન થાય, મૂલ્યોનું ઘડતર થાય તેવા અભ્યાસક્રમો ઘડવાની વાતો થાય છે! હવે એક વાત બહુ સ્પષ્ટ છે કે વિદ્યાર્થીમાં સંસ્કારો, મૂલ્યોનું સિંચન થાય તે શિક્ષણપ્રક્રિયાનો એક હેતુ છે. બાળક મૂલ્યનિષ્ઠ બને, સંસ્કારી બને તે શિક્ષણનું પરિણામ છે. શિક્ષણ પ્રક્રિયાના પરિણામે દેખાનારું વર્તન છે. માટે જ પ્રાથમિક શિક્ષણ સૌને માટે સમાન હોય છે. ભાષા, ગણિત, સમાજવિદ્યા કે પર્યાવરણ સૌ સમાન સ્તરે ભણે છે. ડોકટર, એન્જિનિયર, સી.એ., વકીલ જેવા વ્યવસાયલક્ષી પ્રવાહો આગળ જતાં આવડત મુજબ જુદા પડે છે.

આમ તો આ વાતો સૌ જાણે છે, પરંતુ હમણાં નવી શિક્ષણનીતિના ઘડતર સંબંધે શિક્ષણ બોર્ડ કે યુનિવર્સિટીમાં અભ્યાસક્રમ ઘડતરની વિવિધ ચર્ચાઓ વાંચવા સાંભળવા મળી ત્યારે થોડું આશ્ચર્ય અને આઘાત જેવું લાગ્યું. ઘણા વિદ્વાનો સીધું જ સંસ્કારનું શિક્ષણ, મૂલ્યોનું શિક્ષણ આપવાની વાત કરી રહ્યા હતા. આ માટે વિવિધ ધર્મ સંપ્રદાયના કથાકારો, વકતાઓ તેમણે કહેલા પ્રેરક પ્રસંગોના સંપાદિત પુસ્તકો અભ્યાસક્રમમાં દાખલ કરવાની વાત શરૂ થઇ ગઇ છે. એક બે યુનિવર્સિટીમાં તો સ્નાતક કક્ષાએ એક-બે-સંપ્રદાયના કોર્ષ અભ્યાસક્રમમાં ભણાવવાની મંજૂરી પણ આપી દેવાઇ છે! આવું જયારે થાય છે ત્યારે દુ:ખ થાય છે કે અભ્યાસક્રમ નક્કી કરનારા અને ઘડનારા કેટલી મોટી જવાબદારી નિભાવતા હોય છે. સમાજ તેમના ભરોસે હોય છે. આવનારાં અનેક વર્ષો સુધી એક-પછી એક પેઢી આ અભ્યાસક્રમ દ્વારા ઘડાવાની હોય છે ત્યારે સાવ જ બેજવાબદારીપૂર્વક વર્તી કે વિચારી કેવી રીતે શકાય!

આપણે સૌએ એ વાત સ્વીકારવી પડશે કે જે રીતે નિયમિત યોગ્ય પોષણક્ષમ ખોરાક મળવાથી બાળકનો યોગ્ય વિકાસ થાય છે. તંદુરસ્તી આવે છે તેવી રીતે સમગ્રલક્ષી શિક્ષણપ્રક્રિયામાંથી બાળકમાં સંસ્કારોનું સિંચન થાય છે. વર્ગખંડમાં રોજ વિદ્યાર્થીઓને ‘સાચું બોલો, પ્રામાણિક બનો, બહાદુર બનો એમ સીધો જ ઉપદેશ આપીએ તો બાળકોમાં તે ગુણ ન પણ વિકસે! પણ ભાષાના પાઠયક્રમમાં એવાં માનવમૂલ્યોનું જતન કરનારા પાઠ હોય, વાર્તા હોય, કાવ્યો હોય… જેમાંથી સહજપણે સંવેદના સંસ્કાર પ્રગટે! આવા પાઠ, કાવ્યો, વાર્તાઓ માત્ર પરીક્ષાલક્ષી તૈયારીનો ભાગ ન બનતાં તે જીવનકેન્દ્રી બને તો બાળકમાં સંસ્કારોનું સિંચન આપોઆપ થાય…

જેમ શરીરને રોજિંદા ખોરાકમાંથી વિટામીન, મિનર, મળવા જોઇએ તેવી જ રીતે સંસ્કારો, રોજિંદા જીવનવ્યવહારમાંથી મળવા જોઇએ. જેમ શરીરમાં વિટામીનની ઊણપ હોય ત્યારે ઉપરથી વિટામીનની ગોળીઓ આપવી પડે! જે યોગ્ય તો ન જ ગણાય તેમ સંસ્કારો સીધા ઉપદેશથી આપવા પડે તે શિક્ષણ પ્રક્રિયાની ખામી ગણાય! સંસ્કાર અને માનવમૂલ્યોના સિંચનનો આધાર શિક્ષણમાં આવતી સાહિત્યકૃતિ પર હોય છે. આપણે બાળકોને ભાષા શિખવાડીએ છીએ. તેના બે ઉદે્શ છે. એક તો તેને વૈચારિક આદાનપ્રદાન માટે એક માધ્યમ મળે! ગણિત-વિજ્ઞાન-સમાજશાસ્ત્ર-ઇતિહાસ આ બધા જ વિષયો શીખવા માટે તે ભાષાના શિક્ષણનો ઉપયોગ કરે! પણ બીજો હેતુ છે સામાજિક, સાંસ્કૃતિક મૂલ્યોનું સિંચન, સાંસ્કૃતિક વારસાનું વહન. નરસિંહ મહેતાનાં કાવ્યો, અખાના છપ્પાથી માંડીને લલિત નિબંધો કે ટૂંકી વાર્તાઓ બાળકને સંવેદનશીલ બનાવે છે.

વિચારશીલ બનાવે છે. હમણાં જ ‘મધર્સ ડે’ના દિવસે સોશ્યલ મિડિયામાં ‘વળાવી બા આવી’ સોનેટ ખાસ્સું વાયરલ થયું! અત્યારે પચાસ-પંચાવનના હોય તેવાં સૌ ગુજરાતીઓ નાનપણમાં આ કાવ્ય ભણ્યાં. કુટુમ્બજીવનની સંવેદના અને શહેરીકરણ- રોજગારીના કારણે ઊભી થયેલી વિભકત કુટુંબની નવી વ્યવસ્થામાં માનવમૂલ્યોની શું હાલત થઇ છે તેનું આ કાવ્ય છે! કુટુંબના કેન્દ્રસ્થાને રહેલી ‘મા’ તો વેદનાનું પ્રતીક છે! આંસુ તો વિખૂટાં પડતાં સૌની આંખમાં છે. શું બાળક આવું કાવ્ય માત્ર આ કવિતાના પ્રકારને જણાવો કે કવિનું નામ આપો? એવા ખાલી જગ્યા પુરો માર્કસ માટે ભણશે? ના! વિખૂટાં પડતાં સ્વજનની વેદના સમજવા માટે ભણશે!

હે જી તારા આંગણીઆ પૂછીને જે કોઇ આવે રે… કાવ્ય એ આપણી મહેમાન પરંપરા અને અતિથિને આવકારવાની પરંપરાનું કાવ્ય છે! એ માત્ર પરીક્ષામાં માર્કસ મેળવવા નથી ભણવાનું! હિન્દીમાં મુનશી પ્રેમચંદ હોય કે કબીર હોય, અંગ્રેજીમાં શેલી હોય કે શેકસપિયર હોય… સૌ પોતપોતાના સમાજજીવન અને સાંપ્રતના વારસાને ભાષા-સાહિત્ય દ્વારા વહાવે છે. શિક્ષક વર્ગમાં ભણાવે છે ત્યારે આ અને આના ઉપરાંત સંબંધિત સાહિત્યની વાત કરીને બાળકને વધારે ભાવસમૃધ્ધ બનાવે છે! એટલે કોઇ સંત મહાત્માના, સંપ્રદાયના એકાંગી પુસ્તકો સીધાં ભણાવી દેવાને બદલે સમગ્ર શિક્ષણપ્રક્રિયાને સંસ્કારનિષ્ઠ બનાવવાથી વિદ્યાર્થીમાં સંસ્કારોનું સિંચન થશે! આ વાત સૌએ સમજવાની જરૂર છે.
આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top