Gujarat

આદિજાતિ વિસ્તારોમાં અદ્યતન સુવિધાથી ડ્રોપ આઉટ રેશિયો ઘટ્યો: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

રાજપીપળા: ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગુજરાત વન વિભાગ દ્વારા આયોજિત ડેડિયાપાડા ખાતેના આદિવાસીઓને વાંસનું વિનામૂલ્યે વિતરણ અને વાંસ આધારિત કૌશલ્યવર્ધન કેન્દ્રોના લોકાર્પણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. ભૂપેન્દ્ર પટેલે રાજ્યના અંબાજીથી ઉમરગામ સુધીના સમગ્ર આદિવાસી બેલ્ટના 14 જિલ્લાના આદિવાસીઓને રૂ.20 કરોડના 42 લાખ વાંસના વિનામૂલ્યે વિતરણનો ડેડિયાપાડાથી પ્રારંભ કરાવ્યો હતો અને વાંસ કૌશલ્યવર્ધન કેન્દ્રોનું ઉદઘાટન કર્યું હતું. આ પ્રસંગે વનમંત્રી કિરીટસિંહ રાણા, આદિજાતિ વિકાસ મંત્રી નરેશ પટેલ તથા વન રાજ્ય મંત્રી જગદીશ વિશ્વકર્મા, સાંસદ મનસુખ વસાવા, ડેડિયાપાડાના ધારાસભ્ય મહેશ વસાવા, નર્મદા જિલ્લા પંચાયત પ્રમુખ પર્યુસાબેન વસાવા, પૂર્વ ધારાસભ્યો હર્ષદ વસાવા, શબ્દશરણ તડવી સહિત સ્થાનિક અગ્રણીઓ, પદાધિકારીઓઓ તથા 5 જિલ્લાના આદિવાસીઓ ઉપસ્થિત રહ્યા હતા.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આદિવાસી યુવાનોના કૌશલ્યને પદ્ધતિસર અને સમયાનુકુલ નિખાર આપવા પ્રધાનમંત્રી કૌશલ્યવર્ધન યોજના અન્વયે આદિવાસી વિસ્તારોમાં વાંસ આધારિત 4 કૌશલ્યવર્ધન કેન્દ્રોનાં લોકાર્પણ કર્યાં હતાં. ભૂપેન્દ્ર પટેલે અંદાજે કુલ બે કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થયેલા ડેડિયાપાડા, નેત્રંગ, વધઇ અને કેવડીના વાંસ આધારિત કૌશલ્યવર્ધન કેન્દ્રોનાં લોકાર્પણ કરીને આદિજાતિ વિસ્તારોમાં ”વોકલ ફોર લોકલ”નો ધ્યેય પાર પાડવાની નેમ દર્શાવી હતી. મુખ્યમંત્રીએ આ અવસરે રાજ્યની 25 સહભાગી વન વ્યવસ્થા સમિતિઓને કુલ પાંચ કરોડ રૂપિયાના લાભ, કલસ્ટર ડેવલપમેન્ટ માટે 3 કરોડના લાભ તેમજ 4 વનલક્ષ્મી, ઇકો ડેવલપમેન્ટ-ઇકો ટુરિઝમના લાભોનું વિતરણ કર્યુ હતું. ભૂપેન્દ્ર પટેલે ડેડિયાપાડામાં વાંસ આધારિત કૌશલ્યવર્ધન કેન્દ્રના રૂરલ મોલ, વર્કશોપ અને આદિજાતિ મહિલાઓ સંચાલિત સાતપૂડા ભોજનાલયની મુલાકાત લઇ ત્યાંની ગતિવિધિઓ ઝિણવટપૂર્વક નિહાળી હતી. આ અવસરે બામ્બુ રીસોર્સ ઓફ ગુજરાત કોફી ટેબલ બૂકનું પણ વિમોચન તેમણે કર્યુ હતું.

નર્મદા, છોટા ઉદેપુર, સુરત, ભરૂચ અને વ્યારાથી હજારોની સંખ્યામાં આવેલા આદિવાસીઓને સંબોધતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે, દેશના અનેક રાજ્યોમાં ‘બામ્બુ ઇન્ડસ્ટ્રી’ વાંસ આધારિત ઉદ્યોગોનો વિકાસ થઇ રહ્યો છે.વાંસની બનાવટ-ઉત્પાદનોને વિશ્વ બજારમાં સ્પર્ધા કરવા સક્ષમ બનાવવા આ કૌશલ્યવર્ધન કેન્દ્ર ગ્રોથ સેન્ટર બનશે. તેમણે આ જ પગલે ગુજરાતે પણ વડાપ્રધાનના દિશાદર્શનમાં ‘ગ્રીન ગોલ્ડ’ વાંસ ઉછેર-વાંસ ઉદ્યોગની ઇકો સિસ્ટમ ઊભી કરવાની દિશા લીધી છે તેની ભૂમિકા આપી હતી.

મુખ્યમંત્રીએ કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વાંસને વૃક્ષ ગણવાના 90 વર્ષ જૂના કાયદાને દૂર કરીને આદિજાતિઓના સર્વગ્રાહી વિકાસનાં નવાં દ્વાર ખોલી આપ્યાં છે. પીએમ મોદીએ દીર્ઘદૃષ્ટિપૂર્ણ આયોજનથી સૌના માટે વિકાસની અનેક તકો પૂરી પાડીને ગુજરાતને વિકાસનું રોલ મોડેલ, ગ્રોથ એન્જિન બનાવ્યું છે. વાંસની બનાવટ-ઉત્પાદનોને વિશ્વ બજારમાં સ્પર્ધા કરવા સક્ષમ બનાવવા આ કૌશલ્યવર્ધન કેન્દ્ર ગ્રોથ સેન્ટર બનશે. આદિવાસીઓનાં બાળકોના અને યુવાઓના શિક્ષણ માટે રાજ્ય સરકારે આદિજાતિ વિસ્તારોમાં જે અદ્યતન સુવિધા આપી છે તેના પરિણામે ડ્રોપ આઉટ રેશિયો ઘટ્યો, યુવાઓને ઉચ્ચ અભ્યાસની સુવિધા મળી તેની પણ વિશદ છણાવટ કરી હતી.

Most Popular

To Top