National

ઉત્તરપ્રદેશના હજારો મંદિરોમાં ઘંટ નાદની ધ્વની સાથે બીજી વખત યોગી લેશે શપથ

નવી દિલ્હી: ઉત્તરપ્રદેશની ચુંટણીમાં યોગી આદિત્યનાથે ઐતિહાસિક જીત મેળવી છે. ત્યારે આગામી 25 માર્ચેનાં રોજ યોગી અને તેમના મંત્રીમંડળનો શપથગ્રહણ સમારોહ યોજાવા જઈ રહ્યો છે. આ સમારોહની વિશેષ તૈયારીઓ કરવામાં આવી રહી છે. મંદિરોમાં આરતી અને ઘંટના નાદ અને લોક કલ્યાણ માટેની વિશેષ પૂજા સાથે યોગી મુખ્યમંત્રી પદનાં શપથ લેશે. ઉત્તરપ્રદેશના દરેક મઠ-મંદિરથી સાધુ-સંતોને શપથગ્રહણ માટે લખનઉ આવવાનું આમંત્રણ આપવામાં આવ્યું છે. ભાજપના પ્રદેશ મહામંત્રી ગોવિંદ નારાયણ શુક્લ તરફથી આદેશ આપવામાં આવ્યો છે કે લખનઉમાં આયોજિત શપથગ્રહણ સમારોહમાં રાજ્યના દરેક જિલ્લા, મંડળ અને શક્તિ કેન્દ્રના કાર્યકરોને આમંત્રણ આપવામાં આવ્યું છે.

મંદિરોમાં બે કલાક પૂજા-અર્ચના કરશે
શપથગ્રહણ સમારોહનાં દિવસે ભવ્ય આયોજન કરાયું છે. ઉત્તરપ્રદેશના દરેક મંદિરોના ઘંટ વગાડવામાં આવશે, આરતી કરાશે અને લોકકલ્યાણ માટે બે કલાક મંદિરોમાં પૂજા-અર્ચના કરવામાં આવશે. ભાજપ-પ્રવક્તા રાકેશ ત્રિપાઠીએ જણાવ્યું હતું કે, 25 માર્ચે થનારા શપથગ્રહણ સમારોહને એક ઐતિહાસિક શપથગ્રહણ સમારોહ બનાવવામાં આવશે. ભારતીય હિન્દુ પરંપરામાં કોઈપણ સારા કામની શરૂઆત પૂજા-અર્ચનાથી થાય છે.ભાજપના આદેશ પ્રમાણે એવું નક્કી કરવામાં આવ્યું છે કે જે દિવસે શપથગ્રહણ સમારોહ કાર્યક્રમ થશે એ દિવસે સવારે આઠથી દસ વાગ્યા સુધી રાજ્યના દરેક કેન્દ્ર સ્તરના કાર્યકર્તાઓ તેમના વિસ્તારમાં મંદિરોમાં લોકકલ્યાણ માટે પૂજા-અર્ચના કરાવશે.

કાર્યકર્તા ગાડી પર પાર્ટીનો ઝંડો લગાવીને જ લખનઉ આવે : ભાજપ
શપથ ગ્રહણ સમારોહ માટે ઉત્તરપ્રદેશના દરેક વિસ્તારના કાર્યકર્તાઓને એક દિવસ પહેલાં એટલે કે 24 માર્ચે લખનઉ બોલાવી લેવામાં આવ્યા છે. જેનો પાર્ટી તરફથી આદેશ જાહેર કરવામાં આવ્યો છે. આ ઉપરાંત દરેક કાર્યકર્તા પોતાના વાહનો પર અથવા તો તેમની ગાડી પર પાર્ટીનો ઝંડો લગાવીને જ લખનઉ આવે તેવો આદેશ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત સમગ્ર ઉત્તરપ્રદેશમાં દરેક જિલ્લાના મુખ્ય ચાર રસ્તા, બજારમાં હોર્ડિંગ્સ લગાવવામાં આવશે અને તેને શણગારવામાં આવે.ભારતીય જનતા પાર્ટી શપથગ્રહણ સમારોહને એક ભવ્ય ઐતિહાસિક સમારોહ બનાવવાની તૈયારી કરી રહી છે. BJPના એક મુખ્ય નેતાએ કહ્યું હતું કે યોગી સરકારના બીજા કાર્યકાળ અને તેમના શપથગ્રહણ સમારોહની તૈયારીમાં કોઈ કમી ના રહેવી જોઈએ. આ જ કારણ છે કે ઉત્તરપ્રદેશના દરેક જિલ્લા, શહેર, તાલુકા અને ગામડાંના મુખ્ય ચાર રસ્તાઓ પર હોર્ડિંગ્સ અને બેનર્સ લગાવવામાં આવી રહ્યાં છે.

મઠ-મંદિરોના સાધુ-સંતોને હેડક્વાર્ટરથી આમંત્રણ
ભાજપ તરફથી જાહેર કરવામાં આવેલા નિર્દેશ પ્રમાણે શપથગ્રહણ સમારોહમાં સમગ્ર રાજ્યના મઠ-મંદિરોના સાધુ-સંતોની યાદી બનાવીને તેમને શપથગ્રહણ સમારોહ માટે આમંત્રણ આપવામાં આવ્યું છે. આ આમંત્રણ હેડક્વાર્ટરથી જ દરેક લોકોને મળશે એ માટે આમંત્રણ કાર્ડ અને એન્ટ્રી પાસની વ્યવસ્થા કરવાનો આદેશ આપવામાં આવ્યો છે જેથી લખનઉ પહોંચવામાં કાર્યકર્તાઓને કોઈ તકલીફ ના થાય. આની જવાબદારી જિલ્લા-અધ્યક્ષોથી લઈને મંડળ-અધ્યક્ષોને આપવામાં આવી છે. ભાજપે માત્ર મઠ-મંદિરોના સાધુ-સંતોને જ નહીં, પરંતુ રાજ્યના દરેક જિલ્લાના ખાસ વર્ગના લોકોને પણ લખનઉ આવવા આમંત્રણ આપ્યું છે. તેમાં સમાજસેવી, સાહિત્યકાર, પ્રોફેશનલ્સ, ડોક્ટર, એન્જિનિયર સહિત દરેક વર્ગના અગ્રણી લોકોને આમંત્રણ આપવામાં આવ્યું છે.

Most Popular

To Top