National

જ્ઞાનવાપી મસ્જિદ કેસ પર સુનાવણી, ‘પૂજા અને નમાઝ બંને ચાલુ રહેશે’

નવી દિલ્હી: જ્ઞાનવાપી કેસની (Gyanvapi Case) સુનાવણી આજે 1 એપ્રિલે સુપ્રીમ કોર્ટમાં કરવામાં આવી હતી. અગાવ જ્ઞાનવાપી મસ્જિદ પ્રબંધન સમિતિ દ્વારા અલ્હાબાદ હાઈકોર્ટના (Allahabad High Court) નીચલી અદાલતને આપવામાં આવેલા આદેશને યથાવત રાખતા મસ્જિદના દક્ષિણી ભોંયરામાં હિંદુ પ્રાર્થનાઓને મંજૂરી આપવાના આદેશ વિરુદ્ધ અરજી દાખલ કરવામાં આવી હતી. કેની સુનાવણી આજે હાથ ધરવામાં આવી હતી.

સોમવારે 1 એપ્રિલે સુપ્રીમ કોર્ટે જ્ઞાનવાપી મસ્જિદ સંકુલના વ્યાસ ભોંયરામાં પૂજા વિરુદ્ધ મસ્જિદ સમિતિની અરજી પર સુનાવણી કરી હતી. મસ્જિદ પક્ષના વકીલ હુઝૈફા અહમદીએ જણાવ્યું હતું કે નીચલી અદાલતે પૂજાના આદેશને લાગુ કરવા માટે એક અઠવાડીયાનો સમય આપ્યો હતો. પરંતુ સરકારે આ આદેશનો તરત જ અમલ કર્યો હતો. અમને હાઈકોર્ટમાંથી પણ રાહત મળી નથી. જેથી સુપ્રીમ કોર્ટે પૂજાને તાત્કાલિક અટકાવવી જોઈએ.

સમગ્ર મામલે ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડે આ મામલે નોટિસ જારી કરી હતી અને અન્ય તારીખે સુનાવણીનો સંકેત આપ્યો હતો. જો કે મસ્જિદ પક્ષના વકીલે તેમની દલીલો રજૂ કરી પૂજા પર તાત્કાલિક પ્રતિબંધ મૂકવાની માંગ કરી હતી. આ દરમિયાન ચીફ જસ્ટિસે કહ્યું કે ભોંયરામાં પ્રવેશ દક્ષિણ તરફથી છે અને મસ્જિદની એન્ટ્રી ઉત્તર તરફથી છે. બંને એકબીજાને અસર કરતા નથી. અમે નિર્દેશ કરીએ છીએ કે હાલમાં બંને, પૂજા અને નમાઝ પોતપોતાના સ્થાનો પર ચાલુ રહે.

અલ્હાબાદ હાઈકોર્ટના નિર્ણય સામે મસ્જિદ સમિતિ SC પહોંચી
અંજુમન મસ્જિદ વ્યવસ્થા સમિતિએ અલ્હાબાદ હાઈકોર્ટના નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો. જેમાં મસ્જિદના દક્ષિણી ભોંયરામાં હિન્દુઓને પૂજા કરવાની મંજૂરી આપતા નીચલી કોર્ટના આદેશને યથાવત રાખવામાં આવ્યો હતો. આ સમિતિ વારાણસી સ્થિત જ્ઞાનવાપી મસ્જિદની બાબતોનું સંચાલન કરે છે. નીચલી અદાલતે 31 જાન્યુઆરીએ પોતાના આદેશમાં હિન્દુઓને ભોંયરામાં પૂજા કરવાની મંજૂરી આપી હતી.

આ પછી મુસ્લિમ કમિટી હાઈકોર્ટમાં ગઈ હતી. જ્યાં 26 ફેબ્રુઆરીએ તેમની અરજી ફગાવી દેવામાં આવી. હાઈકોર્ટે કહ્યું હતું કે 1993માં ઉત્તર પ્રદેશ સરકાર દ્વારા જ્ઞાનવાપીના દક્ષિણ ભોંયરામાં સ્થિત વ્યાસજીના ભોંયરામાં પૂજા રોકવાનો નિર્ણય ગેરકાયદેસર હતો. તેમજ કોઈપણ લેખિત આદેશ વિના રાજ્યની ગેરકાયદેસર કાર્યવાહી દ્વારા પૂજા બંધ કરવામાં આવી હતી.

Most Popular

To Top