Gujarat

કાગળ પર ‘હર ઘર જલ’, જમીન પર 24.52 લાખ ઘરો નળ વિહોણા! કેગના રિપોર્ટમાં મોટો ખુલાસો

ગુજરાતમાં દરેક ગ્રામીણ પરિવારના ઘરમાં નળ મારફતે શુદ્ધ અને પૂરતું પીવાનું પાણી પહોંચાડવાના હેતુથી જળ જીવન મિશન શરૂ કરવામાં આવ્યું હતું. જોકે, કંટ્રોલર એન્ડ ઓડિટર જનરલ એટલે કે કેગના ઓડિટ રિપોર્ટમાં યોજનાના અમલીકરણને લઈને ગંભીર ખામીઓ સામે આવી છે. રિપોર્ટ મુજબ નવેમ્બર 2024 સુધીમાં રાજ્યમાં લક્ષ્યાંકિત તમામ ગ્રામીણ ઘરો સુધી ઘરેલુ નળ કનેક્શન પહોંચ્યું નહોતું. એટલું જ નહીં, કેટલાક ગામોને જરૂરી માપદંડો પૂર્ણ થયા પહેલાં જ ‘હર ઘર જલ’ જાહેર કરી દેવામાં આવ્યા હોવાની પણ નોંધ કેગે કરી છે.

જળ જીવન મિશન ઓગસ્ટ 2019માં શરૂ થયું ત્યારે ગુજરાતમાં આશરે 1.01 કરોડ ગ્રામીણ ઘરો હતા. તેમાંથી 72.07 લાખ ઘરોને આ મિશન હેઠળ નળ કનેક્શન આપવાની જરૂરિયાત ઓળખવામાં આવી હતી. ત્યાર બાદ 72.14 લાખ ઘરો માટે નળ કનેક્શનની યોજનાઓ મંજૂર કરવામાં આવી હતી. પરંતુ નવેમ્બર 2024 સુધીમાં માત્ર 47.62 લાખ ઘરોને જ ઘરેલુ નળ કનેક્શન આપવામાં આવ્યા હતા. આ આંકડા પ્રમાણે મંજૂર કરાયેલા લક્ષ્યાંકની સામે આશરે 24.52 લાખ ઘરો સુધી નળ કનેક્શન પહોંચ્યું નહોતું. એટલે કે લક્ષ્યાંકિત ઘરોમાંથી આશરે 34 ટકા ઘરો હજુ નળ કનેક્શનથી વંચિત હતા. તેમ છતાં રાજ્યમાં અનેક ગામોને ‘હર ઘર જલ’નો દરજ્જો આપવામાં આવ્યો હતો. આ મુદ્દો કેગના ઓડિટમાં ખાસ ધ્યાન ખેંચે છે.

બીજી તરફ, કેન્દ્ર સરકારના આંકડા પ્રમાણે ગુજરાતમાં 91.18 લાખ ગ્રામીણ ઘરોમાં નળ કનેક્શન હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. પરંતુ કેગે માત્ર કાગળ પર કનેક્શન આપવાના આંકડા પૂરતા નથી તેમ સ્પષ્ટ કર્યું છે. નળ જોડાણ આપ્યા બાદ તેમાં નિયમિત પાણી આવે છે કે નહીં, લોકો તેનો વાસ્તવિક ઉપયોગ કરી રહ્યા છે કે નહીં અને પાણી પીવા યોગ્ય ગુણવત્તાનું છે કે નહીં, તેની પણ ચકાસણી જરૂરી છે.

કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવેલા સર્વેમાં પણ કેટલીક મહત્વપૂર્ણ બાબતો સામે આવી હતી. ‘હર ઘર જલ’ જાહેર કરાયેલા ગામોમાં 98.1 ટકા ઘરોમાં નળ કનેક્શન હોવાનું જાણવા મળ્યું હતું. જોકે, આમાંથી માત્ર 89.5 ટકા નળમાં જ પાણી આવતું હતું. એટલે કે કનેક્શન હોવા છતાં તમામ નળ કાર્યરત નહોતા. 11.6 ટકા નળ કનેક્શનનો ઉપયોગ જ થતો ન હોવાનું સર્વેમાં સામે આવ્યું હતું. પાણીની ઉપલબ્ધતા બાબતે પણ સ્થિતિ સંપૂર્ણ સંતોષકારક ન હોવાનું જાણવા મળ્યું. સર્વે પ્રમાણે 80.2 ટકા ઘરોને પૂરતા પ્રમાણમાં પાણી મળતું હતું, જ્યારે 83.6 ટકા ઘરોને નિર્ધારિત સમય પ્રમાણે પાણી મળતું હતું. એટલે કે નળ કનેક્શન પહોંચાડવાથી જ યોજના સફળ બની ગઈ એવું કહી શકાય નહીં. નળમાં નિયમિત, પૂરતું અને સમયસર પાણી પહોંચાડવું પણ એટલું જ મહત્વનું છે.

કેગે નોંધ્યું છે કે જે ગામોને ‘હર ઘર જલ’ જાહેર કરવામાં આવ્યા છે, ત્યાં વાસ્તવિક સ્થિતિની અસરકારક ચકાસણી થવી જરૂરી છે. દરેક ઘરમાં નિયમિત પાણી પહોંચે છે કે નહીં, આપવામાં આવેલા નળ કનેક્શન ખરેખર કાર્યરત છે કે નહીં અને પાણીની ગુણવત્તા નક્કી કરાયેલા માપદંડો પ્રમાણે છે કે નહીં, તેની તપાસ જરૂરી છે. ઓડિટ દરમિયાન યોજનાના આયોજન અને કામના અમલીકરણને લઈને પણ અનેક સવાલો ઉઠાવવામાં આવ્યા છે. કેટલાક ગામોમાં જરૂરી માપદંડોની સંપૂર્ણ સિદ્ધિ થયા પહેલાં જ તેમને ‘હર ઘર જલ’ તરીકે જાહેર કરી દેવામાં આવ્યા હતા. આવી સ્થિતિમાં સરકારી રેકોર્ડમાં ગામની સ્થિતિ અને જમીન પરની વાસ્તવિક સ્થિતિ વચ્ચે તફાવત ઊભો થવાની શક્યતા રહે છે.

યોજનાના કામમાં વિલંબ માટે ટેન્ડર પ્રક્રિયામાં થયેલા વિલંબ, કરાર વ્યવસ્થાપનની ખામીઓ અને અન્ય વહીવટી કારણો પણ જવાબદાર હોવાનું ઓડિટમાં સામે આવ્યું છે. કેટલીક જગ્યાએ જમીન ઉપલબ્ધ ન થવાથી કામ અટક્યું હતું, જ્યારે કેટલીક યોજનાઓમાં ડિઝાઇન મંજૂર થવામાં વિલંબ થયો હતો. આવા કારણોસર પાણી પુરવઠાની યોજનાઓ સમયસર પૂર્ણ થઈ શકી નહોતી.

જળ જીવન મિશનનો મૂળ હેતુ માત્ર દરેક ઘરના દરવાજા સુધી પાણીની પાઇપલાઇન પહોંચાડવાનો નથી, પરંતુ પરિવારને સતત અને સુરક્ષિત પીવાનું પાણી ઉપલબ્ધ કરાવવાનો છે. તેથી સરકારી રેકોર્ડમાં કેટલા નળ કનેક્શન આપવામાં આવ્યા તેની સંખ્યા કરતાં વાસ્તવમાં કેટલા ઘરોમાં દરરોજ પૂરતું અને શુદ્ધ પાણી પહોંચી રહ્યું છે તે વધુ મહત્વનું બને છે. કેગના રિપોર્ટ બાદ હવે ‘હર ઘર જલ’ જાહેર કરાયેલા ગામોની ફરીથી ચકાસણી કરવાની જરૂરિયાત સામે આવી છે. ખાસ કરીને જે ઘરોમાં કનેક્શન આપવામાં આવ્યા હોવા છતાં પાણી આવતું નથી અથવા કનેક્શનનો ઉપયોગ થતો નથી, ત્યાં સમસ્યાનું કારણ શોધીને તેનો ઉકેલ લાવવો જરૂરી છે.

આ સમગ્ર મામલો એ પણ દર્શાવે છે કે કોઈ સરકારી યોજના માટે લક્ષ્યાંક નક્કી કરવો અને કાગળ પર સિદ્ધિ દર્શાવવી પૂરતી નથી. યોજનાનો વાસ્તવિક લાભ સામાન્ય પરિવાર સુધી પહોંચે છે કે નહીં તેની સતત દેખરેખ જરૂરી છે. જળ જીવન મિશન હેઠળ ગુજરાતના ગ્રામીણ વિસ્તારોમાં પાણી પહોંચાડવા માટે મોટું આયોજન કરવામાં આવ્યું હોવા છતાં કેગના આંકડાઓ હવે તેના અમલીકરણની અસરકારકતા પર સવાલ ઊભા કરી રહ્યા છે. ગુજરાતમાં હજુ લાખો લક્ષ્યાંકિત ઘરો સુધી નળ કનેક્શન પહોંચાડવાનું બાકી હોવાના આંકડા સામે આવ્યા છે. સાથે જ જ્યાં કનેક્શન આપવામાં આવ્યા છે ત્યાં પણ પાણીનો નિયમિત પુરવઠો અને ગુણવત્તા સુનિશ્ચિત કરવી જરૂરી છે. તેથી હવે સરકાર અને સંબંધિત વિભાગ માટે પડકાર માત્ર નવા કનેક્શન આપવાનો નહીં, પરંતુ ‘હર ઘર જલ’નો દાવો વાસ્તવમાં દરેક ઘરના નળમાંથી પાણીના રૂપમાં સાબિત કરવાનો છે.

Most Popular

To Top