આ વાત સ્પષ્ટ કરવી જરૂરી છે કે હેલ્મેટનો વિરોધ કરવો અને હેલ્મેટ ફરજિયાત બનાવવાની નીતિ પર પ્રશ્ન ઉઠાવવો — બંને સંપૂર્ણપણે અલગ બાબતો છે. હેલ્મેટ જીવન બચાવે છે, એ હકીકતને કોઈ નકારી શકે નહીં. અનેક જવાબદાર નાગરિકો વર્ષોથી સ્વેચ્છાએ હેલ્મેટ પહેરે છે અને રોડ સેફ્ટીને ગંભીરતાથી લે છે. પરંતુ પ્રશ્ન એ છે કે શહેરની અંદર, જ્યાં ભારે ટ્રાફિકને કારણે વાહનની ગતિ મર્યાદિત રહે છે, ત્યાં માત્ર હેલ્મેટને જ કાયદાનો કેન્દ્રબિંદુ બનાવી દેવું કેટલું યોગ્ય છે? આજે શહેરના રસ્તાઓ પર સૌથી મોટા જોખમો કયા છે? ટ્રાફિક સિગ્નલ તોડતા વાહનો, રોંગ સાઇડ દોડતી બાઇકો અને કારો, ઓવરસ્પીડિંગ, મોબાઇલ પર વાત કરતાં ડ્રાઇવિંગ, ખોટું ઓવરટેક, ઓવરલોડ વાહનો અને નિયમ વિરુદ્ધ મુસાફરો તથા સામાન ભરેલા બે-વ્હીલર — આ બધી બેદરકારી સીધે અન્ય લોકોના જીવનને જોખમમાં મૂકે છે.
નાગરિકો કાયદાનો વિરોધ નથી કરતા. લોકો માત્ર એટલું માંગે છે કે કાયદા પાછળ તર્ક, પારદર્શિતા અને સમાન અમલ દેખાવા જોઈએ. જો નિયમોનો ઉપયોગ સુરક્ષા કરતાં વધુ દંડ વસૂલાત માટે થતો જણાશે, તો લોકોમાં વિશ્વાસ નહીં પરંતુ અસંતોષ જ વધશે. રોડ સેફ્ટીનું સાચું મોડેલ ડર અને દંડથી નહીં, પરંતુ જાગૃતિ, કડક અને નિષ્પક્ષ અમલ અને જવાબદાર વ્યવસ્થાથી ઊભું થાય છે. આ ચર્ચા હેલ્મેટ સામે નથી — આ ચર્ચા પ્રાથમિકતાઓ સામે છે અને કદાચ હવે સમય આવી ગયો છે કે ટ્રાફિક વ્યવસ્થાના અસલી પ્રશ્નો પર પણ એટલી જ ગંભીરતા સાથે ચર્ચા થાય.
સુરત -આશિષ ટેલર – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.